છ કરોડ ગુજરાતીઓના ભારતના વિકાસ માટેના પુરૂષાર્થમાં સહભાગી બનવાને બદલે ગુજરાતને તબાહ

કરવાના પેંતરા રચતા તત્ત્વોને "રૂકજાવ'નો પડકાર કરતા મુખ્ય મંત્રીશ્રી

ગુજરાતની સર્વાંગીણ વિકાસયાત્રા માટેની સમ્યક નીતિઓ ધાર્યા પરિણામો લાવી છે તેનાથી આવા સત્તા વગર

તરફડતા લોકોના પેટમાં તેલ રેડાયું છે

ગુજરાતે ઔઘોગિક વિકાસની હરણફાળ સાથે દશકામાં આઠ લાખ હેકટર કૃષિ વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ કરી છે

પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન ૬૦ ટકાથી અધિક વધ્યું

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૬પમા આઝાદી દિવસે ધ્વજવંદન

સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદમાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજની આન, બાન, શાન જાળવવાનો નિર્ધાર

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬પમા આઝાદી દિવસે નડિયાદમાં ત્રિરંગા ધ્વજને સરદાર પટેલની જન્મભૂમિ ઉપર શાનદાર સલામી આપતા ભારતને શક્તિશાળી બનાવવા માટે લગાતાર ગુજરાતનો વિકાસ કરી રહેલા છ કરોડ ગુજરાતીઓના પુરૂષાર્થમાં સહભાગી થવાને બદલે ગુજરાતને બદનામ અને તબાહ કરવા સતત કારસા કરનારા પરિબળોને "રૂકજાવ"નો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

માછલી જેમ પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડીયા મારતા લોકો બંધારણીય સિદ્ધાંતોની લાજશરમ છોડીને ગુજરાતને તબાહ કરવા કોઇ કચાશ છોડતા નથી તેમને પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત સરકારની વિકાસની સમ્યક નીતિઓની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

નડિયાદમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી મુખ્ય મંત્રીશ્રીએ નાગરિકોને આઝાદી પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું કે, અનેક મહાપુરૂષોએ, વીર સ્વાતંત્ર્ય લડવૈયાઓ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુકત કરવા ત્યાગ, તપસ્યા અને જીવન ખપાવી દીધા તેના પરિણામે આપણે આઝાદીની હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ. એમનો ઋણ સ્વીકાર કરીએ અને સ્વરાજ્ય મેળવ્યા પછી સુરાજ્યનું સપનું જે અધુરું છે તે પુરું કરવા ગુજરાતના છ કરોડ નાગરિકોએ કમર કસી છે. જેણે દેશમાં સમૃદ્ધિ અને સુખશાંતિ માટે નવી આશા જન્માવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસના મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાત કોઇ પાછી પાની નહીં કરે એવો નિર્ધાર વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના અન્ન ભંડાર ભરવા માટે ગુજરાતનો કિસાન પુરો પરિશ્રમ કરશે. આ દેશમાં કૃષિ વિકાસ સ્થગિત થઇ ગયો છે. વડાપ્રધાને પણ તેની ચિંતા વ્યકત કરી છે. ખેડૂત, ગામડા નિરાશામાં ગરકાવ છે ત્યારે ગુજરાતે કૃષિ વિકાસનો દર દશકામાં લગાતાર દશ ટકાનો દર હાંસલ કરી કમાલ કરી છે.

ઔઘોગિક વિકાસ થાય તો દેશમાં કૃષિની જમીન ધટે છે તેમ છતાં ગુજરાત એકમાત્ર અપવાદ છે કે કૃષિ અને ઉઘોગના વિકાસની સમ્યક નીતિ કરીને એક દશકમાં આઠ લાખ હેકટર ખેતીના વાવેતરલાયક વિસ્તારમાં વૃદ્ધિ કરી છે.

ગૌવંશ રક્ષા કાયદા માટે સુપિ્રમ કોર્ટ સુધી ગુજરાતે લડત આપી અને ગૌરક્ષા જીવદયા માટે ગુજરાતે જ કાયદો કર્યો છે પણ ગુજરાતને બદનામ કરવા જાઠાણા ફેલાવી રહ્યા છે. પરંતુ એક દશકમાં ગુજરાતમાં પશુ આરોગ્ય મેળા કરીને દૂધ ઉત્પાદનમાં ૬૦ ટકાથી વધારે વૃદ્ધિ હાંસલ કરી છે અને ૧૦૦ કરતાં વધુ પશુરોગો સદંતર નાબૂદ કરી દીધા છે. ગામડાની નારીશક્તિ પશુપાલકમાં સમૃદ્ધિ લાવી રહી છે. જે લોકોને ગુજરાતની આ સમૃદ્ધિ ગમતી નથી તેવા લોકો પૈસાના જોરે, ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોને અને બંધારણીય સત્તાનો દુરૂપયોગ કરનારા લોકોને રૂકજાવનો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.

