PM Modi's Interview to Akila News

Published By : Admin | May 5, 2024 | 12:18 IST

મતદાનની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અકિલાના એક્ઝિક્યુટિવ એડિટર નિમિષ ગણાત્રા સાથે લંબાણભરી વાતચીતના અંશો : નોટોના બંડલો જપ્ત થયા પછી તેમજ વોશિંગ મશીન, ગાદલા, પાઈપ, લોકર વગેરે જેવી જગ્યાઓએથી નોટોના બંડલો મળી આવ્યા પછી, શું તમને હજુ પણ એમ જ લાગે છે કે ઇડી અને સીબીઆઇ તેમનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા? - વડાપ્રધાનશ્રી : ૧૦ વર્ષોમાં અમે દેશને સંકટ, નિરાશા અને નીતિવિષયક લકવાની પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો અને એવા દેશમાં પરાવર્તિત કર્યો છે, જ્યાં વિકાસ અને સમૃદ્ધિ વધે છે, અને જ્યાં હવે લોકોમાં ભારતના ભવિષ્યને લઇને નવી આશાઓ પ્રગટી છે - નરેન્દ્રભાઈ : દક્ષિણના રાજ્યો અને પશ્ચિમ બંગાળના આંકડાઓ અમારો આત્મવિશ્વાસ જ વધારે છે. ઉદાહરણ તરીકે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી, જેમાં બીજેપી દક્ષિણમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. ૧૦ વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં બીજેપીની ઉપસ્થિતિ એકદમ નહિવત્ હતી. આજે, અમે ત્યાં મુખ્ય વિરોધપક્ષ છીએ - મોદીજી

એક બાજુ તો કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીના હકની અનામત છીનવીને તેમની વોટબેંકને આપવાનો પ્રયાસ કરી રહી છે, અને બીજી બાજુ તેઓ વોટ જેહાદના નારા લગાવી રહ્યા છે. આ દર્શાવે છે કે તેમના ઇરાદાઓ કેટલા ખતરનાક છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે, આ જે શબ્દો છે, ‘વોટ જેહાદ’, તે એક શિક્ષિત વ્યક્તિ તરફથી આવ્યો છે, કોઈ અભણ વ્યક્તિ કે કટ્ટરપંથી ઇસ્લામવાદી તરફથી નથી આવ્યો - નરેન્દ્રભાઈ

રાજકોટ તા. ૪: ૨૦૨૪ લોકસભાની ઐતિહાસિક ચૂંટણીના મતદાનની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ અકિલાના એક્ઝિક્યુટિવ એડિટર અને વેબ એડિશનના તંત્રી શ્રી નિમિશ કે. ગણાત્રા સાથેની લંબાણ ભરી વાતચીતમાં વિસ્તૃત છણાવટો સાથે અનેકવિધ વિષયો ઉપર ખૂલ્લા મને ચર્ચા કરી હતી, જે અત્રે અકિલાના હજારો વાંચકો માટે પ્રસ્તુત છે. પોતાના અત્યંત વ્યસ્ત સમયમાંથી કિંમતી સમય ફાળવી અકિલા સાથેની આ મુલાકાત માટે અમે વડાપ્રધાન શ્રીના ખુબ ખુબ૯ આભારી છીએ વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છે..

અકિલા : આ ૧૦ વર્ષ કોંગ્રેસે પાડેલો ખાડો ભરવામાં વીતી ગયા. હવે ‘મોદી ૩.૦’ માં અમે મોદીજીના સ્વપ્નનું ભારત જોઇ શકીશું ?

નરેન્દ્રભાઈ : હું તમારા સવાલમાં સુધારો કરવા માંગીશ, કે અમે મારા સ્વપ્નના ભારતનું નિર્માણ નથી કરી રહ્યા પરંતુ અમે ૧૪૦ કરોડ ભારતીયોના સપનાના ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ.

