પાંચ વર્ષમાં ગામના વિકાસની તાસીર બદલાય એવો ઉત્તમ વહીવટ કરવા સમરસ સરપંચોને આહ્‌વાન કરતા મુખ્‍યમંત્રીશ્રી

રાષ્‍ટ્રપતિ સર્વસંમતિથી ચૂંટાય તો લોકશાહીની જીત અને ગ્રામ પંચાયત સમરસ બનાવવા મુખ્‍ય મંત્રી પ્રેરણા આપે તો લોકશાહીનું ખૂન !!

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રદેશના સાત જિલ્લાઓના સમરસ સરપંચોનું મોરબીમાં સંમેલન-અભિવાદન

પપ૮ સમરસ ગ્રામ પંચાયતોને રૂા. ૧૪.૭૦ કરોડના પ્રોત્‍સાહન પુરસ્‍કારો

ગામડામાં સમૃદ્ધ જીવનને ઉંચે લઇ જવાનું સહષાબાહુ નેતૃત્‍વ એટલે સમરસ સરપંચો અને ગ્રામ પંચાયતોઃ

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સાત જિલ્લાઓમાં સર્વસંમતિથી ચૂંટાયેલી પપ૮ ગ્રામ પંચાયતો અને સમરસ સરપંચોનું મોરબીમાં અભિવાદન કરતાં અને રૂા. ૧૪.૭૦ કરોડના પ્રોત્‍સાહક પુરસ્‍કારોનું વિતરણ કરતા પાંચ વર્ષમાં ગામના વિકાસ માટે એવો ઉત્તમ વહીવટ કરીએ એવું સમરસ સરપંચોને પ્રેરક આહ્‌વાન કર્યું હતું.

ગામનું એવું વાતાવરણ બનાવીએ કે સરપંચ અને ગ્રામ પંચાયતનો સમરસ વહીવટ નવા કિર્તીમાન સ્‍થાપે એવી અભિલાષા તેમણે વ્‍યકત કરી હતી.

સમરસ ગ્રામ પંચાયતની રૂપરેખા મુખ્‍ય મંત્રીશ્રીએ ઓકટોબર-ર૦૦૧માં શાસન સંભાળ્‍યું ત્‍યારથી શરૂ કરી છે. આજે છેલ્લી ચૂંટણી ડિસેમ્‍બર-ર૦૧૧માં થઇ ત્‍યારે ૧૦,૪૦પ ગ્રામ પંચાયતોમાં ર૧ર૩ ગ્રામ પંચાયતો સમરસ થયેલી છે. તેના માટે રૂા. પપ.૬ર કરોડના પ્રોત્‍સાહક ઇનામો રાજ્‍યના મુખ્‍ય મંત્રીશ્રી ચાર પ્રાદેશિક ઝોનમાં સમરસ સરપંચ સંમેલનો યોજીને એનાયત કરી રહ્યા છે. આજે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સાત જિલ્લાઓનું મોરબીમાં સંમેલન યોજીને રૂા. ૧૪.૭૦ કરોડના પ્રોત્‍સાહક પુરસ્‍કારો પપ૮ સમરસ સરપંચોને તેમણે એનાયત કર્યા હતા.

સમરસ ગ્રામ પંચાયતની યોજના સને ર૦૦૧ના ઓકટોબરમાં મુખ્‍ય મંત્રીશ્રીએ સજીવન કરી ત્‍યારે વિપક્ષે કાગારોળ મચાવી દીધી હતી કે મુખ્‍ય મંત્રી તો લોકશાહીનું ગળું ઘોટી રહ્યા છે તેવા નકારાત્‍મક વાતાવરણનો ઉલ્લેખ કરતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, દેશમાં રાષ્‍ટ્રપતિની ચૂંટણી સર્વસંમતિથી થાય તો લોકશાહીની જીત ગણાય અને ગ્રામ પંચાયત અને સરપંચ સર્વસંમતિથી ચૂંટાય તો લોકશાહીનું ખૂન થયું એવી વિકૃત કાગારોળ વિપક્ષે મચાવી હતી. પરંતુ ગ્રામ સમાજે જયારે સમરસ ગ્રામની યોજનાને વ્‍યાપક પ્રતિસાદ આપ્‍યો ત્‍યારે સમરસ ગ્રામ પંચાયતનો વિરોધ કરનારા વિપક્ષે પણ સરપંચ કે ગ્રામ પંચાયત સમરસ થઇ ત્‍યારે એને અપનાવી લેવામાં કોઇ છોછ ન રાખ્‍યો એમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