ગુજરાતને બરબાદ કરનારા તત્ત્વો માછલી પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડતા તત્ત્વો ગુજરાતને તબાહ કરવા બંધારણીય સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે તેમણે લાજી મરીને ગુજરાતની શરમ નેવે મુકી છે તેમને પડકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવા તત્વો જૂઠાણાને બદલે ગુજરાતના વિકાસમાં લોકશાહી ઢબે ભાગીદાર બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

ગુજરાતે ગરીબી સામે સર્વગ્રાહી જંગ માંડયો છે પરંતુ જે લોકો ગુજરાત વિશે જાૂઠાણા ફેલાવી રહ્યા છે તેને સરદારની ભૂમિ ઉપરથી પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૦ થી ૧૬ના બીપીએલ આંક ધરાવતા તમામ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આવાસના પ્લોટ એકલા ગુજરાતે આપી દીધા છે અને પાંચ લાખ ગરીબી રેખા નીચેના પરિવારોને આવાસ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના રપ લાખ યુવાનોને કૌશલ્ય નિર્માણ માટે તાલીમબદ્ધ કરી તેમને રોજગારીના લાખો વિશાળ અવસરો આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો અને સ્વામી વિવેકાનંદજીના ૧પ૦મા વર્ષની ઉજવણી યુવાશક્તિના કૌશલ્ય વર્ધન વર્ષ તરીકે કરવાનો નિર્ધાર પણ વ્યકત કર્યો હતો.

આ ઉપરાંત, ગુજરાતની આવતી આખી શતાબ્દી યુવાશક્તિ, યુવા કૌશલ્યથી ધબકતી થાય તે માટે ૬૦ હજાર સરકારી નવી નોકરીમાં યુવાશક્તિ માટે ભરતી કરવાનું અભિયાન આ વર્ષે હાથ ધરાશે અને ગુજરાતના વહીવટીતંત્રમાં દશ ટકા યુવાધન પ્રશાસનિક સેવાઓમાં કાર્યરત થશે એવી જાહેરાત મુખ્ય મંત્રીશ્રીએ કરી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ ર૧મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં ૪ ગામો નિર્મળ ગ્રામ હતા જે આજે ૪ર૦૮ ઉપર પહોંચી ગયા છે અને આ વર્ષે ૧૦,૦૦૦ ગામો નિર્મળ ગ્રામ કરવાનો લક્ષ્યાંક પાર પાડવો છે. શા માટે પરિસ્થિતિ બદલાય નહીં? તેવો પ્રશ્ન કરતાં તેમણે શહેરી ગરીબોની સુખાકારી અને જીવનધોરણ સુધારવાની નેમ વ્યકત કરી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ સમાજની પ૦ ટકા નારીશક્તિને વિકાસ અને નિર્માણમાં ભાગીદાર બનાવી મિશન મંગલમ્‍ યોજના નીચે બે લાખ સખી મંડળો દ્વારા ગરીબ માતા-બહેનોનું કૌશલ્ય વધારીને આર્થિક પ્રવૃત્તીને રૂ. એક હજાર કરોડનો કારોબાર રૂ. પાંચ હજાર કરોડ ઉપર લઇ જવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

ગુજરાતમાં ઉઘોગો આવે નહીં તે માટે કારસા કરનારાને પડકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં ઉઘોગોના વિકાસની નવી સ્થિતિ સર્જીને ગુજરાતે એકલાએ આખા દેશની રોજગારીની ટકાવારીમાં પ૯ ટકા રોજગારી યુવાનોને ઉઘોગોના વિકાસ દ્વારા આપી છે. એક બાજુ એકલા ગુજરાતે પ૯ ટકા રોજગારી યુવાનોને આપી બીજી બાજુ આખો દેશ માત્ર ૪૧ ટકા રોજગારી આપી શકયો છે.

