ભારતમાતા કી જય...!! પૂરી તાકાતથી અવાજ કાઢો, કારણ કે સમગ્ર ગુજરાતમાં આજે છવાઈ ગયેલું આ વાતાવરણ છે.

ભારતમાતા કી જય...!! ભારતમાતા કી જય...!!

ભાઈઓ-બહેનો, આજે ટેક્નોલૉજીના માધ્યમથી ગુજરાતના 26 નગરોમાં આપની સાથે વાતચીત કરવા માટે હું આવ્યો છું. લોકોને થતું હશે કે આ ટેક્નોલૉજી મને તમારી સાથે જોડે છે. કદાચ ટેક્નોલૉજી માધ્યમ હશે, પરંતુ હું તો અનુભવ કરું છું કે હું આપના પ્રેમમાં તરબતર છું, આપના પ્રેમથી જોડાયેલો છું, આપની લાગણીથી જોડાયેલો છું. આપને ક્યાંય પીડા થઈ હોય તો વેદના હું અનુભવું છું. મારી ઉપર કોઈ આફત આવી હોય તો ગુજરાત આખું બેચેન બની જાય છે. એ આપણે સતત ગયો આખો દસકો અનુભવ્યું છે. ભાઈઓ-બહેનો, જો છ કરોડ ગુજરાતીઓનો મારી પર આટલો પ્રેમ ન હોત, છ કરોડ ગુજરાતીઓ માટે મારું આટલું સમર્પણ ન હોત, એમના સાથે હું એકાકાર ન થયો હોત તો કદાચ આ અનુભૂતિ ન થતી હોત પણ ભાઈઓ-બહેનો, પ્રત્યેક પળ આપ પણ અનુભવો છો અને પ્રત્યેક પળ હું પણ અનુભવ કરું છું અને એટલે જ ભલે હું ટેક્નોલૉજીના માધ્યમથી આપની વચ્ચે આવ્યો હોઉં, પણ મને એમ જ લાગે છે કે જેમ રોજ આપને મળતો હતો એમ જ મળી રહ્યો છું. આપને પણ એમ જ થતું હશે કે લો, આપણા નરેન્દ્રભાઈ જોડે ગપ્પાં-ગોષ્ઠિ ચાલે છે. અવશ્ય થતું હશે અને એનું કારણ ટેક્નોલૉજી નથી, એનું કારણ લાગણીનો નાતો છે, સબંધ છે.

ભાઈઓ-બહેનો, આપણે બધા આમ એકત્ર શાને માટે આવ્યા છીએ? કોઈ હારે એના માટે? કોઈને પરાજિત કરવા માટે? કોઈની ડિપોઝિટ ડુલ કરવા માટે..? ભાઈઓ-બહેનો, એવા ટૂંકા ગાળાના સપના લઈને ચાલવાવાળું ગુજરાત છે નહીં. આપણે બધા તો એકત્ર આવ્યા છીએ આવતીકાલનું દિવ્ય-ભવ્ય ગુજરાત બનાવવા માટેનું સપનું સાકાર કરવા માટેનો સંકલ્પ લેવા માટે. અને એ સંકલ્પ લઈને આપણે આગળ વધવું છે. ગયા અગિયાર વર્ષમાં દુનિયાની કોઈ એવી તાકાત નહોતી કે જેણે આ ગુજરાતને બદનામ કરવા માટે, બરબાદ કરવા માટે કોશિશ ન કરી હોય. સૌએ પોતપોતાની રીતે પ્રયોગો કર્યા. ગુજરાત દિશાહીન થઈ જાય, ગુજરાતની ગાડી પાટા પરથી ઊતરી જાય, ગુજરાત બીજી વાતોમાં અટવાઈ જાય એવા અનેક પ્રયાસો થયા, પ્રયોગો થયા પણ છ કરોડ ગુજરાતીઓ મક્કમ મનથી એકજૂટ બનીને મારી પડખે ઊભા રહ્યા અને એના કારણે આપણે ચલિત પણ ન થયા, વિચલિત પણ ન થયા અને એટલું જ નહીં, ગુજરાતને તબાહ કરવા મથનારાઓના સપના ચૂર ચૂર કર્યાં અને એટલું જ નહીં, સમગ્ર વિશ્વમાં ગુજરાતનો જયજયકાર થાય, ગુજરાતનો ડંકો વાગે એના માટે સફળતાપૂર્વક આપણે પ્રયાણ કરતા રહ્યા છીએ. આ નાની સૂની વાત નથી ભાઈઓ. ભાઈઓ-બહેનો, આજે ગુજરાત પર હજુ આટલું આક્રમણ ચાલે છે તેનું કારણ શું છે? સદીઓ પહેલાં જ્યારે હિંદુસ્તાનમાં કહેવાતું કે ભાઈ, દૂધ-ઘીની નદીઓ વહે છે, સોને કી ચિડિયા એવું કહેવામાં આવતું હતું અને એટલે દુનિયાભરના લોકોને હિંદુસ્તાન લૂંટવા માટેની ઈચ્છા જાગી હતી. ભાઈઓ-બહેનો, જે લોકો ભ્રષ્ટાચારમાં ડુબેલા છે, જેમને સરકારી તિજોરીઓ હડપ કરવી છે, જેમને સામાન્ય માનવીના હકના પૈસા છીનવી લેવા છે એવા બધા જ લોકો બેબાકળા બની ગયા છે કે આ ગુજરાતની તિજોરી તરબતર છે, આપણા હાથમાં આવતી કેમ નથી? એના પર એમનો પંજો ક્યારે પડે એના માટેની કોશિશ ચાલી રહી છે..! ભાઈઓ-બહેનો, આપણે ગુજરાતની અંદર એવું કોઈ કૃત્ય થવા નથી દેવું જેના કારણે હિંદુસ્તાન તબાહ થઈ ગયું છે, એવી રીતે આપણા ગુજરાતને આપણે તબાહ નથી થવા દેવું. રૂપિયાની છોળો ઊડી રહી છે અને ગુજરાતનો સામાન્ય માનવી આ જૂઠાણાઓ સાંભળી સાંભળીને તંગ આવી ગયો છે. એકધાર્યાં નકરા જૂઠાણા અને જૂઠાણાની હદ તો કેવી..? હમણાં તમે જોયું હશે, ત્રણ દિવસથી અમારા કોંગ્રેસની પોલંપોલ ખૂલી રહી છે. કુપોષણવાળું બાળક બતાવવા માટે ક્યાંથી લઈ આવ્યા..? શ્રીલંકાના બાળકનો ફોટો લઈ આવીને દુનિયાને બતાવ્યું કે ગુજરાતનાં બાળકોના હાલ આવા છે..! શું ભાઈઓ-બહેનો, ગુજરાત માટે આટલો બધો અણગમો, મારા ગુજરાતના ભૂલકાંઓનું તમે આવું ચિત્ર દોર્યું, નિર્દોષ ભૂલકાઓનું..! અરે, ગુજરાતની મા ની ગોદમાં ખેલતાં બાળકોને તમે આવાં ચિતરી રહ્યા છો અને એ પણ શ્રીલંકાનો ચોરેલો ફોટો લાવીને..? ખેડૂત પણ બતાવવો હતો એમને, કંગાળ ખેડૂત, દુ:ખી ખેડૂત. તો ફોટો ક્યાંથી લઈ આવ્યા? રાજસ્થાનના ખેડૂતનો લઈ આવ્યા. પાણીથી તરસે મરતા નવજુવાનનો ફોટો બતાવવો હતો, તો ક્યાંથી લઈ આવ્યા? છેક ત્રિપુરાના અગરતલાનો ફોટો..! ગુજરાતને બદનામ કરવા માટે આ લોકો તો અપપ્રચારની આંધીમાં એવા તો ગાંડાતૂર થઈ ગયા છે કે એક ઍડ્વર્ટાઇઝમૅન્ટમાં એક અમેરિકનનો ફોટો મૂકી દીધો, એમને એટલી ખબર ન પડી કે આ તો પહેલી નજરે જોઈએ તોય ખબર પડશે કે આ ભાઈ તો કોઈ ધોળિયો છે, આ કોઈ હિન્દુસ્તાની નથી..! પણ જૂઠાણા ચલાવતાં ચલાવતાં એવા મદહોશ થઈ ગયા છે એ લોકો, એટલા મદહોશ થઈ ગયા છે કે હવે એમને એમના જૂઠાણાનો હિસાબ-કિતાબ રહ્યો નથી. ભાઈઓ-બહેનો, ગુજરાતની જનતા એમના જૂઠાણાઓને ઓળખે છે, ગુજરાતની જનતા દિલ્હીથી ગુજરાત સુધી કોંગ્રેસના ચરિત્રને ઓળખે છે અને ગુજરાતની જનતા એવી ભૂલ ક્યારેય નહીં કરે કે જેથી કરીને જેમ દિલ્હી લૂંટાઈ રહ્યું છે એમ મારું ગુજરાત પણ લૂંટાતું જાય. મને વિશ્વાસ છે, ભાઈઓ-બહેનો..!

ભાઈઓ-બહેનો, હું આપની પાસે આજે મત માંગવા માટે આવ્યો છું, સત્તા ભોગવવા માટે નહીં. હું જ્યારે પહેલીવાર મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં આપને કહ્યું હતું કે હું પરિશ્રમ કરવામાં કોઈ કચાશ નહીં રાખું, પરિશ્રમની પરાકાષ્ઠા કરીશ. ભાઈઓ-બહેનો, આજે અગિયાર-બાર વર્ષ થઈ ગયાં, એક પણ મિનિટ મેં મારા માટે વાપરી નથી, ગુજરાતની જનતા કાજે વાપરી છે. મેં આપેલા વચનનું પૂરેપુરું પાલન કર્યું છે. મેં આપને કહ્યું હતું કે હું મનુષ્ય છું, મારાથી ભૂલ થવાની સંભાવના છે, પણ હું બદઈરાદાથી ક્યારેય ખોટું નહીં કરું. ભાઈઓ-બહેનો, કેટકેટલા જુલ્મ થયા છે, કેટકેટલા આરોપો થઈ રહ્યા છે, કેવા કેવા પ્રકારના લોકો મેદાનમાં આવ્યા છે, તેમ છતાંય મેં મૌનનો માર્ગ અપનાવ્યો છે, મોં પર તાળું મારીને બેઠો છું. કારણ, મને આપમાં ભરોસો છે. આપે મને જોયો છે, મને પારખ્યો છે, મને નીરખ્યો છે અને આખી દુનિયા જ્યારે ચોવીસે કલાક મારા ઉપર કેમેરા ગોઠવીને બેઠી હોય ત્યારે, મારી પ્રત્યેક હલચલને આખું હિંદુસ્તાન બારીકી નજરથી જોઈને એનું વિશ્લેષણ કરતું હોય ત્યારે, ભાઈઓ-બહેનો, જો કોઈ કુંડાળામાંથી મારો પગ બહાર પડી ગયો હોત તો મને ક્યારનોય છૂંદી નાખવામાં આવ્યો હોત, ચીરી નાખવામાં આવ્યો હોત..! અને તેથી ભાઈઓ-બહેનો, હું કહું છું કે મારા જીવનનું એક જ સપનું છે, ‘મારું ગુજરાત’. મારા ગુજરાતના જુવાનિયાઓ, મારી ગુજરાતની માતાઓ-બહેનો, મારા ગુજરાતના ખેડૂતો, મારા ગુજરાતનું ગામડું, મારા ગુજરાતનો માછીમાર, મારા ગુજરાતનો આદિવાસી, મારે એમનાં જીવન બદલવાં છે..!