સમરસ ગ્રામ પંચાયત ચૂંટવા માટે સમસ્‍ત ગ્રામજનોને અભિનંદન આપતા મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, આ મારા અને આ તમારા એવા ભેદભાવ મિટાવીને આ તો સૌ આપણા ગામના એવા ભાવથી સૌ ચૂંટણીના વેર-ઝેર મિટાવીને ગામના વિકાસમાં લાગી ગયા છે. આ જ લોકશાહીની સૌથી ઉત્તમ વિભાવના છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતમાં ર૯૦ જેટલી ગ્રામ પંચાયતોનો સમગ્ર વહીવટ સર્વસંમતિથી ચૂંટાયેલી ગામની નારીશક્‍તિના હાથમાં છે. આ ઘટના દેશની લોકશાહીમાં નાનીસૂની નથી, એમ જણાવી મુખ્‍ય મંત્રીશ્રીએ દેશના રાજકીય પંડિતો, નારી સશક્‍તિકરણના હિતેચ્‍છુઓ, લોકશાહીના રખેવાળો બધાએ ગુજરાતની મહિલાશક્‍તિ સંચાલિત ગ્રામ પંચાયતો અને મહિલા સરપંચોની આ લોકતાંત્રિક વ્‍યવસ્‍થાનું અધ્‍યયન કરવા આહ્‌વાન આપ્‍યું હતું.

મુખ્‍ય મંત્રીશ્રીએ સર્વસંમતિથી ચૂંટાયેલી ગ્રામ પંચાયતો અને સરપંચોને સૌના દીલ જીતી લેવાનો આ અવસર સાર્થક બનાવવાનું આહ્‌વાન આપતાં જણાવ્‍યું કે, હવે હોંસાતુંસી નહીં પણ વિકાસમાં સૌને ભાગીદાર બનાવવાની વિશેષ જવાબદારી છે.

ગ્રામ પંચાયતોના હાથમાં આ સરકારે વિકાસ માટે લાખો-લાખો રૂપિયાની ગ્રાન્‍ટ મંજૂર કરેલી છે ત્‍યારે ગામના વિકાસ માટે ગામના ગરીબના ભલા માટે પાંચ વર્ષમાં એવો વહીવટ કરીએ કે ગ્રામજનો વર્ષોના વર્ષો સુધી યાદ કરે કે પદ પુરું થયા પછી પણ કિર્તીમાન એવા મહત્‍વના કામો કરીએ જે ગામની તાસીર બદલી નાંખે, ઉત્તમમાં ઉત્તમ વિકાસ માટેનો વહીવટ કરીએ એવું આહ્‌વાન પ્રેરક શબ્‍દોમાં મુખ્‍ય મંત્રીશ્રીએ આપ્‍યું હતું.

સમગ્ર ગામના સુખની ચિંતા માટેના અનેક નવા વિચારોને અમલમાં મુકવા અને બજેટ સિવાયના લોક ભાગીદારીથી સુખાકારી-સ્‍વચ્‍છતાના અભિયાનો ઉમંગ-ઉત્‍સાહથી કરવાનું વાતાવરણ જગાવવાનું નેતૃત્‍વ લેવાની મુખ્‍ય મંત્રીશ્રીએ પ્રેરણા આપી હતી.

આગામી કૃષિ મહોત્‍સવમાં આધુનિક ખેતી માટે સો ટકા ભાગ ગ્રામજનો લે તે માટેનું વાતાવરણ ઉભું કરવા, ગામ કોઇનું ઓશિયાળું ના રહે, ગામોગામ બહેનોની પાણી વિતરણ અને વ્‍યવસ્‍થાપન સમિતિ બનાવી છે તે કામ લોકભાગીદારીથી સફળ બનાવવા, સખી મંડળોના મિશન મંગલમ્‌ યોજના હેઠળ આર્થિક પ્રવૃત્તિમાં ગામની મહત્તમ નારીશક્‍તિ જોડાય, ગામની શાળાના શિક્ષણની ગુણવત્તા ઊંચી આવે તે માટેના પ્રેરણાત્‍મક અનેક સૂચનો કરી અને માર્ગદર્શન મુખ્‍ય મંત્રીશ્રીએ સમરસ ગ્રામ પંચાયતોને વિકાસ માટેનું નેતૃત્‍વ  લેવા માટે આપ્‍યું હતું.