હા, તમારી વાત સાચી છે કે આ ૧૦ વર્ષ કોંગ્રેસે પાડેલો ખાડો ભરવામાં વીત્યા છે. અમને વારસામાં કોંગ્રેસની સરકારે જે પરિસ્થિતિ આપી હતી, સંઘર્ષ કરતી અર્થવ્યવસ્થા, વ્યાપક ભ્રષ્ટાચાર અને સરકારમાં અવિશ્વાસ તેમજ અટકી પડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ. અમે છેલ્લા એક દાયકામાં દેશની ખરાબ પરિસ્થિતિઓ, જેનું ખૂબ જ નબળી રીતે સંચાલન કરવામાં આવ્યું હતું, તેને સુધારવાનું મુશ્કેલ કાર્ય હાથ ધર્યું છે. આ ૧૦ વર્ષોમાં અમે દેશને સંકટ, નિરાશા અને નીતિવિષયક લકવાની પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો અને એવા દેશમાં પરાવર્તિત કર્યો છે, જ્યાં વિકાસ અને સમૃદ્ધિ વધે છે, અને જ્યાં હવે લોકોમાં ભારતના ભવિષ્યને લઇને નવી આશાઓ પ્રગટી છે.

ગત દસ વર્ષોમાં, અમે અમારી નીતિઓમાં મુખ્યત્વે પાછલા દાયકાઓમાં દેશને થયેલા નુકસાનને ભરપાઈ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને તેના પરિણામો હવે વિશ્વ સમક્ષ છે. તે સમયે આપણે વિશ્વની ‘ફ્રેજાઇલ ૫’ (નબળી પાંચ) અર્થવ્યવસ્થાઓમાંના એક હતા. આજે આપણે વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સામેલ છીએ. વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓમાં આપણે સૌથી ઝડપથી આગળ વધી રહ્યા છીએ. અમે પારદર્શક અને ભ્રષ્ટાચાર-મુક્ત શાસનના નવા યુગની શરૂઆત કરી છે, જેની પહેલા ક્યારેય કોઈએ કલ્પના પણ નહોતી કરી. અમે ટેક્નોલોજીનો એવી રીતે ઉપયોગ કર્યો છે, જેવો વિકસિત દેશોએ પણ નથી કર્યો અને આજે ડિજિટલ ઇન્ડિયા સમગ્ર વિશ્વ માટે ઇર્ષ્યાનું કારણ બન્યું છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવિઝ)થી માંડીને સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સુધી, ભારત દરેક ઉભરતા ક્ષેત્રોના વિકાસ માટે થતી ચર્ચાઓમાં પ્રભુત્વ ધરાવે છે. વિશ્વ આજના ભારતને નવી અને આકર્ષક તકોથી ભરપૂર રાષ્ટ્ર તરીકે જુએ છે.

હવે જ્યારે જનતાની આવશ્યકતાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે, ત્યારે આગામી પાંચ વર્ષમાં જનતાની આકાંક્ષાઓ પણ પરિપૂર્ણ થશે.

પાછલા દાયકામાં કરવામાં આવેલા કાર્યો પર નજર નાંખીએ, તો હું કહી શકું છું કે અમે અગાઉની સરકાર તરફથી વારસામાં મળેલા મોટા ભાગના પડકારોનો અસરકારક રીતે સામનો કર્યો છે અને ભવિષ્ય માટે એક મજબૂત પાયાનું નિર્માણ કર્યું છે. આજે જ્યારે આપણે આગામી ૨૫ વર્ષોમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાની જે યાત્રા આરંભી છે, તેમાં આ જ નક્કર પાયો છે, જે આપણને મદદરૂપ થશે.

અકિલા : અમૃતકાળના ‘વિકસિત ભારત @૨૦૪૭’ વિઝન માટે ટોચની પ્રાથમિકતાઓ કઈ છે ? બીજેપી અને તમે એવું સ્લોગન આપ્યું છે કે ‘અબકી બાર, ૪૦૦ પાર’, પરંતુ દક્ષિણના રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં કેવી પરિસ્થિતિ હશે ?

નરેન્દ્રભાઈ : ‘વિકસિત ભારત @૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવા માટે, અમે ‘જીવાયએએનએમ’ ના કલ્યાણ અને સુખાકારીને પ્રાથમિકતા આપી રહ્યા છીએ, જેનો અર્થ છે, ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિ અને મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગ. જ્યારે આ લોકો સશક્ત થશે, ત્યારે ભારત સમાન અને સર્વસમાવેશક વૃદ્ધિ સુનિશ્ચિત કરીને વધુ ઝડપી દરે વિકાસ કરશે.

અમારું લક્ષ્ય ભારતને પ્રચુર તકોની એ સ્થિતિમાં લઇ જવાનું છે, જ્યાં રાષ્ટ્ર કોઈપણ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે.

