Co-operative, not Coercive Federalism for Strong Republic

Published By : Admin | January 25, 2012 | 09:30 IST

પ્રિય મિત્રો,

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ નો દિવસ આપણા દેશનાં ઈતિહાસનો એક અત્યંત મહત્વનો દિવસ છે. આ જ દિવસે દુનિયાનું સૌથી વિસ્તૃત એવું આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું.ડો.બાબાસાહેબ આંબેડકરની આગેવાનીમાં આપણી સંસ્કૃતિનાં આદર્શો અને મૂલ્યો તથા દેશનાં લોકોની આકાંક્ષાઓને બંધારણમાં વણી લેવામાં આવી. સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીનાં આયોજનને પણ આ વર્ષે ૬૦ વર્ષ પૂરા થશે.

પ્રજાસત્તાક થયાની શરૂઆતથી જ આપણે દુનિયાને બતાવી આપ્યું છે કે ભારતની લોકશાહી વાઈબ્રન્ટ લોકશાહી છે અને પુખ્તવય મતાધિકારનાં વૈશ્વિક નિયમનાં અમલીકરણમાં આપણે કોઈ કચાશ રાખી નથી. બ્રિટનને  ‘One man one vote’ અને ‘One vote for all’ ની વિભાવનાયુક્ત 
મેગ્ના કાર્ટા સહિતનાં સંખ્યાબંધ સુધારણા કાયદાઓનાં અમલમાં સદીઓ લાગી ગઈ. અમેરિકાએ ૨૦મી સદીની શરૂઆતમાં સ્ત્રીઓને મતાધિકાર આપ્યો, જ્યારે આફ્રિકન અમેરિકન્સને છેક ૧૯૬૪ માં મતાધિકાર આપવામાં આવ્યો. બંધારણસભામાં બેઠેલાં આપણા વડવાઓની દૂરદ્રષ્ટિને પરિણામે શરૂઆતથી જ ભારતની પૂર્ણ ન્યાયિક એવી લોકશાહી નોંધપાત્ર વિકાસ પામી છે.

બંધારણનાં ઘડવૈયાઓએ પોતાની સમજસૂઝથી સરકારને સમવાયતંત્રનું સ્વરૂપ આપ્યું જેમાં કેન્દ્ર અને રાજ્યને દેશનાં વિકાસ માટે સરખા ભાગીદાર ગણવામાં આવ્યા. ભારતીય રાજ્યો માટેની Federal in structure, unitary in spiritની ઉકિત એમ જ પ્રચલિત નથી બની. પ્રચુર વૈવિધ્ય ધરાવતો આપણો વિશાળ ભારત દેશ એક વાઈબ્રન્ટ સમવાયતંત્ર વિના જીવંત રહી શકે નહિ. દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર જુદા જુદા રાજ્યોની પોતીકી ક્ષમતાઓ અને  જરૂરિયાતોને હંમેશા ન્યાય આપી ન પણ શકે. જ્યારે રાજ્ય સરકાર લોકોની વધુ નજીક છે અને તેથી જ તે લોકોની જરૂરિયાતોને વધારે સારી રીતે સમજી શકે છે અને સુશાસન દ્વારા તેમની અપેક્ષાઓને વધુ સારી રીતે સંતોષી શકે છે.

પરંતુ માત્ર અને માત્ર દિલ્હીની ગાદીએ બેઠેલા રાજવીઓનાં તરંગી હિતોની પુષ્ટિ માટે દેશની સમવાયપ્રણાલી પર બંધારણીય મુલ્યોનાં હ્રાસસમાન કુઠારાઘાત થઈ રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. યોજનાબધ્ધ રીતે દેશની સમવાય પ્રણાલીનાં ચૂરેચૂરા કરવામાં આવી રહ્યા હોય એમ દેખાઈ રહ્યું છે. ભારત જેવા પ્રજાસત્તાક દેશનો વહીવટ એક કૌટુંબિક પેઢીની જેમ ચલાવી શકાય નહિ. આવો વહીવટ દેશને અરાજકતા અને નાશ તરફ દોરી જશે.