આ સમગ્ર સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો..! આ દરિયો કંઈ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી આવ્યો, ભાઈઓ? હજારો વર્ષથી આ દરિયો છે પણ એ દરિયો, એક જમાનો હતો કે આપણને આફત લાગતો હતો. અને કચ્છ-કાઠિયાવાડ ખાલી થતું હતું. દક્ષિણ ગુજરાતમાં, મુંબઈમાં ચાલીઓમાં રહેવાનું પસંદ કરતા હતા, પણ આપણને અહીંયાં કોઈ દિ જીવનમાં આશા નથી એવી ચિંતા હતી, સારા દિવસો આવશે એવું વિચારતા નહોતા. જે દરિયાકિનારો આપણને બોજ લાગતો હતો, આજે દસ વર્ષની અંદર ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારાને હિંદુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવી દીધું છે. વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ ગયા છીએ. અને મારા સાગરકિનારે રહેનારા ભાઈઓ-બહેનો, મારા શબ્દો તમે લખી રાખજો. તમારા જ આયખાં દરમિયાન, તમારી જ આંખો સામે તમે જોઈને જશો. એવું નહીં કે તમારા ગયા પછી તમારા છોકરાંઓના છોકરાં જોશે એવું નહીં, તમે જ તમારી આંખે જોઈને જશો કે એક નવું ગુજરાત 1600 કિલોમીટરના સમુદ્રકિનારા પર આકાર લઈ રહ્યું છે. મુંદ્રાથી લઈને, જખૌથી લઈને, ઉમરગામ સુધી આખો દરિયાકિનારાનો પટ્ટો ગુજરાતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનવાનું છે. અને ખાલી ગુજરાતની સમૃદ્ધિનું નહીં, હિંદુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનવાનું છે. આપણે તો દરિયાકિનારે કઈ ચીજથી ઓળખાતા? કાં તો માછીમારી, કાં તો અલંગનું શીપ બ્રેકીંગ યાર્ડ. ભાઈઓ-બહેનો, શીપ બ્રેકીંગ યાર્ડમાં પણ ચીન અને બાંગ્લાદેશ સ્પર્ધામાં ઊતરતાં અનેક મુસીબતોમાં એ સપડાઈ ગયું અને હિંદુસ્તાનની સરકારે એને બચાવવા માટે એક ડગલું પણ ન ભર્યું. ભાઈઓ-બહેનો, ગુજરાતે નવી પહેલ આદરી છે. શીપ બ્રેકીંગના જમાના હતા તો હતા, હવે તો શીપ બિલ્ડીંગનું કામ કરવું છે. વિશ્વ આખામાં પહોંચે એવાં વહાણો ગુજરાતની ધરતી પર કેમ તૈયાર ન થાય? ગુજરાતના નાનામાં નાના માણસને રોજગાર કેમ ન મળે? આ મારે કરવું છે અને આ થવાનું છે અને એ દિશામાં હું જાઉં છું. ભાઈઓ-બહેનો, હું આપને એક વિશ્વાસ આપવા માંગું છું. 1960 થી આજ સુધી ગુજરાતે કુલ બજેટ જેટલું ખર્ચ્યું છે, કુલ બજેટ એના કરતાં વધારે બજેટ હું એકલા સૌરાષ્ટ્રની અંદર માત્ર પાણી માટે ખર્ચવાનો નિયમ લઈને ચાલું છું. એ ‘કલ્પસર યોજના’ હોય, એ નર્મદાના અવતરણની ‘સૌની યોજના’ હોય, એ ડેમ ભરવાના હોય, પીવાનું પાણી પહોંચાડવાનું હોય... મારે આખાયે સૌરાષ્ટ્રને લીલુંછમ બનાવવું છે. જેમ મારું દક્ષિણ ગુજરાત લીલુંછમ લાગે છે ને એમ મારું કાઠિયાવાડ લીલુંછમ કરવું છે અને એના માટે, આપ વિચાર કરો, હું જ્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાત સરકારનું બજેટ 6000 કરોડ રૂપિયાનું નહોતું, બજેટ છ હજાર કરોડનું નહોતું. હમણાં મેં સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાની 10,000 કરોડ રૂપિયાની યોજના મૂકી છે. અને મારા કોંગ્રેસના મિત્રો તો જૂઠાણા ફેલાવવામાં માસ્ટર છે. હું એકવાર ‘વનબંધુ કલ્યાણ યોજના’ લઈ આવ્યો હતો. વિધાનસભામાં બોલ્યો હતો, વિધાનસભામાં ખોટી માહિતી આપી શકાતી નથી હોતી. વિધાનસભામાં બોલેલો કે મારા આદિવાસીઓના કલ્યાણને માટે 15,000 કરોડ રૂપિયાનું ‘વનબંધુ પેકેજ’ લઈને હું આવ્યો છું અને મારે આદિવાસીઓનો સર્વાંગીણ વિકાસ કરવો છે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાનું ભલું મારે કરવું છે. આ કોંગ્રેસના મિત્રોએ કાગારોળ કરી કે બજેટમાં તો વનબંધુ કલ્યાણ યોજનાનું નામ નથી, રૂપિયા ક્યાંથી લાવશો? મોદી, રૂપિયા તમારી પાસે દેખાતા નથી, તમે જૂઠું બોલો છો. તમે લોકોની આંખમાં ધૂળ નાખો છો... આવું જાતજાતનું કહે. આ તો હું તો હજી મર્યાદિત શબ્દો વાપરું છું, એ લોકો તો ડિક્શનેરીમાં જેટલા અપશબ્દો હોય તે અને નવા બનાવીને મારા માટે રોજ વાપરતા હોય છે. તે એમના સંસ્કાર પ્રમાણે કરે, હું મારા સંસ્કાર પ્રમાણે કરું છું. પણ ભાઈઓ-બહેનો, આજે મારે ગર્વ સાથે કહેવું છે, મેં મારા આદિવાસી ભાઈઓને કહ્યું હતું કે મારે આપના સર્વાંગીણ વિકાસનું કામ કરવું છે. 15,000 કરોડ રૂપિયાનું આ મારું વનબંધુ કલ્યાણ યોજનાનું પેકેજ, આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટેનું પેકેજ, એ જ્યારે પૂરું થયું ત્યારે 15,000 કરોડને બદલે 18,000 કરોડ રૂપિયા વપરાઈ ગયા, 18,000 કરોડ રૂપિયા..! અને એમાં મને એટલી બધી સફળતા મળી છે કે સ્વયં કોંગ્રેસની દિલ્હીમાં બેઠેલી સરકાર પણ અભ્યાસ કરે છે કે મોદી આ કઈ રીતે આખું પરિવર્તન લાવ્યા છે, કેવી રીતે બધાને સાથે રાખીને કામ કરી રહ્યા છે..! અને એની સફળતાને જોઈને ભાઈઓ-બહેનો, આ વખતે મેં નિર્ધાર કર્યો છે આદિવાસીઓના કલ્યાણને માટે 40,000 કરોડ રૂપિયાનું પેકેજ..! મારા માછીમારી ભાઈઓ, સાગરખેડૂ ભાઈઓ... વર્ષમાં છ મહિના કામ મળે. દરિયો છ મહિના ઉપયોગમાં ન આવે. છ મહિના કરે શું? ભાઈઓ-બહેનો, મારે આખા દરિયાકાંઠાની મારી માતાઓ-બહેનોને, મારા સાગરખેડૂ પરિવારોને, મારા માછીમાર ભાઈઓની જિંદગીમાં બદલ લાવવા માટે થઈને સમુદ્રની અંદર ખેતી કરવા માટેની એક નવી યોજના હું લઈ આવ્યો છું. સી-વીડની યોજના લાવ્યો છું. અને એના કારણે ગામોગામ સખીમંડળની બહેનો દરિયાકિનારે માછીમારીનું કામકાજ, મછવારાઓનું સમુદ્રમાં જવાનું બંધ હોય ત્યારે પણ એની રોજીરોટી કમાવવાની બંધ ના થાય એની ચિંતા એમાં મેં કરી છે. ભાઈઓ-બહેનો, વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય ને તો શિક્ષણનું મહાત્મ્ય હોય છે. મારે નવજુવાનોને રોજગાર અપાવવો છે, મારે નવજુવાનોની જિંદગી બદલવી છે. ભાઈઓ-બહેનો, નરેન્દ્ર મોદીની આ વખતની જે મથામણો છે ને, કોઈ રખે એમ માનતા કે હું તમારા સુખનો વિચાર કરું છું, કોઈ એમ ન માનતા હું તમારું ભલું કરવા વિચારુ કરું છું. ભાઈઓ-બહેનો, હું તમારું તો ભલું કરીશ ને કરીશ, પણ તમારા દીકરાના દીકરાઓ પણ સુખેથી ગુજરાતમાં જીવી શકે એવું દિવ્ય-ભવ્ય ગુજરાત બનાવવાની મથામણ કરી રહ્યો છું..!