બાકી ‘અબકી બાર, ૪૦૦ પાર’ એ તો લોકો દ્વારા આપવામાં આવેલું સ્લોગન છે. ભારતના લોકોએ ૧૦ વર્ષો સુધી અમારા કામને પારખ્યું છે, અને તેમણે જોયું છે કે મોદીની ગેરંટી કામ કરે છે. તેમણે જોયું છે કે ૨૦૧૪માં ભારત ક્યાં હતું, અને આજે ૨૦૨૪માં મોદીએ ભારતને શેમાં પરાવર્તિત કર્યું છે. તેઓ જાણે છે કે, મોદી જે વચનો આપે છે, તેને પૂરાં કરે છે. બીજા પક્ષોની જેમ, અમે સંકલ્પપત્રો ફક્ત જાહેર જ નથી કરતા, પરંતુ તેમને પૂરા પણ કરીએ છીએ. જે રાજ્યોમાં અમે જીત્યા નથી, ત્યાંના લોકોના કલ્યાણ અને વિકાસ માટે પણ અમે કામ કરવાનું ચાલુ રાખ્યું છે અને હંમેશાં કરતા રહીશું. અને જે રાજ્યોમાં બીજેપીની સરકાર છે, તે રાજ્યોની વિકાસયાત્રા તો તમારી નજરોની સામે જ છે.

બીજી બાજુ, દક્ષિણના રાજ્યો અને પશ્ચિમ બંગાળના આંકડાઓ અમારો આત્મવિશ્વાસ જ વધારે છે. ઉદાહરણ તરીકે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી, જેમાં બીજેપી દક્ષિણમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. ૧૦ વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં બીજેપીની ઉપસ્થિતિ એકદમ નહિવત્ હતી. આજે, અમે ત્યાં મુખ્ય વિરોધપક્ષ છીએ, જેણે ૨૦૧૯ની ચૂંટણીમાં ૪૨માંથી ૧૮ બેઠકો જીતી હતી. અને આ વખતે આ સંખ્યામાં પણ ચોક્કસપણે વધારો થશે. એ જ રીતે, તમે જુઓ કે પાંચ વર્ષ પહેલા તમિલનાડુમાં કેટલો ઓછો વોટશેર હતો અને હવે અમે એ રાજ્યમાં કેટલી ઝડપથી અમારી સ્થિતિને મજબૂત કરી રહ્યા છીએ!

દક્ષિણમાં, વંશવાદી, ભ્રષ્ટ અને પ્રભાવશાળી રાજકીય પક્ષોના એન્ટિ-લોકલ સ્વભાવ પ્રત્યે અસંતોષ વધી રહ્યો છે. પરંપરાગત ઉત્તર-દક્ષિણ વિભાજન અને વિભાજનકારી ભાષણબાજીના કારણે તેઓ તેમની પકડ ગુમાવી રહ્યા છે. ત્યાંના લોકો હવે વાસ્તવિક પરિવર્તન અને વિકાસ ઝંખે છે. આ ઉપરાંત, જ્યારે પણ મેં દક્ષિણ ભારતની મુલાકાત લીધી છે, ત્યારે ત્યાંના લોકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે, તે એ વાતનો પુરાવો છે કે ત્યાંના લોકો અમે સત્તામાં આવીએ એમ ઇચ્છે છે, કારણકે અમે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નું વચન લઈને આવ્યા છીએ.

એ જ રીતે પશ્ચિમ બંગાળના લોકો ટીએમસીના ભ્રષ્ટાચાર, નબળા શાસન અને તુષ્ટિકરણની રાજનીતિથી કંટાળી ગયા છે. તેઓ એવી સરકાર નથી ઈચ્છતા જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે.

એકંદરે, સમગ્ર ભારતના લોકોએ જોયું છે કે અમારી સરકારે છેલ્લા ૧૦ વર્ષોમાં શું કામો કર્યા છે અને શું હાંસલ કર્યું છે. મને વિશ્વાસ છે કે ૨૦૨૪ની આ ચૂંટણી ભારતના તમામ રાજ્યોમાં સુશાસન અને વિકાસની રાજનીતિ માટે લોકોના મજબૂત સમર્થનને પ્રતિબિંબિત કરશે, જેના આધાર પર અમે ઊભા છીએ.

અકિલા: છેલ્લા ૧૦ વર્ષોમાં તમે ક્યારેય વેકેશન લીધું નથી. તમે સતત કામ કરી રહ્યા છો, તેનું રહસ્ય શું છે? આ ઊર્જા તમારામાં ક્યાંથી આવે છે?

