Baseless allegations are being leveled... to defame Gujarat

Published By : Admin | March 22, 2010 | 10:26 IST

I am therefore compelled to place the facts before my countrymen

મારા પ્રિય દેશવાસીઓ 

સાદર નમસ્કાર.

અત્યંત પીડા અને આક્રોશ સાથે હું, આપ સૌની સમક્ષ સત્ય રજૂ કરવા મજબૂર બન્યો છું.

આપ એ હકિકતથી સુવિદિત છો કે છેલ્લા આઠ વર્ષોથી તદૂન ઉપજાવી કાઢેલા મુદાઓ લઇને મારા ઉપર જાતજાતના મનગડંત આરોપો મઢવાની ફેશન થઇ ગઇ છે. ગયા એક અઠવાડિયાથી જે ગપગોળા, આરોપો અને જૂઠાણા વહેતા થયા છે તેના ઊંડાણમાં ઉતરીશું તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. સત્ય છાંપરે ચઢીને પોકારે છે. આ સત્ય શું છે તેનું તાજેતરનું ઉત્તમ ઉદાહરણ આપની સમક્ષ મૂકવાની મને ફરજ પડી છે.

સને ર૦૦રની ગોધરાની ઘટના પછી, ગુજરાત વિધાનસભાના ગૃહમાં અને જાહેરમાં, મેં અનેકવાર નિવેદનો કર્યા છે કે ભારતનું બંધારણ અને કાયદો સર્વોપરી છે અને કોઇપણ નાગરિક, મુખ્યમંત્રી હોય તો પણ-કાયદાના પાલનથી પર નથી. હું આ હકિકતને માત્ર શબ્દોથી જ નહીં પણ, સાચા ભાવથી (ઇન ટ્રુ સ્પીરીટ) આજ સુધી નિભાવતો રહયો છું અને ભવિષ્યમાં પણ આજ ભાવથી નિભાવવા પ્રતિબધ્ધ છું.

આમ છતાં, કેટલાક હિત ધરાવતા તત્વો, તથ્ય વગરના, મનઘડંત અને અનુમાનોને આધારે, ગુજરાતને, મારી સરકારને, અને મને બદનામ કરવાનો એકપણ અવસર જતો કરતા નથી.

તાજેતરમાં 'SIT નું નરેન્દ્ર મોદીને સમન્સ' એવા અહેવાલો વહેતા કરીને, "મોદી SITમાં ગયા નહીં", "મોદીએ સુપ્રિમ કોર્ટનો અનાદર કર્યો" અને "મોદીએ નકકી તારીખે ગેરહાજર રહીને  SIT નો અનાદર કર્યો" એવો પાયા વગરનો મનઘડંત અપપ્રચાર કરીને, ફરી એકવાર ગુજરાતને બદનામ કરવામાં આવી રહયું છે.

આથી ના છૂટકે, દેશવાસીઓ સમક્ષ આ જાહેર પત્ર દ્વારા સત્ય શું છે તે મૂકવાની ફરજ મને પડી છે.

હકિકતો

  • અખબારી અહેવાલો પ્રમાણે SITએ મને બોલાવ્યો છે એ જાણ થતા જ, સરકારના અધિકૃત પ્રવકતાએ તુરત જ નિવેદન કરેલું કે નરેન્દ્ર મોદી બંધારણને વરેલા છે અને કાયદાની પ્રત્યેક પ્રક્રિયાને સહકાર આપ્યો છે અને આપતા રહેશે.
  • "SIT તરફથી નરેન્દ્ર મોદીને સમન્સ કાઢીને "ર૧મી માર્ચ ર૦૧૦ ના રોજ બોલાવ્યા છે" એવું જૂઠાણું કોણે શરૂ કર્યું અને શા માટે શરૂ કરાવ્યું તે ગંભીર તપાસનો વિષય છે."
  • ર૧મી માર્ચ ર૦૧૦ના રોજ રવિવાર છે અને જાહેર રજા હોય છે એટલી પ્રાથમિક જાણકારી મેળવવાની દરકાર, આ પ્રકારના ગપગોળા ફેલાવનારા મિત્રોએ કરી નથી.
  • સર્વોચ્ચ અદાલતે નીમેલા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ના અધિકારીઓ, ર૧મી માર્ચર૦૧૦ના રોજ, ગુજરાતમાં હતા કે કેમ તેની પ્રાથમિક માહિતી મેળવવાનું આ જૂઠાણું ફેલાવનારા મિત્રોએ મુનાશિબ લાગ્યું નથી.
  • દેશવાસીઓને હું નમ્રતાપૂર્વક જણાવું છું SIT દ્વારા મને ઉપસ્થિત થવા માટે ર૧મી માર્ચ ર૦૧૦ની તારીખ નકકી કરી નથી. આથી SITમાં ર૧મી માર્ચે મને બોલાવવામાં આવ્યો હોવાની વાત સંપૂર્ણ ખોટી છે. હું સર્વોચ્ચ અદાલતે નીમેલી સંસ્થાના ગૌરવ અને કાયદાનો આદર કરીને SITને સંપૂર્ણ સહયોગ આપીશ.

