પ્રિય મિત્રો,

સપ્તાહો સુધી અવિરત સભાઓ, પ્રચાર અને લોકો સાથેની વાતચીતો બાદ હવે ચૂંટણીઓનો અંતિમ તબક્કો આવી પહોંચ્યો છે. ૧૩ ડિસેમ્બરે ગુજરાતે રેકોર્ડ પ્રમાણમાં મતદાન કર્યું. આ અગાઉની તમામ ચૂંટણીઓ કરતા આ વખતે મતદાનની ટકાવારી વધારે રહી. આ માટે હું આપ સૌને અભિનંદન પાઠવુ છું. આનાથી સ્પષ્ટ થાય છે ભાજપ આ વખતે પોતાના તમામ જૂના રેકોર્ડ તોડીને જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે અને વિજયી બનશે.

મેં ગુજરાતની ઘણી ચૂંટણીઓ જોઈ છે, પણ આ વખતે એક બાબત એવી છે જે અગાઉની ચૂંટણીઓમાં નહોતી. આ વખતે માત્ર આપણા દેશની જ નહિ પણ દુનિયા આખીની નજર ગુજરાતનાં લોકો ઉપર ઠરેલી છે. રાજ્યની ચૂંટણીઓથી આટલી મોટી સંખ્યામાં લોકો આકર્ષિત થયા હોય એવું પહેલા ક્યારેય બન્યુ નથી.

છેલ્લા ઘણા મહિનાઓથી હું ગુજરાતભરમાં ફરી રહ્યો છું. આ દરમ્યાન મેં મારી નજરે જોઈ હોય એવી એક વાત કહું. આ વખતની ચૂંટણીઓ ભાજપ નથી લડી રહ્યું! કે પછી નરેન્દ્ર મોદી પણ નથી લડી રહ્યા! આ વખતની ચૂંટણીઓ લડી રહ્યા છે ગુજરાતનાં છ કરોડ લોકો. હજી વધુ ઉત્સાહવર્ધક બાબત તો એ છે કે આ વખતે ચૂંટણીનો ભાર જાણે ગુજરાતનાં યુવાનોએ પોતાના ખભે ઉચકી લીધો છે. આવુ પહેલા ક્યારેય બન્યુ નથી! આ બહુ હકારાત્મક નિશાની છે.

૨૦૧૨ની ગુજરાતની ચૂંટણીઓને ધારાસભ્ય કોણ બનશે એટલા પૂરતી સીમિત ન રાખતા. કોઈ પાર્ટીને જીતાડવા કે કોઈ પાર્ટી પોતાની ડિપોઝીટ ગુમાવે એવા આશયથી મત ન આપશો. તમારા મતનું મુલ્ય ઘણું વધારે છે. જ્યારે મત આપવા જાવ ત્યારે ગુજરાતનાં ભવિષ્ય વિશે વિચારજો, એવું વિચારજો કે આવનારા પાંચ વર્ષમાં ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જાય તેવા સુકાનીનાં રૂપમાં તમે કોને જોવા માંગો છો.

છેલ્લા અઠવાડિયાઓ દરમ્યાન હું ઘણા લોકોને મળ્યો, મેં ઘણી સભાઓ સંબોધી. આ દિવસોમાં લોકોનો જે સ્નેહ મળ્યો એનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે એમ છે.

પ્રચાર દરમ્યાન સૌથી અનોખો અનુભવ થ્રીડી પ્રોજેક્શન ટેક્નોલોજી દ્વારા એક સાથે ઘણી જગ્યાઓ પર લોકોને સબંધન કરવાનો રહ્યો. ટેક્નોલોજીનો આવો પ્રયોગ પહેલા દુનિયામાં ક્યાંય થયો નહોતો. મને ખુશી છે કે આધુનિક ટેક્નોલોજીનો નવીન રીતે ઉપયોગ કરવામાં ગુજરાત ફરી એક વાર આગળ રહ્યું. જો કે ટેક્નોલોજી તો એક માધ્યમ છે, વાસ્તવમાં લોકો સાથેનો મારો સબંધ દિલનો છે, અને ઘણો ગહેરો છે!

અમે લોકો સમક્ષ માત્ર એક મુદ્દો લઈને ગયા છીએ, અને એ મુદ્દો છે વિકાસનો. અમે લોકોને અપીલ કરી કે છેલ્લા ૧૧ વર્ષમાં રાજ્યનો જે વિકાસ થયો છે તેના આધાર પર અમને ફરી એક વાર ગુજરાતની સેવા કરવાનો અવસર આપો. આજે ગુજરાત અને વિકાસ એકબીજાનાં પર્યાય બની ચૂક્યા છે. અમારી સરકારની તમામ યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન અમે સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને કર્યું છે અને ગુજરાતને વધુ પ્રગતિશીલ રાજ્ય બનાવવાનો અમારો નિર્ધાર છે, આવનારા પાંચ વર્ષમાં આ નિર્ધાર વધુ મજબુત બનશે.

