મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની સર્વપ્રથમ એવી એનીમલ હોસ્ટેલનું આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં હિંમતનગર નજીક અકોદરામાં લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પશુઉછેર માટે હિન્દુસ્તાનને ગુજરાતે આ એનિમલ હોસ્ટેલનું નવલું નજરાણું કૃષિ મહોત્સવના પ્રારંભે ભેટ ધર્યું છે.
અકોદરાએ જનભાગીદારીથી સહકારિતાના ધોરણે ગામના બધા જ 964 પશુઓની સારસંભાળ અને પશુપાલન માટેનું આ દેશનું સર્વપ્રથમ પશુ છાત્રાલય કાર્યાન્વિત કર્યું છે. અકોદરાના ર1પ જેટલા પશુપાલક પરિવારોએ દૂધાળા પશુઓ સહિત ગામના માલિકીના બધા જ પશુધન માટે અદ્યતન સુવિધાઓ સાથેના આ પશુછાત્રાલયનું નિર્માણ લોકસહભાગીતાના વ્યવસ્થાપનથી કર્યું છે. એનીમલ હોસ્ટેલમાં પશુઓ માટે 36 જેટલા કેટલશેડ બનેલા છે તેમના માટે ઘાસચારાનું પ0 હેકટરમાં વાવેતર કરીને પોષણક્ષમ ઘાસચારાની સુવિધા ઉભી કરી છે એટલું જ નહીં ગ્રામ્ય નારીશકિતએ પશુઓના છાણમાંથી વર્મીકંપોસ્ટ ખાતરનું યુનિટ-‘ગ્રામલક્ષ્મી ' સખીમંડળની બહેનોના સફળ સંચાલન સાથે કાર્યરત કર્યું છે. ગામની ઊર્જા-ગેસ વીજળીની જરૂરીયાતો માટે ગોબરગેસ પ્લાન્ટ શરૂ કર્યો છે અને પશુઓની સારવાર માટેના અદ્યતન દવાખાનાની સુવિધા શરૂ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આજે કૃષિમહોત્સવ-ર011નો પ્રારંભ કરાવતા પૂર્વે પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી ઇતિહાસ રચનારી આ અકોદરા એનિમલ હોસ્ટેલનું લોકાર્પણ કરીને પશુઉછેરની બધી જ વૈજ્ઞાનિક પધ્ધતિઓ અને તેના લાભોની જાણકારી પશુ છાત્રાલયના વિવિધ વિભાગોમાં ફરીને મેળવી હતી.
એનિમલ હોસ્ટેલના કારણે અકોદરા ગામમાં આરોગ્યલક્ષી પર્યાવરણનું સ્વસ્થ વાતાવરણ જન્મ્યું છે. દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે અને વર્મીકંપોસ્ટ ખાતર તથા ગોબર ગેસ ઊર્જાના વૈકિલ્પિકસ્ત્રોતોના ઉપયોગનો લાભ સમગ્ર ગ્રામ પરિવારોને મળતો થઇ ગયો છે. સખીમંડળની બહેનોને આર્થિક પ્રવૃત્તિના લાભો અને રોજગારી મળતી થઇ છે અને સૌથી મોટો ફાયદો તો પશુપાલકોના પરિવારની ગૃહિણી-માતૃશકિતને થયો છે કારણ કે, પશુઓની રોજિંદી સારસંભાળની આખા દિવસની સતત ચિન્તા અને તનાવમાંથી તેમને મૂકિત મળી ગઇ છે. અબોલ પશુધનની સારસંભાળ એનીમલ હોસ્ટેલમાં એકસમાન ધોરણે વ્યવસ્થાપનથી લેવાતા પશુસંપદાની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદનમાં વૃધ્ધિ જોવા મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ એનીમલ હોસ્ટેલના સંચાલન અને સખીમંડળની બહેનો સાથે સંવાદમાં પશુ છાત્રાલય અંગેના ફાયદાથી નારીસમાજ જે રીતે પ્રભાવિત થયો છે તેની પણ જાણકારી મેળવી હતી.
અકોદરાના ગ્રામજનોની આ પ્રગતિશીલતાની પહેલ અંગે પ્રસંશા કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં પરંતુ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે દેશને નવો રાહ બતાવ્યો છે. ગુજરાતના ગામે-ગામ પશુછાત્રાલય લોકસહભાગીતાના વ્યવસ્થાપનથી શરૂ કરવાનું અને વૈજ્ઞાનિક પધ્ધતિએ પશુઉછેરની ક્રાંતિ સર્જવાનું બીડું ગુજરાત સરકારે ગ્રામસમાજના ભરોસા ઉપર ઝડપ્યું છે એમ તેમણે જણાવ્યું હતું અને અકોદરાના સમસ્ત ગ્રામજનો તથા પશુપાલક પરિવારોની નારીશકિતને એનિમલ હોસ્ટેલના સફળ સંચાલન માટે અભિનંદન આપ્યા હતા.


