કાંકરીયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ
મુખ્ય મંત્રીશ્રીએ અમદાવાદની અસ્મિતાના મહિમાવંત સેન્ડસ્ટોન મ્યુરલ્સનું કરેલું લોકાર્પણ
ચાર નવા આકર્ષણોનો શિલાન્યાસ
લાખો નગરજનોના આનંદમાં સહભાગી બનીને શાનદાર સાંસ્કૃતિક ઉત્સવ નિહાળતા શ્રી નરેન્દ્રભાઈ મોદી
કાંકરીયા અમદાવાદની નગર સંસ્કૃતિની પ્રતિષ્ઠિત ઓળખ બની ગયું છે
કાંકરીયા કાર્નિવલ અમદાવાદને પ્રેમ કરવાની અભિવ્યક્તિનો અવસર છેઃ મુખ્ય મંત્રીશ્રી
સાત દિવસના આ અનેરા નગરોત્સવમાં ૧ર હજાર કલાકારોની સાંસ્કૃતિક શક્તિનું પ્રગટીકરણ

આજે મુખ્ય મંત્રીશ્રીએ બાળ સ્નાનાગાર, બટરફલાય પાર્ક, બળવંતરાય ઠાકોર કોમ્યુનિટી હોલ અને પાર્કિંગ પાર્કના રીનોવેશન તથા પીકનીક હાઉસના નવસંસ્કરણ પ્રકલ્પના પણ શીલાન્યાસ કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાઇજીના જન્મદિવસ રપમી ડિસેમ્બરથી સાત દિવસ સુધીનો આ કાંકરીયા કાર્નિવલ ગુજરાતના સાંસ્કૃતિક વૈભવ અને જનશક્તિના સાક્ષાત્કારનો ઉત્સવ બની ગયો છે.
નગરજનોના અદમ્ય ઉત્સાહમાં ભાગીદાર બનતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિનો આ એક અવસર બની ગયો છે. દેશના પહેલા દશમાં અમદાવાદનું સ્થાન કયાંય નહોતું પરંતુ આજે દેશનું શ્રેષ્ઠ વિકસતું શહેર અમદાવાદ બની ગયું છે. એની આન-બાન-શાન જાળવવા માટે તેમણે શહેરના નાગરિકોને અભિનંદન આપ્યા હતા.
પથ્થર ઉપર કોતરકામ અને ચિત્રાંકન કરીને ગુજરાત અને અમદાવાદની સાંસ્કૃતિક વૈભવી વિરાસતનો ૩૦ હજાર ફૂટનો આ વારસો આ પ્રકારના દુનિયાના સૌથી વિક્રમસર્જક પ્રકલ્પથી મેળવવાનું ગૌરવ કાંકરીયાની પાળ અમદાવાદને અપાવશે. પથ્થરોમાં કોતરાયેલો ખુલ્લો ઐતિહાસિક દસ્તાવેજનો આ પ્રકલ્પ અધ્યયન અને વિશ્લેષણની દૃષ્ટિથી મૂલવવા તેમણે પ્રબુદ્ધ નાગરિકો અને તજજ્ઞોને સાર્વજનિક નિમંત્રણ આપ્યું હતું.
કાંકરીયાના પુનઃનિર્માણ પછી ભારત અને દુનિયામાંથી ૯૦ કરતાં વધુ અભ્યાસ ડેલીગેશનોએ તેની મુલાકાત લીધી છે. કાંકરીયાની પ્રતિષ્ઠા એવી બની ગઇ છે કે ગરીબથી અમીર સંપન્ન સૌને કાંકરીયા આવવાનું ગૌરવ મળે છે અને તેનું પર્યાવરણ સ્વચ્છતાથી સાચવીને ઉની આંચ આવવા દીધી નથી. આ નવું નગર સંસ્કૃતિનું નજરાણું કાંકરીયા બની ગયું છે તેમ પણ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું અને કીડ્ઝ સીટી બાળકોના મનમાં સપના અને સંકલ્પના વાવેતર અને શક્તિનો આત્મવિશ્વાસ જગાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.