ભાઈઓ-બહેનો, કોંગ્રેસના મિત્રો દિવસ-રાત જૂઠાણા ફેલાવે છે અને હવે તો કોંગ્રેસમાં ફેશન થઈ ગઈ છે. એમણે લાખો કરોડોના એવા ગોટાળા કર્યા છે કે એમને હવે નાના આંકડા ફાવતા જ નથી. એમનું નાનું ટાબરિયું પણ 500-1000 કરોડથી નીચે બોલતું જ નથી. આ રૂપિયામાં રમવાવાળા લોકોને આખી દુનિયા એવી દેખાય છે, પરંતુ હિંદુસ્તાન જાણે છે કે કોના હાથ કોલસાના કાળા કામોમાં રંગાએલા છે, કોના હાથ રમત-ગમતના ખેલાડીઓના પેટમાંથી પડાવી લીધેલા પૈસાથી ભરેલા છે, એ આખું હિંદુસ્તાન જાણે છે. જેલના સળિયા પાછળ જવું પડ્યું તમારા લોકોને અને તમે આજે ગુજરાતની જનતાની છેતરપિંડી કરવા નીકળ્યા છો..? ગુજરાતની જનતા કોઈ કાળે તમને સ્વીકારવાની નથી, કોઈ કાળે સ્વીકારવાની નથી. ગુજરાતની જનતા દીર્ધદ્રષ્ટા છે અને એણે એક મોટું કામ કર્યું છે રાજનૈતિક સ્થિરતાનું, પોલિટિકલ સ્ટેબિલિટીનું. એકધારી સરકાર હોવાના કારણે, વારંવાર સરકારો પડવા-આખડવાના બદલે સંતોષકારક બહુમતી આપીને ગુજરાતની સરકાર પાસેથી લોકોએ કામ લીધું છે. અને મને આનંદ છે કે ગુજરાતની જનતાએ મારી પાસે કામ લીધું છે, પ્રત્યેક પળ મારો હિસાબ રાખ્યો છે અને સારા કામને વધાવ્યું છે અને એના આધારે ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પર જવા માંગે છે.

મારે કોંગ્રેસના મિત્રોને પૂછવું છે, જ્યાં સુધી દિલ્હીમાં અટલજીની સરકાર હતી અને કોઈ માછીમારને પાકિસ્તાન પકડી જાય તો એને બોટ સાથે પાછો મોકલાતો હતો. એવું તે કયું કારણ છે, કે દિલ્હીની સરકારનો એવો તે કયો કારસો રચાણો છે, કે આજે મારા ગુજરાતનો માછીમાર માછલી પકડવા જતો હોય, પાકિસ્તાનના ચાંચિયાઓ એને ઘેરીને પકડી જતા હોય અને પછી છ-છ મહિના, આઠ-આઠ મહિના જેલમાં સબડતો હોય પણ એને બોટ લઈને પાછો આવવા ન દે, બોટ પાકિસ્તાન કબજે કરી લે છે. આ દિલ્હીની સરકારમાં આટલી મોટી તાકાત છે એવી વાતો કરે છે, કમ સે કમ મારા ગુજરાતના માછીમારોની જે 500-1000 બોટો ત્યાં ફસાએલી પડી છે, કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાં ફસાએલી પડી છે એ તો તમે પાછી લાવી આપો..! પણ ના, માછીમારોનું જે થવું હોય તે થાય, એ એનું ફોડી લે. ઘણીવાર તો માછીમારોને સલાહ આપે કે તમે માછલાં પકડવા એ બાજુ કેમ જાઓ છો..? પાકિસ્તાન વિરુદ્ધ એક શબ્દ બોલવાની હિંમત નથી. માછીમારોને આ રીતે સપડાવવાનું કામ ચાલે છે ત્યારે ભાઈઓ-બહેનો, મારા માછીમારોના રક્ષણની જવાબદારી કોણ લેશે? એમના જીવનની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? શું દિલ્હીની સરકાર હાથ ઊંચા કરી દે અને મારો આ માછીમારભાઈ અસહાય હોય..?

ભાઈઓ-બહેનો, આજે સૌરાષ્ટ્રની અંદર વિકાસ કેવી ઊંચાઈએ પહોંચ્યો છે..! રાજકોટ, દુનિયાનાં સૌથી વિકાસ પામનારાં જે પહેલાં દસ શહેરો છે, એમાં રાજકોટનો નંબર છે. જો સૌરાષ્ટ્ર ધમધમતું ના હોત તો રાજકોટ આ ઊંચાઈ પર ના પહોંચ્યું હોત. અને દિલ્હીની સરકાર સામે બીજી પણ મારી ફરિયાદ છે. કોંગ્રેસના મિત્રો, તમને ગુજરાતના ખેડૂતો પાસેથી વોટ માંગવાનો અધિકાર નથી, ગુજરાતના ગામડાંની વાત કરવાનો અધિકાર નથી. તમે લોકોએ તો ગુજરાતના ખેડૂતોને ખેદાન-મેદાન કરી મૂક્યા છે. ભાઈઓ-બહેનો, આ વખતે આપણે ત્યાં વરસાદ ખેંચાણો અને વરસાદ ખેંચાવાને કારણે અગવડ ઊભી થઈ. ખેડૂત તારાજ થઈ ગયો એવી સ્થિતિ પેદા થઈ અને રાજકીય માઈલેજ લેવા માટે, ચૂંટણીનું વર્ષ હોવાના કારણે દિલ્હીથી ધાડેધાડાં અહીંયાં ઊતરી પડ્યાં. મંત્રીઓ આવી ગયા, મીટિંગો કરી, ચાર-ચાર કલાક મારી જોડે મીટિંગો કરી. સરકારે છસ્સો-છસ્સો પાનાંના અહેવાલ આપ્યા. અહીંયાં ટી.વી.વાળાઓને કહીને ગયા કોંગ્રેસના નેતાઓ, દિલ્હીની સરકારના મંત્રીઓ કે અમે 15,000 કરોડ રૂપિયાનું ગુજરાતને નુકશાન થયું છે એની ચિંતા કરીશું. મારે ગુજરાતના ખેડૂતોને કહેવું છે ભાઈઓ-બહેનો, ગુજરાતની અંદર વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થયું. આજ સુધી, આજ સુધી એક કાણી પાઈ દિલ્હીની સરકારે આ મારા ગુજરાતના ખેડૂતોને આપી નથી. પરંતુ વચનમાં શુરા-પૂરા કોંગ્રેસના મિત્રો ખેડૂતના નામે રોજ નવાં વચનો આપ્યા કરે છે, રોજ નવાં જૂઠાણા ફેલાવ્યા કરે છે. અરે, તમારામાં હિંમત હોય, તમારામાં ઈમાનદારી હોય, તમારામાં ગુજરાતના ખેડૂતો પ્રત્યેની લાગણી હોય તો કમ સે કમ આ દુષ્કાળ, વરસાદ જે ખેંચાયો અને એના કારણે જે એનો પહેલો પાક નિષ્ફળ ગયો, એને જે મુસીબતો આવી એમાં તો કંઈક કરો..! નહીં કરે, કરવું હોત તો કરી દીધું હોત. ઠાલાં વચન, વાતો, વાતો, વાતો... એ જ કર્યા કરવાનું, અને આજ પ્રકારે સમાજને છેતર્યા કરવાનો. મારે કોંગ્રેસના મિત્રોને પૂછવું છે, તમારું દિલ્હીમાં આટલું બધું ચાલતું હતું ને, કયું કારણ હતું કે તમે રાતોરાત કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. મારો કાઠિયાવાડનો ખેડૂત સીંગદાણામાંથી કપાસ તરફ વળ્યો છે, કપાસમાં એને પૂરતી આવક મળે એવી સંભાવના ઊભી થઈ છે, કપાસની અંદર એણે પાક પકવીને નવી શ્વેત ક્રાંતિ કરી છે, આખા હિંદુસ્તાનના ખેડૂતો ગુજરાતના ખેડૂતોએ કપાસ પકવવાની અંદર જે પહેલ કરી છે એને જાણવા-સમજવા માટે આવતા થયા છે. અને જ્યારે ગુજરાતનો ખેડૂત કપાસ પકવતો થયો અને એ બે પાંદડે થવા માંડ્યો, દેવાના ડુંગરોમાંથી બહાર આવ્યો ત્યારે અચાનક રાતોરાત તમે કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો..! ડૉ. મનમોહનસિંહજી મારો ગંભીર સવાલ છે તમને, તમે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં આવવાના છો ત્યારે ગુજરાતના ખેડૂતોને જવાબ આપજો. એવું કયું કારણ હતું કે માર્ચ મહિનામાં જ્યારે દુનિયામાં કપાસના ભાવ સૌથી ઊંચા હતા, ગુજરાતના ખેડૂતનો કપાસ માર્ચ મહિનામાં વિદેશ જાય તો એને ભરપૂર માત્રામાં ડૉલર મળે એવી સંભાવના હતી, એ જ વખતે તમે ગુજરાતના ખેડૂતનો કપાસ વિદેશ મોકલવાનું કેમ બંધ કર્યું? શા માટે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો અને મારા ગુજરાતના કપાસના ખેડૂતને બેહાલ કરી દીધો..? અને આ તમે એકવાર નથી કર્યું, ત્રણવાર કરી ચૂક્યા છો. અને જ્યારે અમે હોબાળો કરીએ, અમે આંદોલન ચલાવીએ, મારી પાર્ટીના પ્રમુખ શ્રીમાન આર.સી.ફળદુએ જ્યારે કિસાનોના હિતની યાત્રા કાઢી ત્યારે તમારી દિલ્હીને ખબર પડી કે કિસાનોમાં કેટલો મોટો આક્રોશ છે અને ત્યારે તમારે નિયમ બદલવો પડ્યો. પણ ત્યાં સુધીમાં તો નર્મદાનું પાણી ઘણું વહી ગયું, મારો ખેડૂત તારાજ થઈ ચૂક્યો હતો. પણ તમને એમની ચિંતા નહોતી. રોજ નીતનવાં જૂઠાણા ફેલાવાનાં..! ભાઈઓ-બહેનો, કોંગ્રેસના મિત્રો ગુજરાતના ખેડૂતોને બહેકાવવાની વાતો કરે છે. આ દક્ષિણ ગુજરાતનો આદિવાસી પટ્ટો, ત્યાંનો મારો આદિવાસી ખેડૂત જમીન હોય વીઘું, બે વીઘું, અઢી વીઘા, ત્રણ વીઘા, પાંચ વીઘા... શું કમાય? શું કંઈ ખાય? માંડ બિચારાની વરસે બાર હજાર, પંદર હજાર, વીસ હજાર રૂપિયાની આવક હોય અને દેવું કરીને જિંદગી જીવે અને ભરઉનાળામાં તો રોડ બનાવવા માટે રાજકોટ, જામનગર, ભાવનગરમાં કામ કરવા જતો રહે. આપણે એક ‘વાડી યોજના’ લાવ્યા. વાડી યોજના લાવીને વીઘું, બે વીઘું જમીન હોય તો પણ એને એની ખેતીની પદ્ધતિ બદલી આપી, એની જમીન સરખી કરી આપી. અને આજે મારે ગર્વ સાથે કહેવું છે કે મારો દક્ષિણ ગુજરાતનો આદિવાસી વીઘું-બે વીઘું જમીન હોવા છતાંય કાજુની ખેતી કરતો થયો છે, ફળફળાદિની ખેતી કરતો થયો છે અને જે ખેડૂત મારો બાર હજાર રૂપિયા માંડ કમાતો હતો, પંદર હજાર માંડ કમાતો હતો આજે દોઢ લાખ, બે લાખ રૂપિયા કમાતો થયો છે. આ કરી શકાતું હોય છે, અમે આ કરી બતાવ્યું છે. અરે, અમારા દાહોદ જિલ્લામાં તમે જાવ, અમારો આદિવાસી ખેતર બોલતો નથી, ફૂલવાડી બોલે છે, કારણ ફૂલોની ખેતી કરે છે અને આજે મુંબઈની અંદર કોઈ ભગવાન એવા નહીં હોય કે જ્યાં મારા દાહોદના આદિવાસીએ પકવેલાં ફૂલ ભગવાનાના ચરણે નહીં ચડતા હોય. દાહોદના જંગલોના આદિવાસીઓએ પકવેલાં ફૂલ આજે મુંબઈના બજારની અંદર મોંઘી કિંમતે વેચાતાં થઈ ગયાં છે. પરિવર્તન લાવી શકાય છે.