તા.ર૧મી માર્ચ ર૦૧૦ તો કેટલાક સ્થાપિત હિતોની શોધ હતી અને તેના ભાગરૂપે કાયદાની નિર્ધારિત પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો હતો તેઓ એમ ઇચ્છતા હતા કે હું SIT ને કોઇ પ્રતિભાવ આપવા માંગતો નથી તેવી સ્થિતિનું નિર્માણ થાય.

છેલ્લા ર૪ કલાકથી આ દેશમાં તો આ મનઘડંત માહિતીના અપપ્રચારની ઝૂંબેશ એવી ચાલી કે કેટલાક પ્રચાર માધ્યમો પણ તેનું સાધન બની ગયા. મને આશા છે કે હવે આવા માધ્યમો પણ સાચો અને સુધારાત્મક અભિગમ અપનાવશે.

વહાલા દેશવાસીઓ,

સને ર૦૦રથી ગુજરાતને નિરંતર બદનામ કરી રહેલા આ તત્વો, ગુજરાત અને દેશની જનતા સારી રીતે ઓળખે છે પરંતુ મારે સત્ય એ કહેવું છે કે જાતજાતના ગપગોળા અને જૂઠાણા ચલાવીને જનતાને ઉશ્કેરવાનું પાપકૃત્ય, લોકતંત્રની સમગ્ર પ્રક્રિયાને અવરોધક બનતું હોય છે. છેલ્લા ર૪ કલાકની આ આખી ઘટનાનો ક્રમ જોતા, જૂઠાણાની રીતરસમો અને મને બદનામ કરવાના તોરતરીકાએ હીત ધરાવતા જૂદા જૂદા પરિબળોની કેવી સાંઠગાંઠ છે તે આપોઆપ ખુલ્લું પડી ગયું છે.

ગોધરા અને ગોધરા પછીની ઘટનાઓ માટે ગુજરાત સરકાર, હંમેશા તપાસ પંચો, તપાસ એજન્સીઓ અને સર્વોચ્ચ અદાલત-સૌની ન્યાયિક-પ્રક્રિયાને આદર કરતી રહી છે અને તેથી જ આ બાબતે કોઇપણ મૂદે, કોઇ જાહેર નિવેદનો કરવાનું ઉચિત ગણ્યું નથી. સમગ્ર તપાસ ન્યાયિક ધોરણે નિર્વિધ્ને ચાલતી રહે તે માટે, જૂઠાણા અને બદનામી સહન કરતા રહીને, ન કલ્પી શકાય તેવી પીડા સહન કરીને પણ મૌન રાખવાનું પસંદ કર્યું છે.

હવે જયારે છેલ્લા ર૪ કલાકનો આ ઘટનાક્રમ જૂઠાણાની પરાકાષ્ઠા પણ વટાવી ચૂકયો છે ત્યારે માત્ર ને માત્ર સત્ય શું છે તે દેશવાસીઓ સમક્ષ રજૂ કરવાની ફરજ હું સમજું છું.

હું આશા રાખું છું કે આ સત્યનો પણ દુરૂપયોગ કરીને, તપાસ પ્રક્રિયાને નિહિત રીતે દોરવાનો પ્રયાસ થશે નહીં અને પ્રચાર માધ્યમો પણ મારી આ વેદના અને લાગણી લોકો સુધી પહોંચાડશે.

આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre releases Rs 44,544 crore capex loans to states so far in FY27

Media Coverage

Centre releases Rs 44,544 crore capex loans to states so far in FY27
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.