પ્રિય મિત્રો,

વસંત પંચમીના અવસર પર આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું.માં સરસ્વતી આપણને અનંત જ્ઞાન અને પ્રજ્ઞાના આશિર્વચન આપે. જ્યારે-જ્યારે પણ આ દુનિયામાં જ્ઞાનનો યુગ આવ્યો છે ત્યારે ભારત પથદર્શક બન્યું છે. 21મી સદી જ્ઞાનની સદી છે અને માં સરસ્વતીના આશિર્વાદથી ફરી એકવાર આપણો દેશ માનવજાતને રાહ બતાવે તેવી અપેક્ષા.

આજે સવારે ગાંધીનગરમાં હું ભારતીય ક્રિકેટ ટીમના ભુતપૂર્વ કપ્તાન અને મહાન ક્રિકેટર કપીલ દેવને મળ્યો. કપીલ દેવની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતી લીધો હતો, જેની યાદો હજૂ પણ દરેક ભારતીયના મન પર તાજી છે.

ગુજરાતમાં ગયા મહિને ખેલકૂદનું વાતાવરણ છવાયેલું રહ્યું. ગઇકાલે મેં ખેલ મહાકુંભ 2012-13ના સમાપન સમારોહમાં ભાગ લીધો. સમગ્ર રાજ્યના પ્રતિભાવંત ખેલાડીઓની વચ્ચે ઉપસ્થિત રહેવાનો આનંદ અનેરો હતો. ખેલ અને ખેલદીલીના જુસ્સાના પ્રતિબિંબ સમાન આ વિરાટ રમત મહોત્સવમાં તમામ વયજૂથના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્વર્ણિમ જયંતી વર્ષ દરમિયાન યોજાયેલ ખેલ મહાકુંભનમાં 13 લાખ જેટલાં રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આજે 3 વર્ષના ગાળામાં જ આ આંકડો વધીને 25 લાખે પહોંચી ગયો છે. લગભગ 8 લાખ જેટલી મહિલા ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લઇને આ વિરાટ ઉત્સવમાં નારીશક્તિને ઉજાગર કરી હતી. આ ખેલ મહાકુંભમાં પુરુષ ખેલાડીઓના 43 વિક્રમો અને મહિલા ખેલાડીઓના 29 વિક્રમો સહિત કુલ 72 જેટલાં નવા વિક્રમો નોંધાયા છે.

આ વર્ષના ખેલ મહાકુંભમાં 92,000 જેટલાં વિકલાંગ રમતવીરોએ પણ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં તેમને રમતના મેદાનો પર ઝળહળતો દેખાવ કરતા નિહાળીને અત્યંત સંતોષ થયો. આ દરેક ખેલાડી અનેક વિઘ્નો પસાર કરીને અહીં સુધી પહોંચ્યાં હતાં. ક્યારેય હાર ન માનવાના તેમના જુસ્સાને હું દિલથી સલામ કરું છું. તેમનું મનોબળ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.

વિકલાંગ લોકો માટે ખેલકૂદની સંસ્કૃતિ ઉભી કરવા માટે આપણે તમામ પ્રયત્નો કરી રહ્યાં છીએ. ગયા વર્ષે સ્પેશિયલ ઓલમ્પિકસ ફેમિલિએ એક પત્ર દ્વારા ખેલ મહાકુંભ પાછળ રહેલી સાચી વિભાવનાને બિરદાવી હતી. તાજેતરમાં દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલ વર્લ્ડ વિન્ટર ગેમ્સ (સ્પેશિયલ ઓલમ્પિક્સ)માં ગોલ્ડ મેડલ જીતનાર આપણી ગુજરાતી દિકરી માયા દેવીપૂજકનું મેં સન્માન કર્યું હતું. પોતાની પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં પણ પોતાની પ્રતિબદ્ધતાથી તેણીએ સફળતાના નવા સોપાનો સર કર્યાં. આજે આખું ગુજરાત તેની સિદ્ધિ બદલ ગૌરવ અનુભવે છે.