દિલ્હીમાં તમારી સરકાર છે ને? આવોને હું કહું છું સ્પર્ધા કરો. સ્પર્ધા કરવાનું કહું છું તો તમને અકળામણ થાય છે..? તમારી પાસે શું નથી..! બધા સંસાધનો છે. શા માટે તમે કૃષિ વિકાસ દર ઊંચો નથી લાવી શકતા. 2%-3% ટકા કૃષિ વિકાસ દરે તમે અટકી જાઓ છો. આ ગુજરાત છે જેણે 11% કૃષિ વિકાસદર કરીને ગુજરાતના ગામડાંની ખરીદશક્તિ વધારી છે, ગુજરાતના ગામડાંની સમૃદ્ધિ વધારી છે, ગુજરાતના ગામડાંના જીવનને બદલ્યું છે અને એનું પરિણામ એ છે કે આજે 25, 30, 35 વર્ષની ઉંમરના જુવાનિયાઓ ખેતીમાં પાછા વળવા માંડ્યા છે. નહીં તો પહેલાં તો, કુટુંબમાં ખેતીમાં મજૂર રાખીને પણ છોકરાઓને કહે કે ભાઈ, ક્યાંય બીજે જાઓ અને ગોઠવાઈ જાવ, ધંધો રોજગાર કરો, હિરા ઘસો જાવ પણ હવે ખેતીમાંથી કંઈ નીકળશે નહીં..! કુટુંબોના કુટુંબો તારાજ થઈ ગયાં તમારા પાપે. આજે, આજે ખેતી તરફ માણસ વળવા માંડ્યો છે. ભાઈઓ-બહેનો, નર્મદા યોજનાનું કામ કોણે અટકાવ્યું છે? ડૉ. મનમોહનસિંહજીને હું અનેકવાર મળ્યો. આપ કહો ભાઈઓ-બહેનો, કોઈવાર કોઈ રાજ્યના મુખ્યમંત્રીને દિલ્હીની સરકાર સામે ઉપવાસ પર બેસવું પડ્યું હોય એવી કોઈ ઘટના છે..? ઈતિહાસમાં નહીં જડે. પણ ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હીની સલ્તનત સામે ઉપવાસ પર બેસવું પડ્યું હતું. શેના માટે..? મોદીને માટે? મોદીના હકને માટે? મોદીના માન-સન્માન માટે..? ના, મોદીને ઉપવાસ પર બેસવું પડ્યું હતું, દિલ્હીની સરકારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની આપણને ના પાડી દીધી હતી, ત્યારે મારે મોરચો માંડ્યો હતો અને નર્મદા ડેમની ઊંચાઈની પરમિશન લાવવી પડી હતી અને એના કારણે નર્મદા ડેમની ઊંચાઈ વધી. ફરી પાછું એમણે ગચિયું નાખી દીધું, ઉપર ગેટ મૂકવા છે, નથી મૂકવા દેતા..! કોંગ્રેસના મિત્રોને હું ચેલેન્જ કરીને કહું છું, શા માટે તમે આ કામ નથી કરાવતા? જો દરવાજા નાખવામાં આવે તો આજે ગુજરાતના કચ્છ-કાઠિયાવાડની દરેક જગ્યાની ભૂમિ ઉપર કેનાલોમાં પૂરા વેગથી પાણી પહોંચી શકે. ના, કરવાનાં કામ કરવાં જ નથી, જૂઠાણા જ ફેલાવવાં છે..! પીવાના પાણીનો પ્રશ્ન કોંગ્રેસ કોઈ દિવસ ઉકેલી શકી છે? બહુ બહુ તો તમે માંગણી કરો તો હેન્ડ પંપ અથવા ટેન્કર આપે. કોંગ્રેસના લોકોના તો ટેન્કરના બધા ધંધા મારા કારણે બંધ થઈ ગયા, નહીં તો ટેન્કરો ચલાવી ચલાવીને રૂપિયા કમાતા હતા. બે ટેન્કરો હોય ને બાર બતાવે, બાર હોય એને અડધા ભરે, ચોવીસનું બિલ બને, રૂપિયા ખિસ્સામાં જાય... આ જ કારોબાર ચાલતો હતો. આ બધી વચેટિયા કંપનીની દુકાનો બંધ થઈ ગઈ છે ને, એના કારણે એમને તકલીફ થવા માંડી છે.

ભાઈઓ-બહેનો, ગુજરાતને તબાહ કરવાની નેમ લઈને કોંગ્રેસના નેતાઓ બેઠા છે. આ ગુજરાતને બચાવવાનું છે, ગુજરાતની વિકાસયાત્રાની અંદર કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે એની ચિંતા સૌ નાગરિકોએ સાથે મળીને કરવાની છે. આ એક એવી લડાઈ છે જે આપણે જીતવાની છે અને લડાઈ જીતવા માટેની આપણી મથામણ છે. ભાઈઓ-બહેનો, ચૂંટણીની અંદર જાતજાતના જૂઠાણાને ગુજરાતની જનતા હવે બરાબર ઓળખી ગઈ છે. જૂઠાણા ફેલાવનારાઓ કોણ છે, ગપગોળા ચલાવનારા કોણ છે, ગુમરાહ કરનારાઓ કોણ છે... કોંગ્રેસે તો એક સ્પેશ્યલ ‘ડર્ટી ટ્રિક ડિપાર્ટમેન્ટ’ બનાવ્યો છે. ગંદકી ફેલાવવા માટેનો એક અલગ ડિપાટર્મન્ટ બનાવ્યો છે. રોજ એક નવી ગંદકી છોડવાની, ચરિત્રહનન કરવાનું, લોકશાહીની અંદર ન શોભે એવા કારસા રચવાના અને બધું નનામા નામે કરવાનું, જેથી કરીને કાયદાની પકડમાં આવે નહીં અને ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય. ભાઈઓ-બહેનો, આવા બધા ખેલથી હું આપને ચેતવું છું. મારી પૂરી માહિતી છે એના આધારે હું કહું છું કે કોંગ્રેસે આ પ્રકારના કારસા રચ્યા છે. પણ ગુજરાતની જનતા ભ્રમિત નહીં થાય. ભાઈઓ-બહેનો, આજે સમગ્ર હિંદુસ્તાન દુનિયાનો સૌથી યુવાન દેશ છે, દુનિયાનો સૌથી યુવાન દેશ..! પણ કોઈ મને કહો કે આ દિલ્હી સરકાર પર જોઈને કોઈ યુવાનને એવો ભરોસો બેસે કે ભાઈ, મારું ભવિષ્ય ઉજ્જ્વળ છે..? કોઈ મને કહો, કોઈને બેસે? આ દિલ્હીની સરકાર જે રીતે ચાલી છે, આ દેશનો કોઈપણ જુવાનીયો એવો વિશ્વાસ કરે કે ભાઈ, આ દિલ્હી સરકારના હાથમાં મારું હિંદુસ્તાન સલામત છે, મારું ભવિષ્ય સલામત છે, મારી રોજી-રોટી સલામત છે, મારી બહેન-દીકરી સલામત છે આવો કોઈ વિશ્વાસ કરે? તો શું એવા લોકોના હાથમાં ગુજરાત દેવું છે..? ભાઈઓ-બહેનો, દિવસ-રાત ગુજરાતને અન્યાય કરવા ટેવાયેલા છે. એમણે વચન આપ્યું હતું ને કે સો દિવસમાં મોંઘવારી દૂર કરીશું..? કરી..? કોઈ મને કહો ભાઈ, એટલું જ નહીં મોંઘવારી વધારી. અરે ગેસના બાટલા પણ પડાવી લીધા. અને ગેસના બાટલાના ભાવ.., રાંધવું કેમ? માણસને ચા પીવાની બંધ કરવી પડે એવી દશા આવી ગઈ, મહેમાન આવે તો કંઈ આપવું નહીં... આ દશા, મોંઘવારી કુદકે ને ભુસકે વધતી જાય છે. પણ એમને પીડા નથી..! સૌથી મોટી દુ:ખદ બાબત આ છે કે દિલ્હીમાં બેઠેલી સરકારને જરાય પીડા નથી કે આ મોંઘવારીના કારણે દેશ કેવો બરબાદ થઈ રહ્યો છે, ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો. પણ ન મનમોહનસિંહજીને એની ચિંતા છે, ન મેડમ સોનિયાબેનને એની ચિંતા છે, ન કોંગ્રેસ પાર્ટીને એની ચિંતા છે. કોંગ્રેસને તો દિવસ-રાત એક જ કામ છે. સવારે ઊઠો અને આજે મોદીના ઉપર શું આરોપ મૂકવો છે એના કાગળિયાં તૈયાર કરો. ગયા પાંચ વર્ષ એકધારું ચલાવ્યું છે અને એટલું જ નહીં, એમના નિવેદનોની તાકાત ઘટી ગઈ છે એટલે શું કરે છે? સી.બી.આઈ.ને લાવો, ઈન્કમટેક્સવાળાને લાવો, રૉ વાળાને લાવો, ફલાણાને લાવો, ઢીંકણાને લાવો... દુનિયાભરના કાયદાની ગૂંચોમાં ગુજરાતને ફસાવવાની કોશિશ કરી છે, પણ ભાઈઓ-બહેનો, મને આપના આશિર્વાદ છે, આ જનતા જનાર્દનના આશિર્વાદ છે કે આટઆટલી આફતોમાં પણ મેં ગુજરાતના નાવને ડૂબવા નથી દીધું, આટઆટલી આફતો પછી પણ મેં ગુજરાતના સામાન્ય માનવીના જીવનને ઊની આંચ આવવા દીધી નથી, વિકાસની આખી પ્રક્રિયામાં કોઈ મુસીબત ઊભી ન થાય એ માટેની પૂરી કોશિશ કરી છે.

