મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ ખેલ મહાકુંભમાં ગુજરાતના વિરાટ રમતોત્સવનું સમાપન કરતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતની ધરતી ઉપર દર વર્ષે ખેલ મહાકુંભ યોજાશે.
ગુજરાતમાં સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ધાર વ્યકત કરતાં તેમણે જણાવ્યું કે, રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ માનવ સંસાધન નિર્માણમાં ગુજરાત પહેલ કરશે.
ખેલાડીઓ આ ભારતની ધરોહર છે. અનેક ખેલાડીઓની પ્રતિષ્ઠાથી જ ભારત રમતગમત ક્ષેત્રે શાનદાર ઉંચાઇ મેળવશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ખેલ વિશ્વમાં ગુજરાતની આગવી શકિતની ઓળખ ઉભી કરીએ એવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
ગુજરાતની સ્વર્ણિમ જયંતિના અવસરે ગુજરાતીઓના ખેલ કૌવતની ઓળખરૂપે સમગ્ર ભારતના સૌથી વિરાટ રમતોત્સવની ઐતિહાસિક ઘટના રૂપે ગુજરાતના આ સ્વર્ણિમ મહાકુંભનો પ્રારંભ ૨૦મી નવેમ્બરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયો હતો અને ૨૪ દિવસમાં ચાર વય જુથમાં ૧૬ રમતોની સ્પર્ધાઓ ૧૧૦૦ સ્થળોએ યોજાઇ હતી. જેમાં ૧૩ લાખ ખેલાડીઓ અને સ્પર્ધા આયોજકો રમત પ્રશિક્ષકો મળી કુલ ૧૪ લાખનો ખેલ સમુદાય રમતના મેદાનમાં ખેલદિલીની ભાવના સાથે રમતો રહ્યો હતો.

આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૬ સ્પર્ધાત્મક રમતોમાં ચાર વય જૂથના વિજેતા ખેલાડીઓ વિકલાંગ રમતવીરો અને રાજ્યકક્ષાની વિજેતા ટીમો-રનર્સઅપને ટ્રોફીઓ અને એવોર્ડસ એનાયત કરવામાં આવ્યા હતા. વિજેતા ટીમના જિલ્લાના ખેલાડીઓની માર્ચપાસ્ટ અને સ્વર્ણિમ ખેલ મહાકુંભના થીમ સોંગ સાથે સમાપન સમારોહ પોલીસ સ્ટેડિયમમાં યોજાયો હતો. જેમાં ગુજરાતનો રમતપ્રેમી નાગરિક સમુદાય વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતો. વિજેતા ખેલાડીઓને રૂા.૨૦ કરોડથી વધારે રમત પુરસ્કારો તેમણે એનાયત કર્યા હતા.
ભારતના રાષ્ટ્રીય વિજેતા ખેલાડી એવા ૧૯ રમતવીરોને આ ખેલ મહાકુંભમાં ખાસ સન્માન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.૧ લાખના પ્રત્યેક એવા ૧૯ સન્માન પુરસ્કારથી ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓનું પણ અભિવાદન કરી મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાત સમગ્ર દેશમાં ખેલકૂદ પ્રોત્સાહન માટે નવી પહેલ કરી પથદર્શક બન્યું હતું.
સ્વણિર્મ મહાકુંભની શાનદાર સમાપ્તિની ઘોષણા કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના ખેલપ્રિય નાગરિકો, ખેલાડીઓ, ખેલ આયોજકો આ અપ્રતિમ રમતોત્સવની અદભૂત સફળતા માટે અભિનંદનના અધિકારી છે. ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ખેલકુંભ મહાકુંભ અભિયાનમાં સક્રિય યોગદાન આપવામાં માટે પણ તેમણે અભિનંદન આપ્યા હતા.
દેશના ઉત્તમ ખેલાડીઓને સન્માનિત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, નવયુવાન પેઢીને એમાથી પ્રેરણા મળી રહેશે. રાજ્યના ૧૮૦૦૦ ગામો ખેલના મેદાન બની જાય અને ૧૧૦૦ સ્થળો સ્પર્ધાના દર્શન કરાવે. આ સાચા અર્થમાં ખેલદિલી નિભાવના અને રમત વ્યવસ્થાપનમાં ગુજરાતની ક્ષમતા-નિર્માણની પ્રતિતી કરાવી છે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રમતોમાં રમનારા કોઇ પણ ખેલાડીઓ હોય પરંતુ જીતેગા તો ગુજરાત જ. આ મંત્ર આ રમતોત્સવમાં સાકાર થયો છે. રમતથી જ જીવનમાં પરિશ્રમનું સાચું શિક્ષણ મળે છે.
ભવિષ્યમાં બધી જ રમતોનો ખેલ મહાકુંભમાં સમાવેશ કરાશે તેવો નિર્દેશ આપતાં તેમણે જણાવ્યું કે, ગુજરાતનો આધુનિક વિકાસ જે પંચામૃત શકિત આધારિત થઇ રહ્યો છે તેમાં જનશકિત પણ એક છે અને સ્વર્ણિમ જયંતિ અવસરે આ જનશકિતને નવા સામર્થ્ય રૂપે ઉજાગર કરી છે.
એક જ હેતુથી ગુજરાતની જનશકિતની સાધનારૂપે આ ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ ખેલાડીઓને આહ્વાન કર્યું હતું કે, ભારત માતાની ધરતીની માટીની સુવાસથી ગુજરાતની ધરતી ઉપર ખેલ વિશ્વનું નવું વાતાવરણ ઉજાગર કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી. ભુતકાળમાં આટલો વિરાટ રમતોત્સવ યોજાયો નથી પરંતું ભવિષ્યમાં આથી પણ મોટો રમતોત્સવ ગુજરાતમાં યોજાશે.
રમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ સ્વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ને રમતગમત ક્ષેત્રે ગુજરાતના યશસ્વી ભવિષ્યની ક્ષિતિજ સમાન લેખાવી જણાવ્યું હતું કે, આ ભવ્ય આયોજનના કારણે ગુજરાત પણ આગામી દિવસોમાં રમત ગમત ક્ષેત્રે યશસ્વી દેખાવ કરશે તેવી શ્રધ્ધા જન્મી છે. ખેલ મહાકુંભ-૨૦૧૦ની સફળતા બદલ તેમણે ગ્રામ પંચાયતથી લઇ રાજ્યના વહીવટીતંત્ર સાથે સંકળાયેલ સૌ કોઇનો આભાર માની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સફળતાનો આધાર વિચાર, આચાર અને પરિણામ પર આધારિત છે. અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેલ મહાકુંભના વિચારને સાર્થક કરવા વહીવટીતંત્રે આચારનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા આ પરિણામ મળ્યુ છે તેમ તેમણે જણાવ્યું હતું.
સ્વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ના આજના સમાપન સમારોહમાં રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, સાંસદો, ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી આસિત વોરા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતી તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ તથા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.


