ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશ કુમારની પ્રશંસા કરી હતી. ગુજરાત અને પંજાબ વચ્ચે લોહીનો સબંધ હોવાનું કહેતાં તેમણે જણાવ્યું હતું કે શહીદ થયેલા પાંચ પંજપ્યારેમાં એક પ્યારે ગુજરાતના હતા.તેમણે સંસદ પર હુમલાકેસમાં ફાંસીની સજા પામેલા ખૂંખાર ત્રાસવાદી અફઝલ ગુરુને ફાંસીને માંચડે લટકાવવાના મુદ્દે વોટબેંકની રાજકીય રમત રમવાનો કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો છે.
અફઝલનો નંબર આવશે ત્યારે તેને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવવાના રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં લોકોને રેશન અને આવશ્યક ચીજવસ્તુઓથી માંડીને નોકરી મેળવવા માટે પણ લાઇનમાં ઊભા રહેવું પડે છે. હવે અફઝલ ગુરુની ફાંસીની સજા પણ લાઇનમાં છે. તેમણે સભામાં ઉપસ્થિત લોકોને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, શું તમે કદી સાંભળ્યું છે કે, ફાંસીને માંચડે લટકવા માટે પણ અપરાધીને લાઇનમાં રહેવું પડે છે ?
શીખોને આકર્ષવા માટે રાહુલ ગાંધીએ શનિવારે કરેલા નિવેદનનો જવાબ આપતા મોદીએ એવું પૂછયું કે, ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ વૈધની હત્યા બદલ દોષિત ઠરાવાયેલા શીખ સમુદાયના યુવાનને ફાંસીની સજા આપવા માટે કોંગ્રેસ સરકારે માત્ર ૧૫ મિનિટમાં નિર્ણય લીધો હતો અને હવે શા માટે અફઝલ ગુરુને ફાંસીને માંચડે લટકાવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે ? સુપ્રીમકોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ શીખ યુવાનના પરિવાર દ્વારા દયાની અરજી કરવામાં આવી હતી અને તે વખતની કોંગ્રેસ સરકારે ૧૫ મિનિટમાં નિર્ણય લઇને ૨૪ કલાકમાં જ તેને ફાંસીને માંચડે લટકાવી દીધો હતો.
કષિ વિકાસદરમાં ગુજરાત અગ્રેસર હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે પંજાબ અને ગુજરાત દેશના કષિ ઉત્પાદનમાં મહત્ત્વનો હિસ્સો ધરાવે છે. લાલબહાદુર શાસ્ત્રીની સરકાર પછી એકમાત્ર અટલબિહારી વાજપેયીની સરકાર એવી હતી જેના સમયમાં દેશમાં અન્ના ભંડારો અખૂટ રહ્યા હતા. ડો.મનમોહનસિંઘની સરકારમાં ભારતે અનાજની આયાત કરવી પડી તેવી સ્થિતિ સર્જાઈ છે.