અમારો અગરીયો, મીઠું પકવે. ગુજરાત દિલ્હી સરકારને કહી કહીને થાકે કે અમને મીઠું લઈ જવા માટે વેગનો આપો, વેગનો. અમારા અગરીયાને એનું પેટ ભરવા માટે મીઠું વેચાઈ જાય એ જરૂરી છે, મીઠું પડ્યું પડ્યું ખરાબ થતું હોય..! આ દિલ્હીની સરકાર વર્ષે જેટલાં વેગન જોઈતાં હોય ને, એના કરતાં અડધાં વેગન પણ આપતી નથી. આપ વિચાર કરો મારા અગરીયાભાઈઓનું શું થાય? ભાઈઓ-બહેનો, આ સરકાર ગરીબોની બેલી છે, આ સરકાર નોંધારાનો આધાર છે, સામાન્ય માનવીના સુખની ચિંતા કરનારી સરકાર છે. આપણે કૃષિ મહોત્સવ કરીએ છીએ. શેના માટે..? ગામડે ગામડે કૃષિ ક્રાંતિ લાવવા માટે. આજે ગુજરાતનો ખેડૂત ‘સોઇલ હેલ્થ કાર્ડ’ સમજવા લાગ્યો છે. આજે ગુજરાતનો ખેડૂત ખાતર કયું વાપરવું, કયું ના વાપરવું એની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા માંડ્યો છે. આ ગુજરાતની અંદર ખેડૂતોની વાતો કરનારાઓ, એક એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી, અમે આવીને ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ બનાવી અને વિસ્તાર પ્રમાણે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યા જેથી કરીને એનું ભણતર કામે લાગે. કોંગ્રેસના લોકોને આ ન સૂઝ્યું..!

ભાઈઓ-બહેનો, વિકાસનું કોઈ એવું ક્ષેત્ર નહીં હોય કે જેની આપણને ચિંતા ન કરી હોય. તમે મને કહો આ દ્વારકા, આ સોમનાથ, આ પાલિતાણા, આ ગીરના સિંહ, આ બધું પહેલા હતું કે નહોતું, ભાઈ? હતું જ ને..? અને તેમ છતાંય કોંગ્રેસની સરકારોને વિચાર આવ્યો કે ભાઈ પર્યટન વિભાગને આપણે ધમધમતો કરવો જોઇએ, દેશ અને દુનિયાના પર્યટકોને ગુજરાત બોલાવવા જોઇએ, આપણા સિંહ બતાવવા જોઇએ, આપણું દ્વારકા બતાવવું જોઇએ, આપનું સોમનાથ બતાવવું જોઇએ, આપણું પાલિતાણા બતાવવું જોઇએ, આપણો દરિયાકિનારો બતાવવો જોઇએ, આપણું કચ્છનું રણ બતાવવું જોઇએ..? સૂઝ્યું એમને..? ભાઈઓ-બહેનો, ન સૂઝ્યું, ન સૂઝ્યું ને ન જ સૂઝ્યું..! આખા હિંદુસ્તાનમાં ટુરિઝમના ક્ષેત્રમાં ગુજરાતના લોકો દુનિયાભરની અંદર તમને ફરવા જતા દેખાય, પણ દુનિયા ગુજરાત નહોતી આવતી. આપણે ભાઈઓ-બહેનો, એના માટેની હોડ ઊઠાવી. આજે જૂનાગઢ ગુજરાતના પ્રવાસનધામનું હેડ ક્વાર્ટર બની ગયું છે. કચ્છ, રાજસ્થાનમાં જેટલા ટુરિસ્ટો આવે એ થી વધારે ટુરિસ્ટ આજે એકલા કચ્છમાં આવતા થઈ ગયા છે. હોટલો બધી બુક હોય છે અને ગરીબમાં ગરીબ માણસને રોજગારી મળે. રિક્ષાવાળો કમાય, ચોકલેટ વેચવાવાળો કમાય, રમકડાં વેચવાવાળો કમાય, ચા-પાણી-નાસ્તો કરાવનારો કમાય, નાની-નાની રેસ્ટોરન્ટવાળો કમાય... કેટલા બધા લોકોને આવક મળે છે. આ બધું પડ્યું હતું પણ એમને સૂઝ્યું નહીં. આજે ટુરિઝમનો વિકાસ કરીને આપણે સમગ્ર હિંદુસ્તાનનું ધ્યાન ખેંચ્યું છે અને ભારત સરકારે પોતે સ્વીકાર્યું છે કે આખા દેશમાં ટુરિઝમનો જે વિકાસ થયો એમાં સૌથી વધારે કોઈ મોટી હરણફાળ ભરી હોય તો ગુજરાતે ગયા ત્રણ વર્ષમાં ભરી છે. ભાઈઓ-બહેનો, અમિતાભ બચ્ચને ગુજરાતના ટુરિઝમની જાહેરાત કરવાની જવાબદારી લીધી તો એની પાછળ પડી ગયા. છોડી દો..! કેમ ભાઈ?

અરે, આ ગુજરાત વિરોધીઓની જમાત એવી છે, આપણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ કર્યું અને દુનિયાના લોકો જ્યારે ગુજરાતની અંદર આવ્યા તો અહીંના કોંગ્રેસના નેતાઓએ ભારત સરકારને પત્ર લખ્યો કે ગુજરાતમાં જે મૂડીરોકાણ કરવાની વાતો કરે છે એવા લોકોને રોકો અને રોકવાનો ઉપાય શું? તો એમને ઈન્કમટેક્સની નોટિસો આપો. ભાઈઓ-બહેનો, દેશની કમનસીબી જુઓ, આ પ્રધાનમંત્રી દિલ્હીમાં ફૉરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટની વાતો કરે છે, પણ ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ ના આવે એના માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓને ઈશારે દિલ્હીની સરકાર ઈન્કમટેક્સની નોટિસો મોકલે છે. કેમ ભાઈ? તમે આ ગુજરાતને ‘છુંછાં પૈસા ચાર’ સમજો છો..? સવાર-સાંજ તમને ગુજરાત જ દેખાય છે..? ગુજરાતની અંદર કોઈ આવે નહીં, વિકાસમાં જોડાય નહીં, ભાગીદાર બને નહીં... શું અમે તમારું કોઈ દુશ્મન રાજ્ય છીએ? અમે કોઈ બીજા દેશની અંદર જીવીએ છીએ? અરે, અમે પણ ભારતમાતાના સંતાન છીએ, અમે પણ ભારતના બંધારણને વરેલા છીએ, અમે પણ તિરંગા ઝંડાની આન, બાન, શાન માટે જીવનારા લોકો છીએ..! અને તમે એ ગુજરાતને બદનામ કરવા માટેના ખેલ ખેલો છો..? દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, ગુજરાત ઝૂક્યું પણ નથી, ગુજરાત ક્યારેય ઝૂકવાનું પણ નથી. તમારી કોઈપણ કરામતોની સામે ગુજરાત શરણે નથી આવવાનું..!

ભાઈઓ-બહેનો, આ ચૂંટણી ગુજરાતની આવતીકાલ નક્કી કરવા માટે છે, કોઈ ધારાસભ્યનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી. મારા શબ્દો નોંધી રાખજો ભાઈઓ-બહેનો. હું જ આપનો ઉમેદવાર છું, હું જ આપની સેવામાં રત છું, હું આપને સમર્પિત છું. હું મારા માટે આપની પાસે વોટ માંગવા આવ્યો છું. આપ મારાં કામને જોઈને મને વોટ આપો, ગુજરાતની આવતીકાલના મારાં સપના સાકાર કરવા માટે મારી મદદ કરો. આવો, સાથે મળીને સહિયારો પ્રયાસ કરીને દિવ્ય-ભવ્ય ગુજરાત નિર્માણ કરવાની દિશામાં આપણે પ્રયાસ કરીએ. આપણે એક શક્તિ બનીને આગળ વધીએ, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરીએ..!

