આદ્યશકિતની આરાધના પ્રસિદ પરમેશ્વરીની ગરિમાપુર્ણ પ્રસ્તુતિ
નવરાત્રિ-2011નો ભવ્ય પ્રારંભ
સંતનગરી સહિત થીમ પેવેલીયનોનું અનોખુ આકર્ષણ
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની શકિત ભકિતના પર્વની સાંસ્કૃતિક પ્રસ્તુતિને વૈશ્વિક ઓળખ અપાવવા વ્યકત કર્યો નિર્ધાર
ગુજરાતને શકિત-ભકિત દ્વારા જનજનને જોડી સમાજને અધિક શકિતશાળા બનાવવાનો નિર્ધાર વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છ કરોડ ગુજરાતીઓની શકિતને જોડીને વિકાસની નવી ઉંચાઇઓ આપણે વિશ્વ સમક્ષ મુકવા પ્રતિબધ્ધ છીએ.
ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટી અને ગુજરાત પ્રવાસનના સંયુકત ઉપક્રમે આજથી શરૂ થયેલો નવરાત્રિ મહોત્સવ-2011 અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડના વિશાળ પરિસરમાં 5મી ઓકટોબર, 2011 સુધી દરરોજ રાત્રે 7 થી 12 વાગ્યા સુધી જાહેર જનતા માટે ગુજરાતની ગરિમાની લોકસંસ્કૃતિને ગરબા રાસના માધ્યમથી વિશ્વનું નજરાણું બનવાનો છે.
આદ્ય શકિતના દીપ પ્રાગટયથી શરૂ થયેલા આ વર્ષના નવરાત્રિ-2011ના મહોત્સવની વિષય થીમ પ્રસીદ પરમેશ્વરીની અદ્ભૂત સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ગુજરાતના ગરબા સદીઓ જૂની સાંસ્કૃતિક પરંપરા છે અને વિશિષ્ટ પહેચાન પણ છે. નવરાત્રિના શકિત પર્વના માધ્યમથી ગરબાની આ મહાન વિરાસત સાથે વિશ્વને જોડવાનો અને ગુજરાતના ગરબા ગ્લોબલ બને તે માટેના રાજ્ય સરકારના પ્રયાસોને ઉદ્યોગગૃહોના સહયોગથી સફળતા મળી છે.
નવરાત્રિ મહોત્સવ-2011 ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતા ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટીના ચેરમેન શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે રાસ-ગરબા એ તો ગુજરાતની આગવી પરંપરા અને સંસ્કૃતિ છે. ગુજરાતની આ સંસ્કૃતિના જતન માટે ગુજરાતમાં ઉદ્યોગપતિઓ એક છત્ર નીચે એકત્રિત થયા છે અને વર્ષ-2003થી સતત દર વર્ષે માઁ નવદુર્ગાની આરાધના સ્વરૂપે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આજે નવરાત્રિનું વ્યવસાયી કરણ થયું છે ત્યારે તમામ વર્ગના લોકો એક જ જગ્યાએ પુરતી સુવિધા અને વ્યવસ્થા સાથે વિનામૂલ્યે રાસગરબાની રમઝટ માણી શકે અને માઁ દુર્ગાની આરાધના કરી શકે તે માટે જી.આઇ.એન.એફ.એસ. દ્વારા પ્રતિ વર્ષ આ આયોજન કરાય છે. શ્રી નથવાણીએ ઉમેર્યું હતું કે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ રાસ ગરબા રમી શકે તે માટે ખાસ આયોજન કરાયું છે જેમાં રાજ્ય સરકારનો અમૂલ્ય સહયોગ મળ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પ્રવાસન દ્વારા પ્રસિધ્ધ કરાયેલ ‘‘ફેર્સ એન્ડ ફેસ્ટીવલ્સ ઓફ ગુજરાત'' પુસ્તકનું વિમોચન કર્યું હતું. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ‘‘ પ્રસિદ પરમેશ્વરી'' - સંગીતમય કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો.
આ પ્રસંગ મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા, પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસ સહિત મંત્રીમંડળના સભ્યો, ગુજરાત પ્રવાસન વિભાગના ચેરમેન શ્રી કમલેશભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતી, પ્રવાસન અગ્ર સચિવ શ્રી વિપુલ મિત્રા, અમદાવાદના મેયર શ્રી અસિત વોરા તેમજ કલાપ્રેમી નગરજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી નવરાત્રિ-2011ની આરંભ પ્રસ્તુતિ નિહાળી હતી.