ગામડામાં માત્ર રસ્‍તા-પાણીની સગવડ નહીં પણ ગામનું આખું સુખસુવિધાનું જીવન ઊંચે આવે એવો વહીવટ કરવા સહષાબાહુ સમરસ સરપંચોના સામર્થ્‍યને તેમણે બિરદાવ્‍યું હતું.

મુખ્‍ય મંત્રીશ્રીએ કપાસની નિકાસ ઉપર કેન્‍દ્ર સરકારે મુકેલા પ્રતિબંધની આકરી ટીકા કરતાં જણાવ્‍યું કે, આવા નિર્લજ્જ નિર્ણયને કારણે ‘‘ખેડૂત મરે તો ભલે મરે, મિલો ચલાવવાની સ્‍થાપિત હિતોની જ પરવા કરવી છે'' એવી કેન્‍દ્ર સરકારની અવળી નીતિ છે.

કેન્‍દ્રની સરકારના આ નિર્ણયને પરિણામે કપાસીયા તેલની મિલો ચાલતી નથી અને સીંગતેલના ખાદ્યતેલના ભાવ વધી રહ્યા છે. પરંતુ મોંઘવારીમાં પીડાતી ગરીબ પ્રજાને માટે એક આંસુ પણ કેન્‍દ્ર સરકાર પાડવા તૈયાર નથી ત્‍યારે સમરસ ગ્રામ પંચાયતો ગામડાને ઓશિયાળા ના રાખે, વિકાસથી ધબકતા બનાવે એવી શુભેચ્‍છા આપી હતી.

પંચાયત મંત્રીશ્રી નરોતમભાઇ પટેલે સમરસ સરપંચોને સંબોધતા કહ્યું હતુ કે ચુંટણીના વેર-ઝેર એક બાજુ રાખી વિકાસને લક્ષમાં રાખી સમરસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સમરસ યોજના અંતર્ગત ગ્રાંટ આપી ગામડાને સમૃધ્‍ધી તરફ લઇ જવામાં આવે છે. આ સરકાર ગામડાની સમસ્‍યાને ઉકેલી તેને બેઠું કરવા કટિબધ્‍ધ છે.

આજે ગામડાને ર૪ કલાક વીજળી, રસ્‍તા, ગટર યોજના, ખેડુત કલ્‍યાણ, ગરીબી નાબૂદી માટે વિવિધ યોજનાનો લાભ મળે છે.

મંત્રીશ્રી પટેલે તીર્થગ્રામ,  મિશન મંગલમ, સખી મંડળ અને આવાસ યોજના અંગે માહિતી વર્ણવી હતી. આવાસ યોજનાથી વંચિત ૪ લાખ ર૧ હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. તેમ તેમણે કહ્યું હતું રાજયમાં રૂ. ૩૦૦ કરોડના ગટરના કામો સરકાર શરૂ કરી રહી છે.

શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાતની આવતી કાલ સમા બાળકો માટે આ વર્ષે શરૂ કરેલી ચિલ્‍ડ્રન યુનિવર્સિટીનો ઉલ્લેખ કરતાં જણાવ્‍યું હતું કે બાળકોને સંસ્‍કાર અને ગુણવત્તાસભર શિક્ષણ માટે રાજય સરકાર કૃતિનિશ્ચયી છે. ગુજરાતના નાગરિકો માટે અમલી બનાવાયેલી વિવિધ શૈક્ષણિક યોજનાઓનો લાભ લેવા તેમણે ઉપસ્‍થિત જનસમુદાયને અનુરોધ કર્યો હતો.

રાજય મંત્રી શ્રી વાસણભાઇ આહિરે જણાવ્‍યું હતું કે મહાત્‍મા ગાંધીજીની પંચાયત વિશેની જે કલ્‍પનાઓ હતી તે ગુજરાતે સાકાર કરી બતાવી છે. રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષ લાખો રૂપિયાની ગ્રાંટ ગ્રામ પંચાયતોને આપવામાં આવે છે. જેના થકી વિકાસ કામો કરી ગામડાઓ સમુધ્‍ધ બન્‍યા છે. ગામડાના માર્ગો સુંદર બન્‍યા છે. ર૪ કલાક વીજળી મળે છે, જે મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના પરિશ્રમનું પરિણામ છે.