વર્ષ 2012ના અંત ભાગમાં જો અત્યંત લાંબાગાળા સુધી ચુંટણી આચાર સંહિતાનો અમલ ન રહ્યો હોત તો આપણે વર્ષ 2012માં જ ખેલ મહાકુંભનું આયોજન કરી દીધું હોત. જોકે, આ વર્ષે આપણને બે ખેલ મહાકુંભ જોવા મળશે. એક, કે જેનું સમાપન ગઇકાલે થયું અને બીજો ખેલ મહાકુંભ આ વર્ષના અંત ભાગમાં યોજાશે. ખેલ મહાકુંભથી રમત-ગમતને પ્રોત્સાહન તો મળશે જ પણ સાથે-સાથે રમતના મેદાન પર કૌશલ્ય નિર્માણની પરિસ્થિતિ પણ આકાર લેશે. આપણે માત્ર પ્રતિભાવાન ખેલાડીઓ જ પેદા કરવા માગીએ છીએ તેવું નથી, પરંતુ રમત-ગમત સાથે સંકળાયેલ અન્ય તમામ આનુષાંગિક બાબતોનો પણ વિકાસ કરવા પણ માગીએ છીએ.

છેલ્લાં કેટલાંક દિવસોથી એક બાબત મને સતાવી રહી છે. આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમીટી (આઇઓસી) કુસ્તીની રમત 'આધુનિક' ન હોવાનું ક્ષુલ્લક કારણ આપીને વર્ષ 2020ના ઓલમ્પિક્સમાંથી કુસ્તીની બાદબાકી કરવા અંગે વિચારી રહી છે તે વાંચીને મને આંચકો લાગ્યો છે. જે રમત માનવ સંસ્કૃતિના અત્યંત પ્રાચિનકાળથી ખેલાઇ રહી છે તેને 'આધુનિકતા'ના નામ પર દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ખેલ મહોત્સવમાંથી બાદ કરી દેવાથી વધુ અપમાનજનક બાબત બીજી શું હોય!

ભારતમાં મહાભારતના કાળથી કુસ્તીનો ઉલ્લેખ થતો આવ્યો છે. ઓલમ્પિક્સમાં પણ કેટલાંક એશિયાઇ દેશો કુસ્તીમાં ઘણો સારો દેખાવ કરી રહ્યાં છે. આથી આપણી ફરજ છે કે તમામ એશિયાઇ દેશો, સરકારો અને લોકો સાથે મળીને આ એકપક્ષીય અને કમનસીબ નિર્ણયનો વિરોધ કરે. માત્ર કુસ્તીના ખેલાડીઓ જ આ નિર્ણયનો વિરોધ કરે તે જરૂરી નથી, રમતપ્રેમી તરીકે આપણે સૌએ તેનો વિરોધ કરવો જોઇએ. અને આ માટે આપણે છેક સપ્ટેમ્બર, 2013 સુધી રાહ જોવાની જરૂર નથી કે જ્યારે આ અંગેનો આખરી નિર્ણય લેવાશે. આપણે જો કંઇ કરવું હોય તો આજે જ કરવું પડશે.

હું આશા રાખું છું કે આઇઓસી અન્ય કોઇ ક્ષુલ્લક બાબતોમાં ખેંચાયા વિના માત્ર ખેલ અને ખેલાડીઓના હિતને ધ્યાને રાખીને જ પોતાનો નિર્ણય લેશે.

આપનો,

નરેન્દ્ર મોદી

Watch : Shri Modi addresses the Concluding Ceremony of Khel Mahakumbh 2013 in Ahmedabad

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Stranded in Tehran, 50 Iranian Sikhs return safely to India

Media Coverage

Stranded in Tehran, 50 Iranian Sikhs return safely to India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.