મારા પ્રિય ગુજરાતી ભાઈ-બહેનો,

ગુજરાતનાં લોકોએ ફરી એકવાર પોતાનો મત જાહેર કરી દીધો છે, અને આ વખતે ખૂબ સ્પષ્ટ રીતે કરી દીધો છે! ૨૦૧૨ ની ગુજરાતની ચૂંટણીઓએ બીજા તમામ ક્ષુલ્લક મુદ્દાઓને બાજુએ હડસેલી ફરી એકવાર વિકાસની રાજનીતિ અને સુશાસન પર પોતાની મહોર લગાવી છે. ગુજરાતની જનતાએ અમારા પ્રતિ જે સ્નેહ દર્શાવ્યો, જે ટેકો આપ્યો અને અમારી પાર્ટી તથા સરકાર પ્રત્યે જે અડગ વિશ્વાસ દર્શાવ્યો એ બદલ હું તેમનો આભાર માનું છું. ગુજરાતનાં લોકોએ અમને પ્રચંડ બહુમતી આપી, અને હું ખાતરી આપું છું કે તમે અમારા પર મુકેલ વિશ્વાસને જાળવી રાખવા અમે કોઈ કસર નહિ છોડીએ.

ખાસ તો હું અંતરનાં ઉંડાણથી ઈશ્વરનો આભાર માનું છું કે તેણે અમને છેલ્લા ૧૧ વર્ષથી ગુજરાતની જનતાની સેવા કરવા માટે અપાર શકિત અને આશિર્વાદ આપ્યા છે. પ્રભુએ આવનારા વર્ષોમાં પણ ગુજરાતની સેવા કરવાનો અવસર આપ્યો એ બદલ અમને આનંદ છે.

આ ગુજરાતના લોકોનો વિજય છે, આ ગુજરાતની નારીશક્તિનો પણ વિજય છે કે જેણે પોતાનો અવાજ બુલંદ બનાવ્યો છે. આ આપણા યુવાનોનો પણ વિજય છે, જેમણે શરૂઆતથી જ આ ચૂંટણીઓનો ભાર પોતાનાં ખભે ઉપાડી લીધો હતો. આ આપણા ખેડુતભાઈઓનો, નબળા વર્ગનાં લોકો અને વરિષ્ટ નાગરિકોનો પણ વિજય છે, જે સતત અમારા પડખે ઉભા રહ્યા. આ વિજય ગુજરાતનાં સર્વસ્પર્શી, સર્વસમાવેશક અને સર્વાંગી વિકાસ-મોડેલનો તથા સુશાસનનો વિજય છે.

મારા જેવા સાવ સામાન્ય ઘરમાં જન્મેલા માણસને આટલા બધા વર્ષો સુધી સમાજની સેવા કરવાનો અમુલ્ય અવસર મળ્યો તેને હું ભારતીય લોકશાહીની તાકાત ગણું છું. હું સામાન્ય લોકોની વચ્ચે રહીને જ મોટો થયો, અને તેમની શુભકામનાઓએ જ મને અહીં સુધી પહોંચાડ્યો છે અને રાત-દિવસ તેમની સેવા કરવાનો આ પવિત્ર અવસર આપ્યો છે.

જે યુવાનો સમાજની સેવા અને રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું યોગદાન આપવા માંગે છે, તેઓ ગુજરાતની આ ચૂંટણીઓમાંથી ઘણું શીખી શકે એમ છે. સખત મહેનતનાં બદલે વંશવાદને જ વધારે મહત્વ મળતું જોઈને ઘણીવાર યુવાનો હતાશ થઈ જતા હોય છે, કે શું રાજનીતિનાં દરવાજા તેમનાં માટે ખુલશે કે નહિ. ગુજરાતે આ પરંપરા બદલી નાખી છે અને દુનિયાને બતાવી આપ્યું છે કે જો તમારામાં પોતાની માતૃભુમિની સેવા કરવાની લગન હોય, અને ભલે ગમે તે થઈ જાય, પણ માર્ગ પરનાં અવરોધો હટાવી દેવાનું સામર્થ્ય હોય તો તમને અવસર મળશે, ભલે તમે ગમે તે જ્ઞાતિ કે વંશનાં હોવ.

ભાજપનાં કાર્યકર્તાઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે, કે જેમણે એક ટીમની જેમ કામ કર્યું અને કમળને અગાઉ ક્યારેય નહોતું એટલું ખીલવવા માટે અથાક મહેનત કરી. આ વિજય ભાજપનાં લાખ્ખો કાર્યકર્તાઓનાં બલિદાન અને નિર્ધારની ગાથા છે.

હું હંમેશથી કહેતો આવ્યો છું કે ગુજરાતની ચૂંટણીઓને લોકો કાયમ યાદ રાખશે, કારણકે આ ચૂંટણીએ ભારતનાં લોકોનો ચૂંટણી પ્રત્યેનો અભિગમ ધરમૂળથી બદલી દીધો છે. જાતિવાદ અને વોટબેંકની રાજનીતિ તથા ‘ભાગલા પાડો અને રાજ કરો’ જેવા વિભાજનકારી મુદ્દાઓને સમૂળગા હડસેલી દઈને ગુજરાતનાં લોકોએ વિકાસનાં મુદ્દાને અગ્રતા આપી છે અને એ રીતે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આજે સમગ્ર ગુજરાત એકમત થઈને ઉભુ છે અને સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે આખરે તો વિકાસની રાજનીતિ અને સુશાસનનો જ વિજય થશે.