અમારા કોંગ્રેસના મિત્રોએ આદિવાસીઓને વિજ્ઞાનપ્રવાહની શાળાઓ નહોતી આપી, મને દુ:ખ થાય છે દુ:ખ, આ બધું કહેતાં..! આદિવાસીઓને વિજ્ઞાનપ્રવાહની શાળાઓ નહોતી આપી. અરે, આદિવાસી વિસ્તારમાં સાપ કરડે તો માણસ મરી જાય, આ ‘108’ ના કારણે મારા કેટલાય આદિવાસીઓની જિંદગી બચી ગઈ. સાપ કરડ્યો નથી ને ‘108’ દસ મિનિટમાં એના પાસે પહોંચી નથી અને એની સારવાર કરીને એને બચાવી લીધો હોય..! કેટકેટલી મારી માતાઓ, એની સુવાવડ ‘108’ માં થઈ. અરે, એક જમાનો હતો કે તમારે કોઈ એક્સિડન્ટ થયો હોય તો લોકો પાસે જવાને બદલે ભાગી જાય, પોલિસ કંઈ કહેશે તો..? એને તરફડતો મૂકે. કોઈ હોનારત થઈ હોય તો કોઈ કહેવા તૈયાર ના હોય. આજે કોઈપણ માણસ ‘108’ કરે, એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં ‘108’ આવીને ઊભી રહી જાય છે. અને ગરીબ માણસની સેવા કરે, એક રૂપિયોય લેતા નથી. એક કાણી પાઈ લીધા વિના બિમાર માણસોની જિંદગી બચાવવા માટેની મથામણ આદરી છે. મેં ગરીબોને માટે મહાયોજના બનાવી છે. ગરીબ માનવીને જો ગંભીર પ્રકારનો રોગચાળો થાય તો એની સંપૂર્ણ જવાબદારી લેવાની મેં તૈયારી બતાવી છે. અને મારે તો મારા મધ્યમ વર્ગના ભાઈઓ-બહેનોને પણ કહેવું છે કે આ ચૂંટણીમાં અમે એવો વિચાર લઈને આવી રહ્યા છીએ કે આપના આશિર્વાદથી જ્યારે અમારી નવી સરકાર બનશે ત્યારે મધ્યમ વર્ગના માનવીને સરકારી હોસ્પિટલમાં કોઈ આર્થિક ભારણ ન આવે એ પ્રકારનું આખું આરોગ્યનું તંત્ર ઊભું કરી રહ્યો છું, દવાના ખર્ચામાંથી એને બચાવવા માટેનું મોટું કામ લઈને આવી રહ્યો છું, એક એક મધ્યમ વર્ગના માનવીની જિંદગી બચાવવા માટેનું હું કામ લઈને આવી રહ્યો છું. અને અમે કોંગ્રેસની જેમ છેતરપિંડી કરનારા લોકો નથી, મુરખ બનાવનારા લોકો નથી. અહીંયાં જેમ પેલું ‘ઘરનું ઘર’ નું પોલ ચલાવ્યું છે ને, એવું દિલ્હીમાં એકવાર ચલાવ્યું હતું એમણે. લોકોએ વોટ આપ્યા, આઠ-આઠ વર્ષ થયાં, આજ સુધી એક વ્યક્તિને એક ‘ઘરનું ઘર’ આપ્યું નથી આ લોકોએ, એક નહીં..! છેતરપિંડી, એમના સ્વભાવમાં જ છે. જૂઠું બોલો, વોટ લઈ લો, પછી તમે તમારા ઠેકાણે, હું મારા ઠેકાણે..! આ કોંગ્રેસને ઓળખવાની જરૂર છે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસના લોકો ગુજરાતનું ક્યારેય ભલું કરી શકવાના નથી. નકારાત્મકતા, નકારાત્મકતા કેટલી હદે..? અરે, ગુજરાતનો સ્વર્ણિમ જયંતી અવસર ઊજવાતો હતો એનો બહિષ્કાર કર્યો. કોઈ આવું કરે? અરે, તમે ગુજરાતનું સંતાન છો ભાઈ, આ ગુજરાત તમારું છે..! 1960 થી જેટલી પણ સરકારો બની, આ બધી સરકારોનું કોઈને કોઈ યોગદાન છે એવું કહેનારો કોઈ વિરલો હોય તો તે નરેન્દ્ર મોદી છે. અને છતાંય, છતાંય કોંગ્રેસના મિત્રોએ ગુજરાતની સ્વર્ણિમ જયંતીના સુવર્ણ અવસરમાં પણ ડાઘ કરવાની કોશિશ કરી હતી, બાકોરું પાડવાની કોશિશ કરી હતી, એને કુંઠિત કલંકિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હું ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરું આ બાબતમાં અને ગુજરાતની જનતાએ પણ માફ ન કરવા જોઇએ. ગુજરાતનું સારું થતું હોય ત્યારે તમે આડે આવો છો..! એકપણ સારી વાત ગુજરાતની તમે સ્વીકારી નથી શકતા. આટલી બધી નકારાત્મકતા..! અને જૂઠાણા તો ફોટાય બહારથી જૂઠ્ઠા લાવે, આંકડાય જૂઠ્ઠા લાવે અને બોલ બોલ બોલ બોલ કર્યા જ કરવું પડે..! ભાઈઓ-બહેનો, એમને જવાબો દેવામાં મેં સમય બગાડ્યો નથી, કારણકે મારે તમારી સેવામાં મારો સમય ખર્ચવો છે. આપના સંતાનનું સુખ એ મારી ચિંતાનો વિષય છે, આપના બાળકોની શિક્ષા એ મારી ચિંતાનો વિષય છે. ગરીબ-મધ્યમ વર્ગનો માનવી આ કાળઝાળ મોંઘવારીમાં ટકી રહે એના માટેના રસ્તા શોધવા માટેની મથામણ કરું છું. અને દુનિયા બદલાય છે, એ બદલાતી જતી દુનિયાનો તમને પણ લાભ મળે એના માટેની મથામણ કરી રહ્યો છું. અને એ સઘળી મથામણમાંથી આપ પણ આપના જીવનને પામી શકો, એના માટેની મારી મથામણ છે..!

ભાઈઓ-બહેનો, પહેલા તબક્કાનું મતદાન તેરમી તારીખે છે અને તેરમી તારીખે વધુમાં વધુ મતદાન કરીએ. હું આપને વિનંતી કરું છું, આપ આપના વિસ્તારના ઉમેદવારની સામે ન જોતા, આપ ગુજરાતની આવતીકાલ સામે જોજો, આપ ગુજરાતના ભવિષ્ય તરફ જોજો. આપની જાતિ કઈ હશે, સમાજ કયો હશે, ગોળ કયો હશે, ગામ કયું હશે, કોની સાથે ગમ્યું, ન ગમ્યું... પ્રશ્નો ઘણા હશે, પણ તેમ છતાંય મારા ગુજરાતના વ્હાલા નાગરિક ભાઈઓ-બહેનો, આપને મારી વિનંતી છે કે આપ મતદાન કરવા જાઓ ત્યારે ગુજરાતની આવતીકાલ તરફ જોજો. આવતીકાલ ભવ્ય બનાવવી હોય અને ગયા 11 વર્ષના અનુભવથી જોજો. દેશ બરબાદ થઈ રહ્યો છે, એકમાત્ર ગુજરાત બચ્યું છે. એને બરબાદ નથી થવા દેવું, એવા સંકલ્પ સાથે વોટ કરજો. આપ મતદાન કરો ત્યારે આપની કોઈ રાવ-ફરિયાદ હોય તો મારી સામે જોજો. મેં કોઈ કચાશ નથી રાખી આપને માટે કંઈ કરવા માટે, પૂરતી મહેનત કરી છે. એક કુટુંબના સભ્ય તરીકે કરી છે અને છ કરોડ ગુજરાતીઓ એ જ મારું કુટુંબ છે, એમના જ માટે જીવવાનો મને આનંદ છે, એમના જ માટે ખપી જવાનો મને આનંદ છે. અને એટલા માટે ભાઈઓ-બહેનો, આપના પરિવારના સ્વજન તરીકે હું ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાન પર બટન દબાવવા આપને વિનંતી કરું છું. આપ મને ઓળખજો, મારી પાર્ટીને ઓળખજો, મારા કમળના નિશાનને ઓળખજો. ખડે પગે હું આપની સેવા માટે તૈયાર છું અને આપની સેવામાં કોઈ કચાશ નહીં રાખું..!

ભાઈઓ-બહેનો, ઘણીવાર એકવાર સત્તા મળે તો માણસ ઉત્સાહમાં હોય, બીજીવાર આળસી જાય..! આપે મને જોયો છે, આપે મને આટઆટલી વખત સત્તા પર બેસાડ્યો પણ રોજ નવી યોજના સાથે આવું છું, રોજ નવા ઉમંગ સાથે આવું છું, રોજ નવી ઊર્જા સાથે આવું છું. કારણ, આ ઊર્જાનું કારણ આપ છો. આપનો પ્રેમ મને દોડાવે છે, આપનો પ્રેમ મને દિવસ-રાત ઊજાગરા કરાવે છે, આપનો પ્રેમ મને ગુજરાત માટે ખપી જવાની તાકાત આપે છે અને એટલા માટે મારા શરીરનો પ્રત્યેક કણ, મારા સમયની પ્રત્યેક ક્ષણ, મારે આપના માટે ખપાવવી છે, મારા ભાઈઓ-બહેનો..! મારું સૌરાષ્ટ્ર આખી દુનિયામાં ગુંજતું થાય, ગાજતું થાય, દુનિયામાં પ્રવાસધામ માટે સૌરાષ્ટ્ર વખણાતું થાય, મારો દરિયાકિનારો ધમધમતો થાય, મારો આદિવાસીનો દીકરો સર્વોચ્ચ શિખરો પ્રાપ્ત કરી શકે એવો સામર્થ્યવાન બને. મારું દક્ષિણ ગુજરાત હોય કે મારું સૌરાષ્ટ્ર હોય, એવી નવી ઊંચાઈઓને પાર કરે કે જેને કારણે ગુજરાતનો સમવેગ વિકાસ લાગે, સર્વાંગી વિકાસ લાગે, સર્વ જન હિતાય લાગે, સર્વ જન સુખાય લાગે... આ વિચારને લઈને અમે ચાલી રહ્યા છીએ. અને એટલા માટે ભાઈઓ-બહેનો, કોંગ્રેસના પાપોથી ગુજરાતને બચાવવું છે. અને મેં આપને પહેલા પણ કહ્યું હતું કે હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નથી બેઠો, હું તો ગાંધીનગરમાં એક ચોકીદાર તરીકે બેઠો છું અને જ્યાં સુધી હું ગાંધીનગરમાં બેઠો છું, આપ વિશ્વાસ રાખજો કે આ ગાંધીનગરની તિજોરી પર હું ક્યારેય કોઈનો પંજો નહીં પડવા દઉં, એ હું આપને વિશ્વાસ આપું છું. ગાંધીનગરની તિજોરી ગરીબ માટે છે, ગરીબના ભલા માટે છે. અરે, આજે તમે ગુજરાતના કોઈપણ ખૂણામાં જાવ, 20-25 કિલોમીટર, ક્યાંયને ક્યાંય વિકાસના કામ ચાલતાં હોય છે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક બિલ્ડિંગ બનતું હશે, ક્યાંક ગટર બનતી હશે, ક્યાંક પાઈપલાઈન નંખાતી હશે, ક્યાંક પાણીની વ્યવસ્થા થતી હશે... ચારે તરફ કામ દેખાય છે. અને જ્યારે લોકો આ કામ જુએ છે ને ત્યારે ગામના ઘૈડિયા લોકો ભેગા થઈને વાતો કરે છે કે મારો વ્હાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી? લોકો કરે છે ને ચર્ચા..? મારો વ્હાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી? અરે ભાઈઓ-બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ રૂપિયા તો તમારા જ છે, પણ પહેલાં આ રૂપિયા ચવાઈ જતા હતા, હવે તમારા રૂપિયા ઊગી નીકળે છે, વિકાસ માટે વપરાય છે, અને એના કારણે વિકાસ દેખાય છે. હતું તો બધું જ પણ લૂંટાતું હતું, હવે એ સદુપયોગ માટે વપરાય છે, કારણકે આપે એક ચોકીદારને ગાંધીનગરમાં બેસાડ્યો છે. આ ચોકીદાર તરીકે મારે સેવા કરવી છે. ભાઈઓ-બહેનો, મારે મન કોઈ વહાલું નથી, કોઈ દવલું નથી. છ કરોડ ગુજરાતીઓ, ગમે તે સમાજના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે સંપ્રદાયના હોય, ગામડાંના હોય, શહેરના હોય, ભણેલા હોય, અભણ હોય, ગરીબ હોય, તવંગર હોય, મારે મન છ કરોડ ગુજરાતીઓ મારું કુટુંબ છે, એમનું સુખ એ મારું સુખ છે અને એટલા જ માટે હું આપની પાસે આવ્યો છું, મને ફરી એકવાર પાંચ વર્ષની સેવા કરવાની તક આપો. ગુજરાતને જે નવી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છીએ અને દુનિયા આખામાં ગુજરાતની જે વાહવાહી થઈ રહી છે, એની અંદર મારે આપને જોડવા છે. આવો, આપણે સાથે મળીને દિવ્ય-ભવ્ય ગુજરાતના નિર્માણ માટે આગળ વધીએ. નવા નવા સંકલ્પ કરીએ અને શપથ લઈને આગળ વધીએ. 13 તારીખ અને 17 તારીખ, બે દિવસ છે ગુજરાતમાં ચૂંટણી. આપને તેરમી તારીખે મતદાન કરવાનો અવસર છે, આપ પહેલ કરવાના છો અને આપની પહેલ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જનારી બનશે એવો મને પૂરો વિશ્વાસ છે.