રાજય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યુ કે છેલ્લા પાંચ વર્ષમાં રાજય સરકાર દ્વારા કૃષિ મહોત્‍સવના પરિણામે આજે ખેડૂતો લગભગ બમણું ઉત્‍પાદન મેળવતા થયાં છે. કૃષિ ક્ષેત્રે હજુ પણ વધુ આગળ વધવા માટે રાજયમાં ભૌગોલિક વિસ્‍તાર આધારિત ચાર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. રાજયનાં મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહી રહ્યા છે ત્‍યારે સૌ સરપંચોને તેમાં વિશેષ સહયોગ આપી વિકાસ કાર્યમાં સહભાગી બનવા પણ જણાવ્‍યુ હતું.

રાજય મંત્રી શ્રી પરબતભાઇ પટેલે આરોગ્‍ય ક્ષેત્રે થયેલી વિશિષ્‍ટ કામગીરીની વિગતો આપતા કહ્યું હતું કે રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ચિરંજીવી યોજનાની વિકસિત દેશોએ પણ નોંધ લીધી છે. રાજયની શાળાઓમાં ભણતા બાળકોના વાલી બની સરકારે શાળા આરોગ્‍ય કાર્યક્રમ ઝૂંબેશની જેમ અલમાં મુકયો છે. ગંભીર બિમારીવાળા બાળકોનો સારવાર ખર્ચ સરકાર ભોગવે છે.

મંત્રી શ્રી પટેલે ૧૦૮ આરોગ્‍ય સેવા, જનની સુરક્ષા યોજના, બાળ સખી યોજનાની વિગતો પણ સરપંચો સમક્ષ મૂકી હતી.

ગ્રામ વિકાસ રાજય મંત્રી શ્રી મોહનભાઇ કુંડારીયાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.

મહિલા અને બાળ વિકાસ વિભાગના અગ્ર સચિવ સુશ્રી સંગીતા સિંઘે તેમના વિભાગની વિવિધ લોકકલ્‍યાણલક્ષી યોજનાઓનો વિસ્‍તૃત પરિચય આપ્‍યો હતો અને આ યોજનાઓનો મહત્તમ લાભ લઇ રાજયના સમતોલ વિકાસમાં સહભાગી બનવા મહિલાઓને હાર્દિક અનુરોધ કર્યો હતો.

ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝના એમ. ડી. શ્રી એન. કે. સિંઘે બાયોગેસના લાભો અને સરકાર દ્વારા તેને માટે શરૂ કરેલી યોજનાઓની વિગતો સરપંચો સમક્ષ રજુ કરી હતી અને એલપીજીના વિકલ્‍પ તરીકે અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ શ્રી પુનમબેન જાટ, સંસદીય સચિવ શ્રી એલ. ટી. રાજાણી, પૂર્વ સાંસદ શ્રી વિજયભાઇ રૂપાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેધી, ધારાસભ્‍યો શ્રી કાંતિભાઇ અમૃતિયા, શ્રી વંદનાબેન મકવાણા, શ્રીમતી જશુબેન કોરાટ, શ્રી પ્રવિણભાઇ માંકડીયા, ડો. ભરતભાઇ બોધરા, શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રીમતિ ભાનુબેન બાબરીયા, શ્રી રાજસીભાઇ જોટવા, પૂર્વ ધારાસભ્‍યશ્રી ગોકળદાસભાઇ પરમાર, પોરબંદર તથા કચ્‍છ જિલ્લા પંચાયતના પ્રુમખશ્રીઓ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયા, અધિક મુખ્‍ય સચિવશ્રી આર. એમ. પટેલ, પ્રભારી સચિવશ્રી રાજગોપાલ, જીલ્લા કલેકટર ર્ડા. રાજેન્‍દ્રકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્‍યાય, પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવીર સિંઘ, અન્‍ય જિલ્લાના કલેકટરશ્રીઓ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, ડી.આર.ડી.એ. નિયામકશ્રી કે. કે. વાગડીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધાનાણી, શ્રી રાજપરા, આસી. કલેકટરશ્રી સુ.શ્રી એસ. છાંકછુઆક, નાયબ કલેકટરશ્રી પંડયા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જુલાઈ 2026
July 21, 2026

Self-Reliance Is No Longer a Slogan — It’s Happening Across Engines, UPI, Vaccines & FDI Under the Leadership of PM Modi