
સિંગરવા-કઠવાડા ભૂગર્ભ ગટર યોજના અને સિંગરવા તળાવ વિકાસના કામોનો પ્રારંભ
ગુજરાતે ગરીબી સામે જંગ માંડયો છે ત્યારે વાંકદેખા લોકો ગરીબોના નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે
કાર કંપનીઓ ગુજરાતમાં 50 લાખ કારો બનાવશે તેનાથી પાંચ કરોડ યુવાનોને રોજગારીની તકો મળશે તે વાંકદેખા લોકો સ્વીકારવા તૈયાર નથી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઔડાએ બાંધલા 8000 આવાસોની શહેરી ગરીબ લાભાર્થીઓને ફાળવણી માટેનો કોમ્પ્યુટર ડ્રો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતે ગરીબી સામે જંગ માંડયો છે પણ કેટલાક વાંકદેખા લોકો ગરીબોના નામે રાજકિય રોટલા શેકવા નીકળી પડેલા છે, તેમનામાં ગરીબોના કલ્યાણની ચિંતા નથી.
ગુજરાતમાં દુનિયાની કાર કંપનીઓ આવી રહી છે અને વર્ષે 50 લાખ કારો બનવાની છે ત્યારે એક કારના ઉત્પાદનથી દશ યુવાનોને રોજગારીની તક મળવાની છે તે જોતાં પાંચ કરોડ યુવાનોને આ કાર ઓટો સેકટરમાં જ રોજગારી મળવાની છે પણ વાંકદેખા લોકો આ સ્વીકારવા તૈયાર નથી. રૂા.175 કરોડના ખર્ચે ઔડા વિસ્તારમાં દશ સ્થળોએ શહેરી ગરીબોના 8076 આવાસો બનાવ્યા છે તેની ફાળવણીના કોમ્પ્યુટર ડ્રોનો આ સમારંભ સીંગરવામાં યોજવામાં આવ્યો હતો. તેની સાથો સાથ રૂા.17 કરોડથી અધિક ખર્ચે સિંગરવા-કઠવાડાની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત અને સિંગરવાના તળાવોનું આધુનિકરણ રૂા.પાંચ કરોડના ખર્ચે કરવાના કાર્યનો આરંભ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થયો હતો. આ સરકાર ગરીબો માટે છે અને નોંધારાનો આધાર છે. શહેરોમાં વસતા ગરીબો માટે રૂા.1700 કરોડના આવાસો બનાવવાનો પ્રોજેકટ આ સરકારે જ હાથ ધર્યો છે.
ગુજરાતની સ્થાપના પહેલાં 40 વર્ષમાં જેટલા મકાનો ગરીબો માટે બંધાયા તેના કરતાં આ સરકારે લાખો મકાનો ગરીબોને બાંધી આપ્યા છે. ગરીબોને સારૂ ઘર મળે તો તે ગરીબી સામે લડવાની શકિત મેળવે છે. ‘‘જયાં ઝુંપડું ત્યાં મકાન''ની યોજના આ સરકારે જ અમલી બનાવી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. જે ગરીબ લાભાર્થીને આ આવાસ અપાયા છે તેમની પાસેથી બે વચન લેતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક પરિવાર પોતાના સંતાનને ભણાવે અને દિકરીની ભૃણ હત્યાનું પાપ આચરશે નહિ તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. આવાસ મેળવતા ગરીબ લાભાર્થીઓને તેમણે ઓશિયાળી જીંદગી જીવવી નથી તેવો સંકલ્પ પણ લેવડાવ્યો હતો. ગરીબ લાભાર્થીને અંદરો અંદર સંમતિથી આવાસની અદલા બદલી કરી શકશે તેમ પણ તમેણે જણાવ્યું હતું.
હવે ગ્રામ્ય ક્ષેત્રમાં સ્વર્ણિમ આવાસ યોજના બનાવીને હાઉસિંગ કોલોનીની નવી યોજના એક જ સાથે ગરીબોને વસાવીને તેને આધુનિક માળખાકીય સુવિધા પુરી પાડવાનો ક્રાંતિકારી અભિગમ અપનાવ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ ગરીબ પરિવારોની પડખે ઊભા રહીને જન્મથી મૃત્યુ સુધી એકે એક પ્રસંગે સરકાર મદદરૂપ કઇરીતે થાય છે તેની પણ સવિસ્તાર રૂપરેખા આપી હતી. ગરીબોના ઘરમાં ગર્ભસ્થ શિશુ, પ્રસુતા-સગર્ભા માતાની જીંદગીની સલામતી, નાના શિશુ-ભુલકાઓને પોષણ, આંગણવાડીના ભુલકા, સગર્ભા માતા, કિશોરીને કુપોષણ સામે રક્ષણ, રહેઠાણથી છાત્રાલયની સુવિધા આપી અને ઉચ્ચ શિક્ષણ, કોલેજનું શિક્ષણ, વકીલ-ડૉકટર બનાવવાનું શિક્ષણ આ બધા માટે લાખો રૂપિયા સરકાર ગરીબના હાથમાં મુકે છે, તેના કુટુંબને પગભર બનાવવાની સહાય, સસ્તા અનાજ અને તંદુરસ્ત જીવન જીવવાની યોજના પણ આ સરકાર કરે છે, ગરીબ બાળકના ગંભીર રોગની બધી જ સારવાર સરકાર પોતાના ખર્ચે કરે છે.
ગરીબોનો હાથ પકડીને ગરીબ કલ્યાણ મેળા યોજીને ચાર-પાંચ હજાર કરોડના લાભો આપે છે. ગરીબ વિધવા અને વૃધ્ધોને પેન્શન પણ આ સરકાર આપે છે. ગુજરાતે ગરીબી સામે જંગ માંડયો છે પણ કાર્યશૈલી એવી છે કે કેટલાક વાંક દેખા લોકોને ગરીબના કલ્યાણની વાતમાં રસ નથી, રાજકિય રોટલા શેકવા સિવાય આવા લોકો ગરીબની પીડા સમજવા તૈયાર નથી. ગરીબોના હુન્નર-કૌશલ્યની તાલીમની વ્યવસ્થા કરીને તેને રોજગાર માટે સહાય અપાવી છે, શહીરી ગરીબ સમૃધ્ધી યોજના રૂા.13,000 કરોડની સુખાકારી વિકાસની યોજના અમલમાં મુકી છે.
ગુજરાતે નવા કારખાના-ઉદ્યોગો લાવીને ગરીબોને રોજગારીની સુવિધાના અવસરો અપાવ્યા છે. નવી કાર કંપનીઓ આવી રહી છે. વર્ષે 50 લાખ કાર બનશે. એક કારના ઉત્પાદનમાં દશ વ્યકિતને રોજીરોટી ગણતાં પાંચ કરોડ યુવાનોને રોજગારી મળવાની છે. હવે ખેતીકામ માટે ગામડામાં મજૂરો મળતા નથી, આ સ્થિતિએ ગરીબોની તાકાતમાં વધારો કર્યો છે. શહેરી વિકાસમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આક્રમક શૈલીમાં ગરીબો માટે મગરના આંસુ સારનારા વિપક્ષની વિકૃત માનસિકતાની આલોચના કરી તેમને ગરીબોના વિરોધી અને ભ્રષ્ટાચારના ભોગી ગણાવ્યા હતા. સંસદસભ્ય શ્રી હરિન પાઠક, મેયર શ્રી આસિત વોરા, ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કાર્પોરેટરશ્રીઓ અને પંચાયત અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ સંખ્યામાં નાગરિકોનું અભિવાદન કર્યું હતું