પ્રિય મિત્રો,

આ વર્ષનો ખેલમહાકુંભ સમગ્ર ગુજરાત માટે આનંદ અને સિધ્ધીઓનો ગૌરવરૂપ ઉત્સવ બની રહ્યો. એથેન્સ ખાતે યોજાએલ વિકલાંગો માટેનાં સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવનાર ગુજરાતનાં વિકલાંગ રમતવીરોની એક ટીમે આ વર્ષની શરૂઆતમાં મારી સાથે મુલાકાત કરવાની ઈચ્છા જતાવી. હું તો તેમને મળવા આતુર હતો. મેં તેમને મારા નિવાસસ્થાને આમંત્રણ આપ્યું અને તેમની સાથે બે કલાક વિતાવ્યા. આ મુલાકાત મારા માટે અત્યંત મજાની રહી જેને હું જીવનભર નહિ ભુલી શકું. આ બે કલાક દરમ્યાન મેં જોયું કે આ એથ્લેટ્સમાં દુનિયા જીતવાની મહત્વકાંક્ષા ભરી પડી હતી. દુનિયાને અદભુત કાર્યો કરી બતાવવાનો અદમ્ય જુસ્સો તેમનામાં હતો. તેમનો અદ્વિતિય ઉત્સાહ મારા અંતરનાં ઉંડાણને સ્પર્શી ગયો. મુલાકાત બાદ મેં આ પ્રતિભાશાળી બાળકો માટે કાંઈક કરવાનો નિર્ધાર કરી લીધો. મેં રમતગમત વિભાગની મારી ટીમ સાથે વાત કરી અને આ દિશામાં કામ કરી રહેલાં એન.જી.ઓ અને અન્ય સંગઠનો સાથે પણ વાતચીત કરી.

આ વર્ષનાં ખેલમહાકુંભને આપણે આ પ્રતિભાશાળી રમતવીરોને ઝળકી ઉઠવા માટેનો એક અવસર બનાવી દીધો. આશરે ૬૦,૦૦૦ જેટલાં વિકલાંગ રમતવીરોએ પહેલી વાર આ વર્ષે ખેલમહાકુંભમાં ભાગ લીધો. આ બાબતથી મને જે સંતોષ થઈ રહ્યો છે તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી! આટલી મોટી સંખ્યામાં વિકલાંગ રમતવીરોએ ભાગ લીધો એ એનાં પોતાનામાં જ એક વિક્રમ છે. ઉદઘાટન સમારોહમાં વિકલાંગ રમતવીરોની એક ટુકડીએ માર્ચ-પાસ્ટનું નેતૃત્વ કર્યું એ આપણા સૌ માટે ઘણાં ગૌરવની ક્ષણ હતી. તેમની સફળતા માત્ર તેમનાં કુટુંબ પૂરતી સિમીત નથી પણ સમગ્ર ગુજરાતની સફળતા છે. મને જાણીને ખુશી થાય છે કે આમાંથી ઘણાં રમતવીરોએ પોતાની રમતમાં શ્રેષ્ઠતા કેળવી છે.

વિરેન્દ્ર સહેવાગે જ્યારે પોતાની બેવડી સદીથી રાષ્ટ્રને અભિભુત કરી દીધું હતું ત્યારે ગુજરાતે સાથોસાથ ૧૬ વર્ષીય કોકિલા મોટપિઆએ ક્રિકેટમાં આપેલા પરફોર્મન્સની પણ ઉજવણી કરી. કોકિલા પાસે આંશિક દ્રષ્ટિ હોવા છતાં પણ તેણીએ ખેલમહાકુંભ અંતર્ગત એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૨૧૫ રન ફટકાર્યા. કોકિલા ગુજરાતનાં અંતરિયાળ ડાંગ જિલ્લામાંથી આવે છે. તેણે પોતાની રમતથી અને ખેલકુદ માટે પોતાનાં અદમ્ય જુસ્સાથી આપણાં સૌનાં દિલ જીતી લીધાં. ભૌગોલિક વિસ્તાર કે દ્રષ્ટિની અધૂરપ જેવી બાબતો પણ તેને આમ કરતાં રોકી શકી નહિ.

ખેલમહાકુંભમાં વિકલાંગો માટેની ક્રિકેટ સેમીફાઈનલ દરમ્યાન સરફરાજ નામનાં એક અત્યંત વિકલાંગ રમતવીરે એક જ મેચમાં નવ છગ્ગા ફટકાર્યા. જ્યારે-જ્યારે આવા ખેલાડીઓ પોતાની શ્રેષ્ઠતા બતાવે છે ત્યારે મારું હૈયું અવર્ણનીય આનંદથી ઉભરાઈ આવે છે.

મૌનેશ ભાવસારનો કિસ્સો રમતવીરોની આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહે એવો છે. આ ક્રિકેટપ્રેમીએ ૧૪ વર્ષની ઉંમરમાં જ એક અકસ્માતમાં પોતાનું કાંડુ ખોયું હતું પણ ક્રિકેટ માટે તેનો જુસ્સો અકબંધ હતો. જીવનપર્યંતની આ ઈજા પણ તેને ક્રિકેટથી દુર કરી શકી નહિ. ખેલમહાકુંભમાં વિકલાંગ ક્રિકેટની ફાઈનલ મેચમાં એક અગત્યની ઓવરમાં તેણે માત્ર ચાર રન આપીને વિરોધી ટીમની બે વિકેટ ખેરવી લીધી જેને પરિણામે તેની ટીમ જીતી ગઈ. મૌનેશે સાબિત કરી આપ્યું કે તે જીવનથી ભાગી જનાર માણસ નથી અને પોતાનાં યશસ્વી પરફોર્મેન્સથી તેણે પણ આ જગતમાં પોતાનું સ્થાન અંકિત કરી બતાવ્યું છે.