અનેકવિધ રીતોએ દેશની સમવાય પ્રણાલી પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. દુર્ભાગ્યે કેન્દ્રએ જે બાબતોમાં વિશેષ હિંમત બતાવવી જોઈએ ત્યાં તે સાવ નિર્બળ પૂરવાર થયું છે. દેશ આતંકવાદ અને નક્સલવાદ જેવા જોખમોનો શિકાર બનેલો છે છતાંય કેન્દ્ર મહત્વનાં પગલાઓ લેવામાં ઢીલ કરી રહી છે. ગુજરાત વિધાનસભામાં ગુજકોક વિધેયક ત્રણ-ત્રણ  વખત પસાર થયા છતાંય કેન્દ્રએ ચાર વર્ષથી તેને લટકાવી રાખ્યું છે. બંધારણમાં કાયદો અને વ્યવસ્થાને લગતી બાબતો સ્પષ્ટપણે ‘રાજ્યોની સૂચિ’માં દર્શાવી હોવા છતાંય કેન્દ્ર તેમાં દખલઅંદાજી કરે છે. જે સરકાર માત્ર વોટબેંકની રાજનીતિનાં આધારે જીવતી હોય તેની પાસે આથી વધુ શું અપેક્ષા રાખી શકાય?

કેન્દ્ર પાસે રાજ્યોની સાથે મિત્રતાભર્યા અને સહકારયુક્ત વલણની અપેક્ષા રાખવામાં આવતી હોય તેવી બાબતોમાં ઉલ્ટાનું કેન્દ્ર રાજ્યોને વારંવાર દબાવવાનો પ્રયત્ન કરે છે. એવી કોઈપણ બંધારણીય સંસ્થા નથી જેનો ઉપયોગ કેન્દ્રએ રાજ્યોને દબાવવા માટે ન કર્યો હોય. બિન-યુપીએ રાજ્યોને રાજ્યપાલનાં માધ્યમથી નિશાન બનાવાયા હોય એવા સંખ્યાબંધ દાખલા છે. વિરોધપક્ષ સત્તામાં હોય એવા રાજ્યોને નબળા પાડીને રાજકીય લાભ ખાટવા બીજી પણ કેટલીક સંસ્થાઓનો ગેરઉપયોગ કેન્દ્ર કરે છે. અત્યંત મહત્વની ગણાય એવી નિમણુંકો કરતા પહેલા જે-તે રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે વિચારવિમર્શ પણ કરવામાં આવતો નથી, ઉલ્ટાનું આ ભુમિનાં કાયદાઓને બાજુએ હડસેલીને નિમણુંકો કરી દેવામાં આવે છે.

બંધારણમાં દર્શાવેલ સમવર્તી સૂચિની બાબતો અંગે સલાહ-માર્ગદર્શન મેળવવાનાં હેતુથી ભુતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સરકારિઆ કમિશનની નિમણુંક કરી હતી. પણ આજે દસકાઓ વીતી ગયા હોવા છતાં પણ સરકારિઆ કમિશનનાં સૂચનોનો અમલ થયો નથી. NACએ રાજ્યોની સાથે કોઈ વિચારવિમર્શ કર્યા વિના કોમ્યુનલ વાયોલન્સ વિધેયક બનાવી દીધું છે. આ પ્રકારનાં વિધેયક દેશમાં શાંતિનાં વાતાવરણને તોડી પાડશે, પણ કેન્દ્રનાં સત્તાધીશોને તેની કોઈ પરવાહ નથી. આ પ્રકારનાં મામલાઓમાં જો રાજ્યોનાં સૂચન લેવામાં આવે અને જો તેનો કારભાર રાજ્યોને સોંપવામાં આવે તો વધારે સારા પરિણામો મેળવી શકાય છે.