આ વખતની ચૂંટણીમાં મુકાબલો છે ભાજપનાં કાર્યકર્તાઓનાં પરિશ્રમ અને કોંગ્રેસનાં મનીપાવર વચ્ચે. પ્રચાર દરમ્યાન કોંગ્રેસ દ્વારા જે હદે જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા તે જોઈને હું દંગ રહી ગયો. કોંગ્રેસની શત્રુતા એક માણસ સાથે છે, પણ આ એક માણસ સાથેની શત્રુતાએ કોંગ્રેસ પાર્ટીમાં ગુજરાતવિરોધી માનસિકતાનું સ્વરૂપ લઈ લીધુ છે, એ બાબત ખેદજનક છે. તેમણે ગુજરાતનાં વિકાસ આડે રોડા નાંખવામાં કોઈ કસર છોડી નથી. જુઠ્ઠાણા ફેલાવાથી લઈને પડદા પાછળનાં આયોજનો, કોઈ પ્રયુક્તિ તેમણે બાકી રાખી નથી.

એવું લાગે છે કે ગુજરાતને, અહીંનાં લોકોને, યુવાનોને, ખેડુતોને, મહિલાઓને, શહેરોને, ગામડાઓને આપવા માટે કોંગ્રેસ પાસે બીજુ કાંઈ નથી, એટલે સુધી કે ખુદ આ દેશનાં વડાપ્રધાન, કે જે પોતે એક અર્થશાસ્ત્રી છે, તેમણે પણ વિકાસની રાજનીતિ છોડીને વિભાજનવાદી વોટબેંકની રાજનીતિ કરવી પડી છે. આ ચૂંટણીઓ વખતે કોંગ્રેસે પોતાની જે નકારાત્મક છબી બનાવી છે તે લાંબા સમય સુધી લોકોનાં દિમાગમાં બની રહેશે. કોંગ્રેસે જુઠ્ઠાણા, આરોપો-આક્ષેપો, નકારાત્મકતા ફેલાવતી પાર્ટી તરીકેની પ્રબળ છાપ ઉભી કરી છે.

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડથી કોંગ્રેસે દેશનું ખેલક્ષેત્ર વેચી દીધું, ર-જી કૌભાંડથી ટેક્નોલોજી વેચી દીધી, કોલગેટ કૌભાંડથી કોલસો વેચી દીધો, અને હવે તેની નજર આખે-આખો દેશ વેચી નાખવા તરફ ઠરી છે. પાકિસ્તાન સાથે પડદા પાછળ સોદો કરવા કોંગ્રેસ તૈયાર થઈ ગઈ, એ પણ પાછુ ગુજરાતનાં લોકોને પૂછ્યા વિના. આના પરથી જ કોંગ્રેસ ગુજરાત માટે કેવો અભિગમ રાખે છે એ સ્પષ્ટ થાય છે. સરક્રીકનો મુદ્દો એ માત્ર ગુજરાત કે કચ્છની જ વાત નથી, પણ દેશનાં હિતોને સાવ વેચી નાખવાની અને દેશની સુરક્ષા સામે રહેલા જોખમની વાત છે! વડાપ્રધાન માટે કદાચ એ જમીનનો એક ટુકડો હશે, પણ આપણા માટે એ દેહનો ટુકડો છે, આપણે તેનો એક ઈંચ પણ પાકિસ્તાનને નહીં આપીએ.

મિત્રો, તમે છેલ્લા ૧૧ વર્ષથી મને કામ કરતો જુઓ છો. મારા જીવનની દરેક ક્ષણ ગુજરાતનાં લોકોની સેવા માટે સમર્પિત છે. છેલ્લા ૧૧ વર્ષમાં ગુજરાતનાં વિકાસ માટે કામ કરતાં મેં એક દિવસનોય આરામ લીધો નથી. આ ભુમિને આપણે સૌ ચાહીએ છીએ. તમે દસ દિવસ માટેય જો બહાર જતા હોવ તો ઘરની ચાવી કોઈ અજાણ્યા માણસને સોંપશો? તો ગુજરાતનાં ભવિષ્યની ચાવી તમે એવા લોકોને કેવી રીતે સોંપી શકો જેમનું રાજ્યનાં વિકાસ માટેનું વિઝન હજીય કોયડા સમાન બની રહ્યું છે.

આવતીકાલે જેઓ મતદાન કરવાનાં છે તેમને મારી અપીલ છે કે ઘણી મોટી સંખ્યામાં મત આપે. છેલ્લા ૧૧ વર્ષમાં ગુજરાતે વિકાસનાં દરેક રેકોર્ડ તોડ્યા છે, તો ચાલો ગુજરાતની સિધ્ધિમાં હજુ એક વધારો કરીએ. ચાલો ભારે મતદાન બાબતે ગુજરાત એક નવો રેકોર્ડ બનાવે એવું કરીએ.

ફરી એકવાર પ્રચારકાર્ય દરમ્યાન મારી ઉપર સતત સ્નેહ દર્શાવવા બદલ આપનો આભાર માનું છું. તમારો આ જ સહયોગ અમને ભવ્ય અને દિવ્ય ગુજરાતનાં નિર્માણ માટેની પ્રેરણા આપે છે, એક એવું ગુજરાત કે જ્યાં માત્ર આપણી પેઢી જ નહિ પણ આવનારી પેઢીઓ પણ ખુશહાલ અને સમૃધ્ધ જીવન જીવે. મને વિશ્વાસ છે કે ૧૭મી તારીખે પહેલા તબક્કા કરતા પણ વધુ મતદાન થશે!

જય જય ગરવી ગુજરાત,

આપનો,

નરેન્દ્ર મોદી

 

Also read:

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
What's in a name? Pakistan boxer's hate for 'Narendra'

Media Coverage

What's in a name? Pakistan boxer's hate for 'Narendra'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.