નવસારીમાં સદ્દભાવના મિશનમાં જોડાવા અભૂતપૂર્વ જનજાગૃતિનું વાતાવરણ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ ગુરૂવાર તા.ર૦મી ઓકટોબરર૦૧૧ના દક્ષિણ ગુજરાતના નવસારીમાં સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનના અનશનની તપસ્યાનો પ્રારંભ જનતા જર્નાદનના આશીર્વાદ લઇને કરશે. મુખ્યમંત્રીશ્રીના સદ્દભાવના મિશનને અભૂતપૂર્વ જનસમર્થન મળી રહ્યું છે અને દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપરથી શરૂ થયેલા સદ્દભાવના મિશનના જિલ્લા અભિયાનના અનશનમાં જોડાવા નવસારીમાં પણ અભૂતપૂર્વ જનજાગૃતિનું વાતાવરણ ઉભૂં થયું છે, તેમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનની રૂપરેખા આપતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સદ્દભાવના મિશનના જિલ્લા અભિયાન પ્રારંભે પૂર્વે નાગરિકો જોગ પાઠવેલા પત્રમાં સદ્દભાવના મિશનમાં જોડાઇ જવા કરેલી સંવેદનાસભર અપીલનો અભિગમ ઝીલી લેતા અનેક મહાનુભાવો, સંતોમહંતો, સમાજના વિવિધ વર્ગ સમૂહોના આગેવાનો તથા સ્વૈચ્છિક સંગઠ્ઠનો દ્વારા ઉપવાસમાં જોડાવા અને આ સદ્દભાવના મિશનમાં પોતાનું યોગદાન આપવા માટેની તત્પરતા અને શુભકામનાના સંદેશાઓ અવિરત મળી રહ્યા છે એમ પણ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીના સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનનો પ્રારંભ શ્રી નરેન્દ્રભાઇ મોદી નવસારીના લુન્સીકુઇ મેદાનમાં જિલ્લાના ગણદેવી, વાંસદા, ચિખલી, જલાલપોર અને નવસારી તાલુકાની વિશાળ જનમેદનીની ઉપસ્થિતીમાં કરશે. મુખ્યમંત્રીશ્રીના આ સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનને વ્યાપક જનસમર્થન આપતા મુખ્યમંત્રીશ્રી સાથે પાંચ હજારથી વધુ નાગરિકો પણ સદ્દભાવના શકિતથી આ અનશનમાં જોડાશે તેમ પણ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું. આ સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનનો પ્રારંભ સવારે ૧૦.૦૦ કલાકે પૂજ્ય ગાંધી બાપૂને પ્રિય એવી આશ્રમ ભજનાવલિના ભજન અને પ્રાર્થનાથી થશે.
મુખ્યમંત્રીશ્રી અનશનના પ્રારંભ પૂર્વે જનતા જર્નાદન અને સંતોમહંતો, ધર્મગુરૂઓના આશીર્વાદ મેળવશે. પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે નવસારીમાં યોજાઇ રહેલા સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનના અનશન દરમિયાન સવારથી સાંજ સુધી વિવિધ ધર્મ સંપ્રદાયોના પ્રતિનિધિઓ સંતોમહંતો તથા સમાજ સંગઠનો સ્યમભૂ ઉપસ્થિત રહી સદ્શકિતને બળ આપશે. પારસી ધર્મ પ્રતિનિધિશ્રી હર્ષન મોગૂલ, પ્રજાપિતા બ્રહ્માકુમારીના બી. કે. ગીતાબેન, ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ ફાધર રોબોટ મેકિયોડો તથા મુસ્લિમ ધર્મના પ્રતિનિધિ શેખ મુસ્તીનશીલ ઉપરાંત જગતપાવન સ્વામી, મોક્ષ માર્ગના શ્રી ડાહ્યાભાઇ, ભારત સેવા સંઘના ભ્રાતાનંદજી મહારાજ અને જૈનાચાર્ય પૂજ્ય રાજરક્ષિત વિજય મહારાજ સાહેબ શુભેચ્છા સંદેશ અને આર્શીવચન પાઠવશે.
મુખ્યમંત્રીશ્રીના આ સદ્દભાવના મિશનમાં સૂર પૂરાવતા વનવાસી પરિવારો મુખ્યમંત્રીશ્રી પ્રેરિત વનબંધુ કલ્યાણ યોજનાથી તેમના જીવનમાં આવેલ આર્થિક ઉણતીની અનુભવ ગાથા વર્ણવશે. સદ્દભાવનાની સદ્શકિતના સંદેશ સાથે, ઓરિસ્સામાં પૂર અસરગ્રસ્તોની સહાયતા માટે સાત ટ્રક રાહત સામગ્રી મુખ્યમંત્રીશ્રીના સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનના આ અવસરે પહોંચાડવાનું આયોજન પણ સ્થાનિક સેવા સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે તેમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું. સદ્દભાવના મિશનના આ અવસરે ઓરિસ્સાના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય મહાનુભાવો મુખ્યમંત્રીશ્રીના આ અભિયાનને સમર્થન આપવા વિશેષ ઉપસ્થિત રહેવાના છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી સદ્દભાવના મિશનના આ જિલ્લા અભિયાન અંતર્ગત નવસારી શહેરના વિકાસમાં પારસી કોમના સખાવતી યોગદાન અંગેના ભીંત ચિત્રોવોલ પ્રેન્ટીંગ સદભાવના કોર્નર નિહાળશે અને નવસારી જિલ્લાની પ્રખ્યાત અમલસાડ કલાવિદ્યાલયના વિદ્યાર્થીઓના ચિત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન પણ કરશે.
છેલ્લા એક દશકથી ગુજરાત વિરોધી અપપ્રચારની આંધી અને બદનામીના પેંતરાઓથી વિચલીત થયા વગર વિકાસની યાત્રા લગાતાર આગળ ધપાવી છે એનું શ્રેય મુખ્યમંત્રીશ્રીએ છ કરોડ ગુજરાતીઓના પુરૂષાર્થ અને શાંતિ, સૌહાર્દ તથા ભાઇચારાના સામર્થ્યને આપ્યું છે, તેને જિલ્લા અભિયાનથી જનજન સુધી વિસ્તારવામાં મુખ્યમંત્રીશ્રીનો આ પ્રેરક પ્રયાસ નવું જોમ પૂરૂં પાડી રહ્યો છે, તેમ પ્રવકતા મંત્રીશ્રીઓએ ઉમેર્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ પણ મુખ્યમંત્રીશ્રીની અપીલને માન આપીને સદ્દભાવના મિશનમાં જોડાવા અપીલ કરતા એવી અભિલાષા દર્શાવી છે કે શ્રી નરેન્દ્રભાઇ મોદીના આ ઉપવાસને સામાજિક સદ્દભાવના અને વિકાસને વરેલા સહુ કોઇનું સમર્થન પ્રેરણાબળ પુરૂ પાડશે.