મિત્રો, સમયની માંગ છે કે છ કરોડ ગુજરાતીઓ હવે એકજૂથ થઈને ઉભા રહે. અમારી સરકાર એવી નથી કે જેણે અમને મત આપ્યો તેની જ દરકાર કરે, અમે રાજ્યનાં પ્રત્યેક માણસની સુખાકારી માટે ચિંતિત છીએ. ગુજરાતની ગૌરવપૂર્ણ વિકાસયાત્રામાં દરેક નાત, જાત અને વર્ગનાં લોકોનો વિકાસ અને સફળતા અત્યંત આવશ્યક છે.

ગરીબી અને વંચિતતા માણસની નાત-જાત જોઈને નથી આવતા. અને વળી, વોટબેંકની રાજનીતિ અને જાતિવાદનાં સમીકરણોથી આ સમસ્યાઓનો અંત નથી આવતો. જો આપણે લોકોનાં જીવનની ગુણવત્તામાં સુધાર કરવો હશે તો સુશાસન અને વિકાસનાં લાભ છેવાડાનાં માણસને પણ મળી રહે એ સુનિશ્ચિત કરવું પડશે. આ જ અમારું વિઝન રહ્યું છે અને આવનારા વર્ષોમાં પણ અમે આ જ દિશામાં પ્રયાસો ચાલુ રાખીશું.

ગુજરાતની પ્રત્યેક સફળતા અને વિકાસ પાછળ અહીંનાં લોકોનો પરિશ્રમ અને પરસેવો રહેલા છે. અમે માત્ર તમારી મહેનતને ટેકો પૂરો પાડ્યો છે અને એક એવું જનકેન્દ્રી વાતાવરણ ઉભુ કર્યું છે કે જેથી તમે વિકાસ કરીને સુખ-સમૃધ્ધિ પામી શકો. કૃષિક્ષેત્રે ગુજરાતે ક્રાંતિ કરી છે, અને બીજી હરિતક્રાંતિનું જનક બન્યું છે. આપણે ગુજરાતને ઉદ્યોગો માટે સાનુકુળ રાજ્ય બનાવ્યું છે, કે જેથી અહીં મોટા પાયે મૂડીરોકાણ થાય અને ઔદ્યોગિક વિકાસ દ્વારા રોજગારીનું સર્જન થઈ શકે. વીજળી, પાણી અને સડક જેવી પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવા પર ગુજરાતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જેથી તમને પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ ન પડે, અને તેને લીધે તમારો વિકાસ ન રુંધાય. ગરીબી નાબુદી યોજનાઓનાં લાભ લાભાર્થીઓને સીધેસીધા મળી રહે એ માટે આપણે વચેટિયાઓ અને એજન્ટોને દુર કરી દીધા છે.

છેલ્લા દશકમાં ગુજરાતમાં મોટી સંખ્યામાં નવ-મધ્યમવર્ગ ઉભો થયો છે. આ એક એવો વર્ગ છે જેને રાજ્ય સરકારની આર્થિક નીતિઓને કારણે વિકાસનાં ફળ ચાખવા મળ્યા છે, અને જેની સુખ-સમૃધ્ધિ વધવા પામી છે. ગુજરાતનાં સમાજમાં ઉભા થયેલા આ નવા વર્ગની સુખાકારીનો ખ્યાલ રાખવો એ અમારી જવાબદારી છે. તેમની જીવન-ગુણવત્તામાં જે સુધાર આવ્યો છે એ તેમની સખત મહેનતનું પરિણામ છે. આ જ ગુજરાતનું ખમીર છે, આ જ ગુજરાતનો જુસ્સો છે, કે જે કાયમ સમયની કસોટી પર ખરો ઉતર્યો છે.

વારંવાર મને પૂછવામાં આવે છે કે, મોદીજી, આવનાર વર્ષોમાં ગુજરાતનાં વિકાસ માટે તમારું શું આયોજન છે. આવનાર વર્ષોમાં અમે ગુજરાતનાં લોકોની સેવા ચાલુ રાખીશુ અને આપ સૌ માટે પ્રગતિ અને વિકાસની તકો ઉભી કરતા રહીશું. અમે એક એવા ગુજરાતનું નિર્માણ કરીશું જ્યાં માત્ર તમે જ નહિ તમારી આવનારી પેઢીઓ પણ સુખમય જીવન જીવી શકશે. હવે ભવ્ય અને દિવ્ય ગુજરાતનાં નિર્માણની યાત્રાનો પ્રારંભ થયો છે!

મિત્રો, તમે જોજો, આગળ હજી વધુ પ્રગતિ, વિકાસ, સુખ, સમૃધ્ધિ ગુજરાતની રાહ જોઈ રહ્યા છે!

જય જય ગરવી ગુજરાત!

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
On Puri’s Grand Road, a devotee’s submission

Media Coverage

On Puri’s Grand Road, a devotee’s submission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.