નાણાકિય બાબતોમાં તો વળી સમવાય પ્રણાલીનો હજીય વધુ વિનાશ નોંતરવામાં આવી રહ્યો છે. જનતાનાં ભલાને નામે અને જનઅધિકારોને નામે વધુને વધુ નાણાનો પ્રવાહ દિલ્હી તરફ વાળવામાં આવી રહ્યો છે. નાણાપંચે નાણાનાં અત્યંત મોટા સ્ત્રોતની ફાળવણી કેન્દ્રને કરી છે જ્યારે રાજ્યોને સાવ નજીવો હિસ્સો આપવામાં આવ્યો છે. જનકેન્દ્રી યોજનાઓની જાહેરાત કરીને તેના અમલની નાણાકિય જવાબદારી રાજ્યોને શિરે ઢોળી દેવામાં કેન્દ્ર માહેર બની ગયું છે. રાજ્યોને ભંડોળ આપીને કેન્દ્ર તેમની ઉપર ઉપકાર કરે છે એમ નથી, પૂરતા પ્રમાણમાં કેન્દ્રિય ભંડોળ મેળવવું એ તો વિકાસ સાધવા સારુ રાજ્યોનો હક્ક બને છે.

આજે દેશનું અર્થતંત્ર નબળુ છે અને દેશ વ્યાપક ભૂખમરા તથા ભાવવધારાની અસરો હેઠળ ઢસડાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર આમાં પણ રાજનીતિ ખેલી રહ્યું છે. અનાજનાં સંગ્રહિત જથ્થાને બહાર લાવવા કેન્દ્ર સરકાર દેશભરમાં છાપા મારી રહી છે જેમાંથી મોટા ભાગનાં છાપા બિનયુપીએ શાસિત રાજ્યોમાં પાડવામાં આવી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ભારતનાં સૌથી મોટા રાજ્યો પૈકી ઘણાં રાજ્યોમાં યુપીએનું શાસન છે અને યુપીએ શાસિત રાજ્યોમાં તાજેતરમાં સૌથી વધુ પ્રમાણમાં ખેડુતોની આત્મહત્યાનાં કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.

આજે આ ચિંતા હું આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું એ માત્ર મુખ્યમંત્રી હોવાને નાતે જ નથી કરતો પણ ભારતનાં એક સામાન્ય નાગરિક હોવાને નાતે પણ કરુ છું. એવું કેમ છે કે દરેક પક્ષનાં મુખ્યમંત્રીઓ ભારતનાં સમવાયતંત્ર પર થતા આ વારંવારનાં હુમલાઓ અંગે ગંભીર ચિંતા જતાવી રહ્યા છે? હવે સમય પાકી ચૂક્યો છે કે કેન્દ્ર સમજે કે રાજ્યોને તેમનાં હક્કનું આપી દેવાથી કેન્દ્ર નબળું નહિ પડે. રાજ્યોએ કેન્દ્ર સાથે સહકારમાં અને સમાન દરજ્જામાં કામ કરવું જોઈએ અને તેમનાં હુકમપાલક માત્ર બનીને ન રહેવું જોઈએ.દબાણપૂર્વકનું નહિ પણ સહકારપૂર્વકનું સમવાયતંત્ર આપણા દેશનો માનદંડ બનવું જોઈએ.

મિત્રો, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. આ અવસરે ચાલો આપણે સૌ ‘અનેકતામાં એકતા’ની વિભાવનાને ચરિતાર્થ કરતાં એક સાચા સમવાયી ભારતનાં નિર્માણનો સંકલ્પ કરીએ. ચાલો, સૌનો સાથ, સૌનો વિકાસ નાં મંત્ર સાથે આપણે સૌ ગાંધીજીની સુરાજ્યની સંકલ્પના સાકાર કરીએ. આ જ બંધારણનાં ઘડવૈયાઓને આપેલ સાચી શ્રધ્ધાંજલિ લેખાશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From 8 PM Announcements To Midnight Reels: Prime Minister Modi Leads Algorithmic Pivot To Connect With Gen Z

Media Coverage

From 8 PM Announcements To Midnight Reels: Prime Minister Modi Leads Algorithmic Pivot To Connect With Gen Z
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.