નરેન્દ્રભાઈ: ફક્ત ૧૦ વર્ષોમાં જ નહીં, મેં છેલ્લા ૨૪ વર્ષોથી કોઈ વેકેશન લીધું નથી અને એટલે જ ૨૦૪૭ માટે મારો મંત્ર છે, ૨૪ કલાક ને સાતેય દિવસ.

આ ઈશ્વરની કૃપા જ છે કે હું જનતામાં જનાર્દનના દર્શન કરી શકું છું, અને ઈશ્વરની આ કૃપાને કારણે જ હું સમયની ક્ષણે ક્ષણ અને મારા શરીરનો અણુએ અણુ જનતા જનાર્દનની સેવામાં ખર્ચી શકું છું.

અકિલા: કોંગ્રેસ સહિતના વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે કે એન્ફોર્સમેનેટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સીબીઆઇ જેવી સંસ્થાઓનો દુરૂપયોગ થઈ રહ્યો છે, તેમજ ન્યાયતંત્રમાં પણ દખલગીરીના આક્ષેપો થઈ રહ્યા છે, આ અંગે તમારું શું કહેવું છે?

નરેન્દ્રભાઈ: નોટોના બંડલો જપ્ત થયા પછી તેમજ વોશિંગ મશીન, ગાદલા, પાઈપ, લોકર વગેરે જેવી જગ્યાઓએથી નોટોના બંડલો મળી આવ્યા પછી, શું તમને હજુ પણ એમ જ લાગે છે કે ઇડી અને સીબીઆઇ તેમનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા? ૨૦૧૪ પહેલા ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ ૧૮૦૦થી ઓછા કેસ દાખલ કર્યા હતા. છેલ્લા ૧૦ વર્ષમાં આવા કેસોની સંખ્યા વધીને ૫૦૦૦ થી વધુ થઈ ગઈ છે. ૨૦૧૪ પહેલા, ઈડીએ માત્ર ₹૫૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી, જ્યારે છેલ્લા ૧૦ વર્ષમાં તે રકમ વધીને ₹ ૧ લાખ કરોડથી વધુ થઈ ગઈ છે.

મને લાગે છે કે આ આક્ષેપો પકડાઈ જવાના ડરમાંથી ઉદ્દભવ્યા છે. એક પ્રામાણિક વ્યક્તિ ભ્રષ્ટાચારી વ્યક્તિ સામે કાર્યવાહીઓ થવાનો વિરોધ શા માટે કરે?

હકીકતમાં, જો કોઈને નિશાનો બનાવવામાં આવ્યા હોય, તો તે અમે છીએ. અમે ગુજરાતમાં ફરજ બજાવતા હતા ત્યારે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ અમને નિશાન બનાવ્યા હતા. અમે તેમને સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને તેમના સકંજામાંથી નિષ્કલંક થઈને બહાર આવ્યા હતા.

ઇડી અને સીબીઆઇ તો ફક્ત તેમનું કામ જ કરી રહ્યા છે. આ એજન્સીઓ કાયદાનું પાલન કરી રહી છે. રાજકીય દખલગીરીના આરોપો માત્ર આ એજન્સીઓની પ્રતિષ્ઠાને જ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ ભારતની કાયદાકીય વ્યવસ્થા પર પણ શંકા ઊભી કરે છે.

એજન્સીઓના કાર્યબોજનો માત્ર એક નાનકડો હિસ્સો જ રાજકીય વ્યક્તિઓને સંબંધિત છે. ઇડી દ્વારા જે ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવામાં આવી રહી છે, તેમાંથી માત્ર ૩% કેસોના લોકો જ રાજકારણ સાથે સંકળાયેલા છે. બાકીના ૯૭% કેસ અધિકારીઓ અને ગુનેગારો સાથે સંકળાયેલા છે. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બાબત રાજકીય રીતે પ્રેરિત મોડસ ઓપરેન્ડીના દાવાને રદિયો આપે છે. ઇડી અને સીબીઆઇ દ્વારા કરવામાં આવતી તપાસ હાઇ-પ્રોફાઇલ બ્યુરોક્રેટ્સ સુધી પણ વિસ્તરે છે, અને તેના પરિણામે ₹ ૧૬૦૦૦ કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. આ બાબત, રાજકીય જોડાણોની પરવા કર્યા વગર આર્થિક ગુનાઓની તપાસ કરવામાં ન્યાયી અને અસરકારક રહેવાની આ એજન્સીઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ ઘણી ગંભીર છે, અને તેથી તેને તુચ્છ ન ગણવી જોઇએ.