હ્યદયને સ્પર્શી જાય એવાં સફળતાનાં કિસ્સા તો ઘણાંય છે! આ કિસ્સાઓ માણસની આંખો ખુશીનાં આંસુથી ભરી દે એવા છે. અમદાવાદનાં દિપેન ગાંધી નામનાં ૨૦ વર્ષીય શરમાળ યુવકનાં એક હાથ અને એક પગ સેરેબ્રલ પાલ્સી રોગને કારણે સ્થાનભંગ થઈ ચૂક્યાં હતાં. આ યુવકે બાસ્કેટબોલમાં સુંદર પ્રદર્શન કરી બતાવ્યું અને નેશનલ લેવલ પર પહોંચ્યો. સામાન્ય ઘરમાંથી આવતા માનસિક રીતે વિકલાંગ દેવલ પટેલે સ્પેશિયલ ઓલિમ્પિકમાં કરેલો દેખાવ દિલમાં એક અનેરી લાગણી જન્માવી જાય છે. ઘરની પરિસ્થિતી કે માનસિક અક્ષમતા પણ તેને પોતાને ગમતાં ક્ષેત્રમાં આકાશની ઉંચાઈઓ સ્પર્શતા રોકી શકી નહિ.

મિત્રો, ખેલમહાકુંભ જેવા ઉત્સવો દ્વારા આપણે આપણાં લોકોમાં પડેલી ક્ષમતાઓ અને કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. મારું દ્રઢપણે માનવું છે કે જ્યાં સુધી સ્પોર્ટ્સ એક જનઆંદોલનનું સ્વરૂપ ન લે ત્યાં સુધી તેની પાછળનો સાચો ઉદ્દેશ્ય પાર પડી શકે નહિ. માત્ર મુઠ્ઠીભર ખેલાડીઓ દ્વારા આ ઉદ્દેશ્ય પાર પડી શકે નહિ. દરેક વર્ગ, વિસ્તાર અને વયજૂથનાં લોકોએ મોટાપાયે તેમાં જોડાવું જોઈએ અને તેની સાચી ઉજવણી થવી જોઈએ. આજ કારણે ખેલમહાકુંભ ૨૦૧૧ નાં ઉદઘાટન સમયે મેં દરેકને આ મહોત્સવ માણવાનું આહવાન આપ્યું હતું. મેં લોકોને કહ્યું હતું કે જરા બહાર નીકળીને આ રમતવીરોનાં જુસ્સાને જુઓ અને તમારી અંદર પણ આવો જ જુસ્સો કેળવો, ખેલનાં મેદાનમાં આ રમતવીરોનાં વિજયોલ્લાસનાં અને હારનાં કારણે ઉભી થતી ક્ષણિક નિરાશાઓનાં પણ સહભાગી બનો. જ્યારે માણસ આવું કરે છે ત્યારે તે રમતને સાચી રીતે માણી શકે છે અને પ્રતિભાશાળી વિજેતા ખેલાડીઓનાં આનંદનો અનુભવ કરી શકે છે.

આ વિકલાંગ રમતવીરોની સિધ્ધી મારા દિલમાં જળવાઈ રહેશે. તેમનામાં હું જોઉ છું એક એવો જુસ્સો જે ક્યારેય શમશે નહિ ભલે ગમે તે થઈ જાય. તેમનામાં હું જોઉ છું પડકારોને ઓળંગીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું જોમ અને પોતાની રમતથી દુનિયાને હલબલાવી દેવાનો નિર્ધાર. પોતાની મર્યાદાઓને આ રમતવીરોએ વિશેષ આવડતોમાં પરિવર્તિત કરી છે અને શ્રેષ્ઠતમ સિધ્ધિઓ મેળવી છે. આ રમતવીરોને ઝળકવા માટે અવસર પૂરા પાડતાં રહેવાની મારી નેમ છે. ઉંમર, વિસ્તાર કે શારિરીક ઉણપ જેવી કોઈપણ મર્યાદા તેમને પોતાનાં સપના પૂરા કરવામાં બાધારૂપ ન બને તેવી મારી ઈચ્છા છે. ખાસ તો મને એ વાતનો આનંદ છે કે ખેલમહાકુંભ આ રમતવીરો માટે મોટી સિધ્ધીઓ મેળવવાનું નાનકડું એવું માધ્યમ બની શક્યું છે. આ બાળકોનાં માતાપિતાનો હું આભાર માનું છું અને તેમને ખાત્રી આપવા માંગુ છું કે તેમનાં પ્રતિભાસંપન્ન બાળકો પોતાની સફરમાં એકલા નથી, અમે સૌ તેમની સાથે છીએ, આ સફર જેટલી તેમની છે એટલી જ અમારી પણ છે. સ્વામી વિવેકાનંદ કહેતાં કે, “ગીતાનાં અભ્યાસ કરતાં તમે ફુટબોલની રમતથી ઈશ્વરની વધુ નજીક પહોંચી શકશો.” ખેલમહાકુંભે આ શબ્દોને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યા છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rs 6,000 Crore Earned, 12.33 Crore Sq Ft Freed: Inside Government's Big Clean-Up

Media Coverage

Rs 6,000 Crore Earned, 12.33 Crore Sq Ft Freed: Inside Government's Big Clean-Up
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.