ભાઈઓ-બહેનો, આ ટેક્નોલૉજીથી કોંગ્રેસના લોકોના પેટમાં તેલ રેડાવાનું છે, આ કેવું..? મોદી 26 જગ્યાએ એકસાથે પહોંચી જાય, સેંકડો સભાઓ મોદી કરશે..! કોંગ્રેસના મિત્રો રોજ સવારે ગાળ દે છે, કરોડોનો ખર્ચો, કરોડોનો ખર્ચો...! ભાઈઓ-બહેનો, આ ઓછામાં ઓછે ખર્ચે થનારી આ ટેક્નોલૉજી છે. અને જે લોકો કાર્બન ક્રેડિટ કમાતા હોય છે ને એની દુનિયામાં તો આ મહત્વનું પાસું છે. એની ચર્ચા હું આ સભામાં નથી કરતો, કોઈવાર પંડિતો મળશે તો કરીશ. ભાઈઓ-બહેનો, આ સરળ રસ્તો છે, પણ મારે મારા નાગરિક ભાઈઓ-બહેનોને કહેવાનું છે કે મેં પહેલે દિવસે જ્યારે આનો પ્રયોગ પ્રાયોગિક ધોરણે ચાર શહેરોમાં કર્યો હતો એ દિવસે પણ કહ્યું હતું અને આજે ફરી કહું છું કે મોદીના માસ્ક આવ્યાં એનો અર્થ એ નહીં કે મોદી નહોતા આવ્યા. લાખો માસ્ક હતાં, લાખો નવજુવાનો નરેન્દ્ર મોદી બનીને ફરતા હતા, તેમ છતાંય નરેન્દ્ર મોદીએ ગુજરાતનો ખૂણેખૂણો ખૂંદવાની કોશિશ જારી રાખી હતી. વચ્ચે મેં ‘ગુગલ હેન્ગ આઉટ’ કર્યું હતું, ટેક્નોલૉજી દ્વારા હું દુનિયાના 100 કરતાં વધારે દેશોના લોકોને મળ્યો હતો. પણ મેં મારું કામ અટકાવ્યું ન હતું, એ કાર્યક્રમ કર્યો, તમારી વચ્ચે ફરી આવ્યો. આજે પણ આ ટેક્નોલૉજીથી હું મળી રહ્યો છું એનો અર્થ એ નથી કે હું ચૂંટણીના મેદાનમાં તમારી વચ્ચે નથી આવવાનો. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, આ તો બધી પૂરક વ્યવસ્થાઓ છે. આ ટેક્નોલૉજી, દુનિયાને મારે બતાવવું છે કે મારું ગુજરાત આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી શકે છે. મારે વિશ્વને બતાવવું છે કે અમે ટેક્નોલૉજીમાં આખી દુનિયામાં આગળ છીએ. ભાઈઓ-બહેનો, કદાચ ગુજરાતના છાપાંઓમાં કંઈ આવતું હોય કે ન આવતું હોય, પણ હું આપને કહું છું કે આખી દુનિયાનું કોઈ ટી.વી. એવું નહીં હોય, આખી દુનિયાનું કોઈ છાપું એવું નહીં હોય કે જેણે આ 3-ડી ટેક્નોલૉજી દ્વારા ચુંટણી પ્રચારની વાતની ચર્ચા ન કરી હોય. સમગ્ર વિશ્વની અંદર ગુજરાતના આ ઇનિશ્યેટિવની ચર્ચા છે. અને ગુજરાતી તરીકે આપણી છાતી ગજ ગજ ફુલે છે કે અમે ટેક્નોલૉજીનો આવો સદુપયોગ કરી રહ્યા છીએ. પણ ભાઈઓ-બહેનો, મારી ઉપર આપનો અધિકાર એવોને એવો છે. ચૂંટણી પ્રચારમાં હું આપની વચ્ચે આવવાનો છું, આપને મળવા આવ્યા વિના હું રહી જ ન શકું, મારો ને આપનો નાતો અતૂટ છે, પણ ચૂંટણી માટેની મારી વાત પહોંચાડવા માટે એકસાથે 26 જગ્યાએ પહોંચવાનું આ એક ઉત્તમ માધ્યમ મને મળ્યું છે. થોડા દિવસ પછી ફરી રાઉન્ડ કરવાનો છું. દર બે-ચાર દિવસે, બે-ચાર દિવસે આવા રાઉન્ડ પણ કરવાનો છું, પ્રવાસ પણ કરવાનો છું. એવી જ રીતે દરેક જિલ્લાની અંદર એક 3-ડી વિકાસરથ ફરી રહ્યો છે. એ 3-ડી વિકાસરથ પણ ટેક્નોલૉજીની એક અદભૂત ઘટના છે. મારી આપ સૌને વિનંતી છે કે ગામોગામ સાંજના સમયે જ્યારે 3-ડી ટેક્નોલૉજીવાળો વિકાસરથ આવે એને પણ આપણે જોઇએ. આપણને લાગશે કે વાહ, દુનિયા કેવી બદલાઈ ગઈ છે. નરેન્દ્ર મોદી તમારા ગામ સુધી આંટો મારી રહ્યા હોય એવું તમે જોઈ શકશો. ભાઈઓ-બહેનો, મને ઉમળકો છે તમારા નાના નાના ગામડાંમાં આવવાનો, એના માટે મેં ટેક્નોલૉજીની મદદ લીધી છે. એ 3-ડી વિકાસરથ દ્વારા 1000-1500 ગામોમાં હું આવી રહ્યો છું, અને આ જે કાર્યક્રમ કરી રહ્યો છું એમાં 100-125 ગામોને હું કવર કરી રહ્યો છું. કોંગ્રેસને એના કારણે ફાળ પડી છે કે એક માણસ એકસાથે જો ગુજરાતમાં 2000 ગામમાં ટેક્નોલૉજીથી જો ફરી વળે તો કોંગ્રેસનું થાય શું? એમની મૂંઝવણ આ છે અને એટલા માટે ગપગોળા ચલાવે છે. 500 કરોડ, 1000 કરોડ, લાખ કરોડ... એનાથી નીચું એમને કંઈ ફાવતું જ નથી. કારણકે એટલા મોટા પાયે એમણે દિલ્હીમાં ભેગું કર્યું છે કે એમને એ જ દેખાય છે.

ભાઈઓ-બહેનો, રૂપિયાના જોરે ચાલતો અપપ્રચાર, રૂપિયાના જોરે ચાલતા જૂઠાણા, પ્રજા-માનસને ગુમરાહ કરવાની ચાલતી પ્રવૃત્તિઓની સામે નવજુવાન, માતાઓ -બહેનો, આવો એક શક્તિ બનીને ઊભા રહીએ અને ગુજરાતના સપનાને તોડવા માટેની કોશિશ કરનાર કોઈને આગળ આવવા ન દઈએ. એક તાકાત બનીને ઊભા રહીએ..! આવો ભાઈઓ-બહેનો, ગામડું સમૃદ્ધ થાય, ગરીબ સુખી થાય, મધ્યમ વર્ગનો માનવી સુખચેનની જિંદગી જીવે એ સપનાં સાકાર કરવા માટેની મારી મથામણમાં આપ મને સહયોગ આપો. વધુમાં વધુ મતદાન કરીએ. મતદાન કરીને, સકારાત્મક મતદાન કરીને, દુનિયા આખીને બતાવી દઈએ કે વિકાસથી દુનિયા બદલાવાની છે અને ગુજરાતે વિકાસનો રસ્તો અપનાવ્યો છે, આ વાત દુનિયાને બતાવીએ. એક નવી શક્તિ સાથે આવીએ. અને ભાઈઓ-બહેનો, મને વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડવાની છે, જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા થવાની છે કારણ મને આપનો પ્રેમ મળ્યો છે. અને ભાઈઓ-બહેનો, જ્યારે પ્રજાનો પ્રેમ મળતો હોય ને ત્યારે કામ કરવાનો ઉમંગ પણ ઓર હોય છે. આપના પ્રેમના કારણે સતત દોડતો રહું છું, દોડતો રહીશ. અને આટલું બધું કામ કર્યું છે ને તોય હું તો કહેતો હોઉં છું, આ ગુજરાતમાં તમને જે વિકાસથી આનંદ થાય છે, સંતોષ થાય છે એ તો મેં 50 વર્ષના ખાડા પૂર્યા છે, ખાડા... હજુ એક્ચ્યુઅલી મારા સપનાનું ગુજરાત બનાવવાની શરૂઆત તો હવે થશે, આ મારી તાકાત તો ખાડા પૂરવામાં ગઈ. ઘણીવાર હું કહું ને કે ખાડા પૂરવામાં ગઈ, તો લોકો કહે કે એમાં શું કર્યું, ભાઈ..? તો હું તમને ઉદાહરણ આપું. આ કોંગ્રેસની સરકારે શાળાના ઓરડા બનાવ્યા હતા, પણ એમાં દીકરીઓ માટે સંડાસ-બાથરૂમની વ્યવસ્થા નહોતી, બોલો..! કેમ ભાઈ? દીકરીઓ ભણવા આવે તો એમને સંડાસ-બાથરૂમ જોઈએ કે ના જોઈએ? પણ એમને ના સૂઝ્યું. આ એમનો 50 વર્ષનો ખાડો, મારે 60,000 જેટલાં સંડાસ-બાથરૂમ શાળાઓમાં બનાવવાં પડ્યાં. જો એ કામ કરીને ગયા હોત તો મારે કામ આગળ કર્યું હોય કે નહીં? આવી તો હું તમને એક લાખ ચીજો બતાવી શકું કે જેમાં એમનાં અધૂરાં કરેલાં કામો, અધૂરાં છોડેલાં કામો, ગેરસમજણવાળાં કરેલાં કામો, એને સુધારવામાં મારો ટાઈમ ગયો છે, ખાડા પૂરવામાં મારો ટાઈમ ગયો છે. હવે ભાઈઓ-બહેનો, અને ખાડા એવા હતા ને કે બીજો કાચો-પોચો હોતને તો સો વર્ષેય પૂરાત નહીં, આ તો ઈશ્વરે મને કંઈ દમ-ખમ આપ્યો છે અને તમારો પ્રેમ છે કે આ 10-11 વર્ષમાં ખાડા પૂરા કરી શક્યો. હજુય થોડા ઘણા ખાડા છે ને એ તમે તેરમી તારીખે પૂરી નાખજો, મતદાન કરીને બધું સફાચટ કરી નાખજો, તો જ આ બધું પતવાનું છે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસમાં કોઈ નેતા છે જેના પર તમે ભરોસો મૂકી શકો? કોઈ નેતા છે જેની વાતમાં તમે વિશ્વાસ મૂકી શકો? આપ મને કહો. ભાઈઓ-બહેનો, હું આપની પાસે છું, તમે ગમે ત્યારે મારો જવાબ માંગી શકો છો, મારો હિસાબ માંગી શકો છો, આપ મને પૂછી શકો છો નરેન્દ્રભાઈ, આનું કેમ ન થયું? કોંગ્રેસ પાસે તો કોની પાસે જવું એ પ્રશ્ન છે. એટલા જ માટે કહું છું ભાઈઓ-બહેનો, ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ નીતિ છે, ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતના ભવ્ય સપનાં છે, દિવ્ય સપનાં છે, એને સાકાર કરવાં છે અને સાકાર કરવા માટે મને આપનો સાથ-સહકાર જોઈએ છીએ.

