મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને આજે મળેલા માલધારી-રબારી સમાજના સંતો-મહંતો અને આગેવાનોના પ્રતિનિધિમંડળે સમાજના સાંપ્રત પ્રશ્નોની રજૂઆતો કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ માલધારી સમાજના વર્ષો જૂના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સમસ્‍યાના મૂળમાં જઇને હિંમતપૂર્વક નિર્ણયો લેવાની વર્તમાન સરકારની પ્રતિબધ્‍ધતા અને સકારાત્‍મક અભિગમ અંગે વિગતવાર ભૂમિકા આપી હતી.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ લોકશાહીમાં પ્રશ્નો રજૂ કરવાનો અધિકાર દરેક સમાજને છે પણ રાજકારણના કાવાદાવાથી સરવાળે તો સમાજનું જ અહિત થશે એમ જણાવી રાજ્‍યના વિકાસમાં બધા જ સમાજવર્ગોની સાથે વિકાસમાં ભાગીદાર બનવા અને શિક્ષણ દ્વારા પ્રગતિની દિશા લેવાનું માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

માલધારી સમાજના આગેવાનો એ ગૌચરની જમીન, ગૌરક્ષા, ઘરખેડના કાયદા, વીડીઓ અને વાડાની જમીન વગેરે પ્રશ્નો અંગે કરેલી રજૂઆતના સંદર્ભમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે રાજ્‍ય સરકારનો અભિગમ જ વિકાસલક્ષી રહ્યો છે અને પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા તેના મૂળમાં જઇને હિંમતપૂર્વક નિર્ણયો લેનારી આ જ સરકાર છે.

ગૌવંશ રક્ષા માટે સર્વોચ્‍ચ ન્‍યાયપાલિકા પાસેથી ન્‍યાય મેળવીને આ જ સરકારે કાયદો કર્યો છે પરંતુ, ભારત સરકારે હજુ સુધી આવો કાયદો કરવા વિચારણા પણ હાથ નથી ધરી. ઉલટુ, માંસ-મટનની નિકાસ માટે પ્રોત્‍સાહન આપી રહી છે. રાજકીય વિવાદમાં દોરાઇ જવાથી સમાજનું ભલુ થવાનું નથી એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતમાં પશુપાલકો અને માલધારીઓના પશુઓની રક્ષા માટેનું સૌથી મોટું જીવદયાનું કામ ર૭૦૦ જેટલા પશુ આરોગ્‍ય મેળાઓ યોજીને અને લાખો પશુઓનું રસીકરણ કર્યું છે અને ૧૧ર જેટલા પશુરોગો કાયમી ધોરણે નેસ્‍તનાબૂદ પણ આ સરકારે કર્યાં છે. આના પરિણામે જ ગુજરાતમાં દૂધ ઉત્‍પાદનમાં દશ વર્ષમાં ૬૦ ટકાનો વધારો થયો છે.

ગોચરની જમીન માટે અને તેના દબાણો દૂર કરવા સર્વોચ્‍ચ અદાલતે જ ફેસલો આપેલો છે, તે અંગે આ સરકારે જ હિંમતપૂર્વક તેનો અમલ કરી ૮૦ ટકા દબાણો પણ દૂર કર્યા છે. ગુજરાતમાં ઉદ્યોગોની સ્‍થાપના કરનારે ગૌચરની જમીનના બદલામાં વળતરરૂપે ગૌચરની જમીન ખરીદીને પણ આપવી પડે તેવો નિયમ કરેલો છે. એટલું જ નહીં, ગુજરાતમાં ઉદ્યોગો મહદ્‌અંશે જ્‍યાં ઘાસનું તણખલું પણ ઉગતુ ના હોય એવી બિનઉપજાઉ જમીનમાં સ્‍થપાય છે. ઉદ્યોગોની સાથોસાથ ખેતી માટે વાવેતર વિસ્‍તાર વધ્‍યો હોય એવું એકમાત્ર અપવાદરૂપ રાજ્‍ય પણ ગુજરાત જ છે જે આ સરકારની મહેસૂલના કાયદાઓમાં હિંમતપૂર્વક સુધારા કરીને એકેએક ઇંચ જમીનની માપણી કરવાની પ્રતિબધ્‍ધતામાં વ્‍યકત થાય છે એમ પણ તેમણે જણાવ્‍યું હતું.

પશુધન માટે માલધારી સમાજ જેટલી જ ચિન્‍તા આ સરકારની રહી છે એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ માલધારી પશુપાલકોને વૈજ્ઞાનિક પશુસંવર્ધન અપનાવવા અને જે વર્ષોજૂની સમસ્‍યાઓ છે તેની વહીવટી ગૂંચ ઉકેલવામાં રાજ્‍ય સરકારના પ્રયાસોને સમજવા માર્ગદર્શન આપ્‍યું હતું.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રબારી સમાજની નવી પેઢીને શિક્ષિત બનાવવાની નેમ વ્‍યકત કરતા માર્મિક શબ્‍દોમાં એમ પણ જણાવ્‍યુ઼ હતું કે માલધારીઓની લાકડી છોડાવીને તેમના સંતાનોને કલમ (શિક્ષણ) હાથમાં આપવી છે! શિક્ષણ જ વિકાસનો ઉત્તમ પર્યાય છે એમ તેમણે જણાવ્‍યું હતું.

નર્મદાના પાણીની સુવિધા અને દુષ્‍કાળ જેવી કુદરતી આપત્તિથી મૂકત રહેલા ગુજરાતમાં સૌનો સાથ સૌના વિકાસમાં માલધારી સમાજ પણ જોડાય એવી અપીલ તેમણે કરી હતી.

આ પ્રતિનિધિમંડળમાં રબારી સમાજના મહંત વડવાળા મંદિરના શ્રી કનીરામ બાપુ, આગેવાન શ્રી તેજાભાઇ દેસાઇ, શ્રી રણછોડભાઇ રબારી, ધારાસભ્‍યશ્રી બાબુભાઇ દેસાઇએ રાજકારણથી પર રહીને મુખ્‍યમંત્રીશ્રીની સમાજના પ્રશ્નો ઉકેલવા માટેની તત્‍પરતા અને વિધેયાત્‍મક અભિગમને આવકારી સંતોષની લાગણી વ્‍યકત કરી હતી અને ખૂબજ સાનુકુળ વાતાવરણમાં પ્રશ્નો સાંભળવા માટે સમય ફાળવ્‍યો તે માટે આભારની લાગણી વ્‍યકત કરી હતી.

Explore More
ਸ੍ਰੀ ਰਾਮ ਜਨਮ-ਭੂਮੀ ਮੰਦਿਰ ਧਵਜਾਰੋਹਣ ਉਤਸਵ ਦੌਰਾਨ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਦੇ ਭਾਸ਼ਣ ਦਾ ਪੰਜਾਬੀ ਅਨੁਵਾਦ

Popular Speeches

ਸ੍ਰੀ ਰਾਮ ਜਨਮ-ਭੂਮੀ ਮੰਦਿਰ ਧਵਜਾਰੋਹਣ ਉਤਸਵ ਦੌਰਾਨ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਦੇ ਭਾਸ਼ਣ ਦਾ ਪੰਜਾਬੀ ਅਨੁਵਾਦ
'Watershed Moment': PM Modi Praises BJP Workers After Thiruvananthapuram Civic Poll Victory

Media Coverage

'Watershed Moment': PM Modi Praises BJP Workers After Thiruvananthapuram Civic Poll Victory
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ਸੋਸ਼ਲ ਮੀਡੀਆ ਕੌਰਨਰ 13 ਦਸੰਬਰ 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security