મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં વરસાદ ખેચાતા ખરીફ ઋતુમાં કૃષિ પાકના વાવેતર માટે કૃષિવિષયક વીજ પૂરવઠો વધુ બે કલાક તાત્કાલિક અસરથી વધારવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતોના વ્યાપક હિતના આ સ્તુત્ય નિર્ણયની ભૂમિકા આપતાં ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે અગાઉ અપાતાં આઠ કલાક વીજ પૂરવઠાને બદલે તાત્કાલિક અસરથી દસ કલાક થ્રી ફેઇઝ કૃષિવિષયક વીજ પૂરવઠો રાજ્યમાં ખેડૂતોને અપાશે.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સામાન્ય રીતે જુન મહિનાની ૧પમી તારીખની આસપાસ ચોમાસુ બેસી જતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે રાજ્યના ખેડૂતોને પાકની વાવણી માટે પાણીના અભાવે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા કૃષિ હિતકારી અભિગમથી મુખ્યમંત્રીશ્રીએ આવતીકાલ તા. ર૮.૦૬.ર૦૧૧થી રાજ્યના તમામ ખેતીવિષયક ફીડરો ઉપરથી આઠ કલાકના બદલે બે કલાક વધારે એટલે કે ૧૦ કલાક સતત થ્રી ફેઇઝ વીજપુરવઠો આપવાના આદેશો કર્યા છે, આ આદેશો બીજી સૂચનાઓ ન અપાય ત્યાં સુધી અમલમાં રહેશે.
ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે એવી આશા વ્યકત કરી છે કે વરસાદ ખેંચાવાના કારણે રાજ્યના કૃષિ ઉત્પાદનને કોઇ વિપરીત અસર ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને કારણે રાજ્યના કિસાનોને પૂરતું પાણી ઉપલબ્ધ થશે અને કિસાનો સારૂ કૃષિ ઉત્પાદન મેળવી શકશે.


