મુખ્યમંત્રીશ્રીએ આતંકવાદી હુમલાઓનો ભોગ બનેલા અને સીમા સુરક્ષા ક્ષેત્રે દેશની રક્ષા માટે ઇજાગ્રસ્ત થયેલા વિકલાંગ સૈનિકો-જવાનોના અંગ પ્રત્યારોપણ માટે સ્ટેમસેલ ટ્રીટમેન્ટ થેરાપીના સંશોધનોનો લાભ મળે તે માટે તબીબો-તજજ્ઞોને હાર્દ ભરી અપીલ પણ કરી હતી.
અમેરિકાની જીઓસ્ટાર (GIOSTAR) સ્ટેમસેલ રિસર્ચ ઇન્સ્ટીટયુટના સહયોગ સાથે અમદાવાદમાં રૂા.35 કરોડના ખર્ચે નવનિર્મિત સેવિયર હોસ્પિટલનું આજે મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. રથયાત્રાના પવિત્ર પર્વે આરોગ્ય સુવિધાઓની આધુનિક સેવારૂપે આ સેવિયર હોસ્પિટલમાં સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટેશન થેરાપીની સવલત ઉપલબ્ધ છે.

જગન્નાથજીની નગરયાત્રાની સાથે આરોગ્ય સેવાની આ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે તેનો આનંદ વ્યકત કરીને મુખ્યમંત્રીશ્રીએ સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ થેરાપી સાથેની આ હોસ્પિટલ દેશમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ છે તેમ પણ જણાવ્યું હતું.
સ્ટેમ સેલ થેરાપી ભારતીય સંસ્કૃતિના પ્રાચિન વેદ વિજ્ઞાનમાં પણ છે અને મહાભારતના કર્ણનો જન્મ આ વિજ્ઞાનની દેન છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ દુનિયામાં સૌથી પુરાતન પ્લાસ્ટિક સર્જરીનું જ્ઞાન ગણેશજીના નિર્માણમાં જ્યાં મસ્તક હાથીનું શરીર મનુષ્યનું છે. આપણે કાળક્રમે પૌરાણિક આરોગ્ય જ્ઞાન વિસરાતું ગયું અને હવે 21મી સદીમાં ગુજરાતે પહેલ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટની સાચી ફલશ્રુતિ માત્ર ઔદ્યોગિક મૂડીરોકાણની સફળતા નથી પરંતુ શિક્ષણ અને આરોગ્યના સેવાકીય માળખાકીય ક્ષેત્રોમાં વિશ્વભરમાંથી ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ અનુસંધાન-સંશોધન ગુજરાતની ધરતી ઉપર લખવામાં સફળતા મેળવી છે અને માનવ વિકાસ સૂચકાંકના ક્ષેત્રો માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમા સર્વાધિક સહયોગ માટેના સમજૂતિના કરારો થયા છે જેની ઘણા બધાને જાણકારી છે.

મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતના વનવાસી ક્ષેત્રમાં વંશવારસાગત એવા સીકલ સેલ એનિમિયાના વર્ષો જૂના પીડાકારક રોગમાંથી આદિવાસીઓને મૂકત કરવા સ્ટેમસેલ થેરાપી સાથે વિદેશના સંશોધનોનો વિનિયોગ કરીને માનવસેવાની આગામી પહેલ કરી છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે સુરતની સિવિલ હોસ્પિટલમાં GIOSTAR-USA સાથે સમજૂતિના કરાર કરીને સીકલસેલ એનિમિયાના વારસાગત રોગમાંથી આદિવાસીઓની પેઢીઓને પીડામૂકત કરવા ખાસ સંસ્થાનનું નિર્માણ કર્યું છે.
ગુજરાતમાં 40 તાલુકા વનવાસી ક્ષેત્રમાં એવા છે ત્યાં વિજ્ઞાનપ્રવાહની માધ્યમિક શાળા જ નહોતી તેવી ઉપેક્ષિત સ્થિતિનો અંત લાવવા દરેક આદિવાસી તાલુકામાં એક વિજ્ઞાન પ્રવાહની માધ્યમિક શાળા શરૂ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસે ગુજરાતમાં આધુનિક આરોગ્ય સારવાર સુવિધાઓનું ફલક પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રાજ્ય સરકાર વિસ્તારી રહી છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આરોગ્ય વિષયક સુવિધા માટે થયેલા એમ.ઓ.યુ.ની ફલશ્રુતિરૂપે ગુજરાતમાં સ્ટેમસેલ થેરાપીની આરોગ્ય સેવાઓનો પ્રારંભ થયો છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.
વિશ્વખ્યાત સ્ટેમસેલ ફીઝીશીયન અને જીઓસ્ટારના ડાયરેકટર સુશ્રી ડૉ. ઇવાએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતે આરોગ્ય સુવિધાઓ સહિત સર્વાંગી વિકાસની જે હરણફાળ ભરી છે તેમાં આજે એક નવું સોપાન ઉમેરાય છે તેમ જણાવી ગુજરાતની વાયબ્રન્સી દુનિયાભરના પૂંજી નિવેષકો માટે આકર્ષણ બની છે તેમ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું.
સેવિયર હોસ્પિટલના ડીરેકટર ડૉ.જેઠવાએ સ્વાગત પ્રવચન તથા શ્રી અશ્વિન શાહે આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે પ્રતિષ્ઠિત તબીબો, આરોગ્ય સેવાક્ષેત્રના અગ્રણીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.