દેશની સુપિ્રમ કોર્ટે ગુજરાતની જમીનના કાયદાની નીતિની પ્રસંશા કરી તેનાથી પણ ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોના પેટમાં તેલ રેડાયું છે પણ આ ગુજરાત સરકારે ખેડૂતોના હિતોની ખેડૂતોની ખેતીની અને જમીનની રક્ષા-રખેવાળી કરીને ઔઘોગિક વિકાસ માટેની સમ્યક નીતિ અપનાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજની આન, બાન, શાન જાળવવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત એની જવાબદારી સંપૂર્ણપણે નિભાવશે અને સરદાર સાહેબની આ ધરતી ઉપર ગુજરાત દેશના કલ્યાણ માટે સમૃદ્ધ ગુજરાત માટે યુવાશક્તિ, માતૃશક્તિ, કિસાન શક્તિ, વનવાસી, સાગરખેડુ, દલિત, ગરીબો સહુને વિકાસ યાત્રામાં ભાગીદાર બનવાનું આહ્‍વાન આપ્યું હતું. સૌનો સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે ભારત માતાને વિશ્વગુરૂ બનાવવાની નેમ પણ તેમણે વ્યકત કરી હતી.

આ પ્રસંગે રાજ્યકક્ષાની આઝાદી પર્વની ઉજવણીના ઉમંગમાં સાંસ્કૃતિક અને દેશભક્તિના ભાવનાસભર કાર્યક્રમો નિહાળવા વિશાળ સંખ્યામાં નગરજનો ઉમટયા હતા.

૬પમા સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન સમારોહમાં સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી અને શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, વીસ મુદ્દા અમલીકરણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી કૌશિકભાઈ પટેલ, મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, નડિયાદના નગરપતિ શ્રી સંજય દેસાઇ, પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક માટે પસંદ થયેલા રાજ્યના પોલીસ વડા શ્રી ચિત્તરજન સિંધ, અગ્ર સચિવશ્રીઓ, સચિવશ્રીઓ, ઉચ્ચ પોલીસ અમલદારો, જિલ્લા કલેકટર શ્રી એમ. વી. પારગી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય સાંગલે સહિત વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.

૬પમા આઝાદી દિવસે મુખ્ય મંત્રીશ્રીની મહત્વની જાહેરાતો

  • રાજ્ય સરકારની નોકરીઓમાં યુવાશક્તિનો સાક્ષાત્કાર કરવા આ વર્ષે ૬૦,૦૦૦ યુવાનોની વિવિધ સરકારી સેવાઓમાં ભરતી કરાશે.
  • સ્વામી વિવેકાનંદની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ યુવાશક્તિ કૌશલ્ય વર્ષ તરીકે ઉજવાશે.
  • રપ લાખ યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને રોજગારીના વિશાળ અવસરો ઉપલબ્ધ કરાશે.
  • મિશન મંગલમ્‍ યોજના હેઠળ સખી મંડળોનું આર્થિક સશક્તિકરણ કરીને, ગરીબ માતાઓ-બહેનોના લાખો હાથમાં રૂ. પ૦૦૦ કરોડનો નાણાંકીય કારોબાર સોંપાશે.
  • આ વર્ષે ગુજરાતના ૧૦,૦૦૦ ગામોને નિર્મળ ગ્રામ બનાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક.
  • આખા દેશમાં ઔઘોગિક વિકાસની હરણફાળ સાથોસાથ કૃષિ વાવેતર જમીન વિસ્તારમાં વધારો એકમાત્ર ગુજરાતે જ કર્યોઃ આઠ લાખ હેકટર વાવેતર વિસ્તારની વૃદ્ધિ થઇ.
  • સમગ્ર દેશમાં એકલા ગુજરાતની યુવા રોજગારી આપવાની સૌથી ઉંચી પ૯ ટકા ટકાવારી-અન્ય તમામ રાજ્યો મળીને ભારતની રોજગારીની ટકાવારી માત્ર ૪૧ ટકા.
  • ગુજરાતના ખેડૂતોની, ખેતીની, ગામડાના વિકાસની અને હિતોની રખેવાળી કરવાની પ્રતિબદ્ધતા.
  • ગુજરાતમાં જમીન કાયદાઓ અને નીતિઓની સર્વોચ્ચ અદાલતે પણ મોડેલ ગણાવી પ્રસંશા કરી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward

Media Coverage

India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ડિસેમ્બર 2025
December 16, 2025

Global Respect and Self-Reliant Strides: The Modi Effect in Jordan and Beyond