ભાઈઓ-બહેનો, આજે મોકળા મને મન મૂકીને તમારી જોડે વાતો કરી છે, વિકાસના મંત્રને લઈને કરી છે. આવો, નવજુવાન મિત્રો, મને તમારી ઉપર ખૂબ ભરોસો છે. ગુજરાતની આવતીકાલ એ તમારી આવતીકાલ સાથે અતૂટ રીતે જોડાએલી છે. તમારી આવતી કાલ અને ગુજરાતની આવતી કાલને જુદા ન કરી શકાય. તમારી આવતીકાલની ચિંતા કરવી હશે તો ગુજરાતની આવતીકાલની ચિંતા કરવા માટે આપે સક્રિય થવું પડશે. આપે આ ચૂંટણીનો સંપૂર્ણ બોજ તમારા ખભા ઉપર ઉઠાવવો પડશે, નવજુવાનો. નિકળી પડો, કમળના નિશાન પર બટન દબાવવા માટે એક એક વ્યક્તિને શિક્ષિત કરો, પ્રેરિત કરો અને સમગ્ર દેશમાં વિકાસનો વાવટો ફરકે એવું વાતાવરણ બનાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર વિકાસની વાતને આગળ વધારીએ. હું અહીંયાં બેઠો હતો ત્યારે મને સામેથી બધા લોકો ‘વી’ બતાવતા હતા. દુનિયાની નજરોમાં ‘વી ફોર વિક્ટરી’ છે, મારી નજરોમાં ‘વી ફોર વિકાસ’ પણ છે. અને તેથી આપણે ‘વી ફોર વિકાસ’ પણ કહીએ છીએ, ‘વી ફોર વિક્ટરી’ પણ કહીએ છીએ. આપણે બધા ‘વી ફોર વિકાસ’ પણ કહીએ, ‘વી ફોર વિકટરી’ કહીએ અને વિકાસ અને વિક્ટરીની વાત લઈને આગળ ધપીએ એ જ અપેક્ષા સાથે છવ્વીસે છવ્વીસ સ્થાન પર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભાઈઓ-બહેનો, એક અદભૂત ટેક્નોલૉજીનો લ્હાવો મને મળ્યો છે. આપની સાથે વાત કરવાનો મને અવસર મળ્યો છે, દુનિયા અચંબામાં પડે એવી આ ઘટના છે. વિશ્વમાં પહેલી વાર બનેલી ઘટના છે અને આપ એના સાક્ષી છો. આપ આપનાં સંતાનોને ભવિષ્યમાં કહી શકશો કે આપ કઈ સભામાં બેઠા હતા. આ ઐતિહાસિક ઘટના છે, આ સામાન્ય સભા નથી, ભાઈઓ અને મારે મન ગૌરવની બાબત છે કે આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરનારું ગુજરાત દુનિયાનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે. દુનિયાની અંદર અભૂતપૂર્વ ઘટના બની છે, એમાં આપણે બધા સાક્ષી બન્યા છીએ.

ભાઈઓ-બહેનો, આપણે બધા આગળ વધીએ ત્યારે એક વાત મારે કરવી છે. જ્યારે અંગ્રેજો હિંદુસ્તાનને લૂંટતા હતા ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોને લલકાર કર્યો હતો અને એણે પોતાના હૃદયના ઊંડાણથી એક અવાજ કર્યો હતો કે ‘મેરી ઝાંસી નહીં દૂંગી...’ કારણ લક્ષ્મીબાઈને હતું કે જો અંગ્રેજોના હાથમાં ઝાંસી ગયું તો ઝાંસી બરબાદ થઈ જશે. ભાઈઓ-બહેનો, પ્રત્યેક ગુજરાતીઓના હૃદયમાંથી અવાજ ઊઠે, એક ચિત્કાર નીકળે કે “નહીં દેંગે, નહીં દેંગે, હમારા ગુજરાત નહીં દેંગે...”, “બેઈમાનોં કો નહીં દેંગે, નહીં દેંગે, હમારા ગુજરાત નહીં દેંગે...”, “ભ્રષ્ટાચારીઓં કો નહીં દેંગે, નહીં દેંગે, હમારા ગુજરાત નહીં દેગે...” એક એક ગુજરાતીનો અવાજ ઊઠવો જોઇએ. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ વાત લઈને નીકળ્યા છીએ ત્યારે આખા ગુજરાતનો એક જ મત છે, ‘એકમત ગુજરાત, બને ભાજપ સરકાર’. સંપૂર્ણ ગુજરાત એક સ્વરે બોલી રહ્યું છે, એકમત થઈને કહી રહ્યું છે, એક સ્વરથી બોલી રહ્યું છે, ‘એકમત ગુજરાત, બને ભાજપ સરકાર’. ફરી ભાજપ સરકાર, બાર બાર ભાજપ સરકાર. આ મંત્ર લઈને આગળ વધીએ.

ભાઈઓ-બહેનો, હું જોઈ રહ્યો છું, તાલીઓના ગડગડાટ આપના સાંભળી રહ્યો છું, આપનો ઉમંગ-ઉત્સાહ જોઈ રહ્યો છું. ખૂબ આનંદથી આપે મને આ ટેક્નોલૉજીના માધ્યમથી વધાવ્યો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને રૂબરૂ જ્યારે આવીશ ત્યારે પણ નિરાંતે ઘણી બધી વાતો કરીશું.

જય જય ગરવી ગુજરાત..! જય જય ગરવી ગુજરાત..!

નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે...!!

Explore More
Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya

Popular Speeches

Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya
The Great Pivot: How India Is Balancing The New Multipolar World

Media Coverage

The Great Pivot: How India Is Balancing The New Multipolar World
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today's projects will boost energy access, connectivity and create jobs for the youth of Tamil Nadu: PM Modi in Tiruchirappalli
March 11, 2026
These infrastructure projects will boost energy access, improve connectivity and create thousands of jobs for the youth of Tamil Nadu: PM
Today Indian Oil Corporation’s Lube Blending Plant in Chennai is being dedicated to the nation ,this is one of the world’s largest facilities of its kind: PM
We are inaugurating rural roads today that span three hundred and seventy kilometres, Overall each road lifts the rural economy and increases Ease of Living: PM
Several new train services are being flagged off ,these will increase tourism, boost the local economy and create many jobs for the youth: PM
Our goal is to create a developed Tamil Nadu for a Developed India: PM

Shri Piyush Goyal ji, Dr. L. Murugan ji , Shri Edappadi K. Palaniswami, Shri Nainar Nagendran, Sri Thangam Tennarasu, My Tamil brothers and sisters, Vanakkam!

Friends,

It gives me great pleasure to be here in this wonderful city of Tiruchi.

Today’s programme is an important one for the future of Tamil Nadu. It is related to projects worth five thousand six hundred crore rupees. These projects are about: Infrastructure for clean energy, Petroleum-related manufacturing, Highways, railways and rural roads. They will boost energy access, connectivity and create thousands of jobs for the youth of Tamil Nadu.

Friends,

I am happy that the foundation stone of Bharat Petroleum’s City Gas Distribution network is being laid. An investment of about three thousand seven hundred crore rupees is being made. This network covers Nilgiris and Erode districts of Tamil Nadu. It will provide Piped Natural Gas to nearly nine lakh families and hundreds of commercial organisations. Piped gas will flow directly to homes, boosting ease of living. Thousands of jobs will be created directly and indirectly. Natural gas is an environment-friendly fuel that plays an important role in reducing air pollution. I am told that the positive environmental impact of this project over just eight years will be similar to the planting of four crore trees!

Friends,

Today, Indian Oil Corporation’s Lube Blending Plant in Chennai is being dedicated to the nation. You would be proud to know that this is one of the world’s largest facilities of its kind. This plant fulfills the demand of many important industries both in Tamil Nadu and outside. The increase in local production of lubricants also reduces imports and saves money for the nation.

Friends,

Today, we are inaugurating rural roads that span three hundred and seventy kilometres. This work has been done under the Pradhan Mantri Gram Sadak Yojana. Each of these roads is not just a piece of physical infrastructure. Patients can access better healthcare. Students can travel to schools and colleges comfortably. Farmers can travel to different places to sell produce or to buy inputs. Overall, each road lifts the rural economy and increases Ease of Living.

Friends,

Last year, I was happy to be at Gangaikonda Cholapuram for the Aadi Thiruvathirai festival. We celebrated a thousand years of the beginning of the construction of the grand temple by Emperor Rajendra Chola. It is a UNESCO recognised site that attracts tourists from across the world. Today, we are laying the foundation stone of an important highway project there. The existing highway passes very close to the temple, causing safety concerns to the pilgrims and tourists. With the construction of a new bypass, other vehicles will now be diverted away from the temple. This means better safety for everyone.

Friends,

Just last week, from Madurai, we inaugurated eight modernised and redeveloped stations under the Amrit Bharat programme. Today, several new train services are being flagged off. They connect places like Nagercoil, Coimbatore, Rameswaram, Tirunelveli, Mayiladuthurai, Karaikkudi with other regions. These new train services will increase tourism , boost the local economy and create many jobs for the youth. Our goal is to create a developed Tamil Nadu for a developed India. The Central government is fully committed to the welfare of the people of Tamil Nadu. We are working day and night for the state’s progress and we will continue to do so.

Nandri