મહાત્મા મંદિરમાં વિવેકાનંદ જયંતિએ વિશાળ યુવા સંમેલન
ગુજરાતના યુવાનોના સામર્થ્ય અને સશક્તિકરણ માટે યુવાનીતિ અમલમાં મુકાશે
વિવેકાનંદનું સપનું સાચું પડશે જ, ભારતને જગદ્ગુરૂ બનાવવા યુવાશક્તિને આહ્વાન
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ શક્તિ નોલેજજ્ઞાનની ભાગીદારી બની ગઇ છે, એમ આજે મહાત્મા મંદિરમાં યુવા સંમેલનને સંબોધતાં જણાવ્યું હતું.આજે સ્વામી વિવેકાનંદ જયંતિએ આ યુવાશક્તિને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોના સામર્થ્ય અને સશક્તિકરણ માટે નવી ‘‘યુવા નીતિ’’ અમલમાં આવશે.
ગુજરાતમાં વિવેકાનંદની ૧પ૦મી જયંતિના યુવાશક્તિ વર્ષે ગુજરાતભરમાં વિવેકાનંદ યુવા કેન્દ્રોમાં યુવા પ્રવૃત્તિઓ ધબકતી કરીને યુવા પેઢીને સમાજસેવા અને ગરીબોની સેવા માટેની સક્ષમ સ્વૈચ્છિક સંસ્થાઓના ધબકતી ચેતનાનું પ્રગટીકરણ કરવું છે, એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

જીવનમાં કંઇક બનવા માટેના સપના સંયોજવાને બદલે જીવનમાં કંઇક કરવાના સપના જોવા અને તેને સાકાર કરવાનું લક્ષ્ય પાર પાડવા તેમણે આહ્વાન કર્યું હતું.
સ્વામી વિવેકાનંદે યુવાનોને આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે નહીં પરંતુ માનવ સેવા માટેના સંકલ્પની પ્રેરણા આપી હતી. ભારતમાં ગરીબી, બેકારી અને બિમારીના નિરાશાજનક વાતાવરણને બદલવા તેમણે યુવાનોને સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું. આજે યુવાનોમાં નિરાશાનું વાતાવરણ છે તેમાં સ્થિતિ બદલવા યુવાનો સામર્થ્યવાન બને એની પ્રેરણા તેમણે આપી હતી.
યુવા માનસમાં તરંગી ઇચ્છા નહીં પરંતુ સ્થાયી ઇચ્છારૂપે સંકલ્પ અને તેમાં પરિશ્રમથી સિદ્ધિની જીવન સફળતાનો માર્ગ અપનાવવાનું માર્ગદર્શન મુખ્ય મંત્રીશ્રીએ આપ્યું હતું.
‘‘અમે એવું ગુજરાત બનાવવા માંગીએ છીએ જયાં યુવાનોના જ્ઞાન અને સામર્થ્યની પૂજા અને ગૌરવ વિશ્વ કરે એવું ગુજરાત જયાંનો યુવાન વિશ્વમાં પોતાની શક્તિથી પ્રભાવી બને, જ્ઞાનકૌશલ્યની શ્રેષ્ઠતાનું પ્રદાનયોગદાન કરે’’ એવા ભવ્ય ગુજરાતના નિર્માણની મુખ્ય મંત્રીશ્રીએ પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
યુવાનો માટે જ્ઞાનકૌશલ્ય શ્રેષ્ઠ બને તે હેતુથી વિશ્વની ઉત્તમ યુનિવર્સિટીઓ સાથે સહભાગીદારી કરવાની ઇન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સ યોજીને ૧૦૦ ઉપરાંત યુનિવર્સિટીઓ સાથે મંથન કરવામાં આવ્યું તે ઐતિહાસિક ઘટનાના યશદાયી સંકેતો તેમણે યુવા સંમેલનમાં આપ્યા હતા.
ગુજરાત વિશ્વમાંથી શ્રેષ્ઠત્તમ યુવાપેઢીને માટે અપનાવીને યુવાસામર્થ્ય દ્વારા વિશ્વને શ્રેષ્ઠત્તમ આપવા પ્રતિબદ્ધ છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ સદી જ્ઞાનની છે, યુવા સામર્થ્યની છે, હિન્દુસ્તાનની યુવા આયુ વિશ્વમાં સૌથી યુવા દેશની છે. યુવાનોના આ સામર્થ્યની ઓળખ દુનિયાને કરાવવાનો નિર્ધાર મુખ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.