અકિલા: નવી સરકારમાં પાકિસ્તાન પ્રત્યે ભારતની નીતિ શું હશે?

નરેન્દ્રભાઈ: પાકિસ્તાન માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે. આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સ પોલિસી છે. આ એ સરકાર નથી, જે આતંકવાદના મુખિયાઓને ફાઇલો અને દસ્તાવેજો આપી દેતી હતી. આ એવી સરકાર છે જે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને ગંભીરતાથી લે છે.

અકિલા: શું નવી સરકાર 'એક રાષ્ટ્ર-એક ચૂંટણી'ની દિશામાં આગળ વધશે?

જવાબ: અમારા સંકલ્પ પત્રમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ (ઓએનઓઇ) ના સંદર્ભમાં અમારા ઇરાદાઓ ખૂબ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા છે. કોઈપણ દેશ હરહંમેશ ચૂંટણીના ચક્કરમાં અટવાઈને પોતાનો સમય અને સંસાધનો બગાડી શકે નહીં. ઓએનઓઈ ના અમલીકરણ પર કામ કરવા માટે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક હાઈ-પાવર્ડ સમિતિ પણ બનાવી હતી, અને આ સમિતિનો અહેવાલ પહેલેથી જ મહામહિમ રાષ્ટ્રપતિ મુર્મુજીને સુપરત કરવામાં આવ્યો છે. મને લાગે છે કે, જો અમે અમારા આગામી કાર્યકાળમાં આ રિપોર્ટનો અમલ કરી શકીશું તો દેશને ઘણો ફાયદો થશે.

અકિલા: પ્રથમ વખત વોટ કરી રહેલા મતદારોને તમે શું સંદેશ આપવા માંગો છો?

નરેન્દ્રભાઈ: આ વખતની ચૂંટણીમાં મેં જે પ્રકારનું જનસમર્થન જોયું છે, એવું મેં પહેલા ક્યારેય પણ જોયું નથી. અને તેમાંથી મોટાભાગનું જનસમર્થન યુવા, એટલે કે પ્રથમ વખતના મતદારો તરફથી આવ્યું છે. હું તેમના આ ઉત્સાહને અને ભારતના વિકાસને ઉડાન ભરતો જોવાની તેમની આ ઝંખનાને સમજું છું. આ તેમના ભવિષ્યની શરૂઆત છે, અને તેમના માટે, અમારી સરકાર નવી તકો લઇને આવી રહી છે. વિશ્વમાં આજે ભારતને જે રીતે જોવામાં આવી રહ્યું છે તે દરેક ભારતીય યુવા માટે ગર્વનો વિષય છે. અમે ‘વિકસિત ભારત @૨૦૪૭’ નું વચન લઇને આવ્યા છીએ. આજના ૨૦ વર્ષની ઉંમરના યુવાનો જ આ વિકસિત ભારતના લાભાર્થીઓ હશે.

આજે, યુવાનોની પહેલી પસંદ બીજેપી છે. તેઓ સાક્ષી છે કે ભાજપે કેવી રીતે વિવિધ ક્ષેત્રોના દ્વાર ખોલી નાખ્યા છે અને યુવાઓને સશક્ત કર્યા છે. આજે ભારતના યુવાનોને એવો વિશ્વાસ છે કે ભારત ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદથી પણ મુક્ત થઈ શકે છે અને તેઓ આ નવા ભારતમાં વિકાસ માટેનું વાતાવરણ મેળવી શકે છે.

અકિલા: કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદની ભત્રીજી મારિયા આલમ દ્વારા મુસ્લિમ મતદારોમાં "વોટ જેહાદ" ને પ્રોત્સાહન આપતી ટિપ્પણી પર તમારી શું પ્રતિક્રિયા છે?

જવાબ: મને લાગે છે, કે આ ટિપ્પણી જ દર્શાવે છે કે વિરોધ પક્ષ ખરેખર કેટલો વિભાજીત અને ખતરનાક છે. જ્યારે પણ તેઓ મોઢું ખોલે છે, ત્યારે તેમાંથી જે બહાર આવે છે તે વિભાજનકારી વિષ અને કડવાશ જ હોય છે. એક બાજુ તો કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીના હકની અનામત છીનવીને તેમની વોટબેંકને આપવાનો પ્રયાસ કરી રહી છે, અને બીજી બાજુ તેઓ વોટ જેહાદના નારા લગાવી રહ્યા છે. આ દર્શાવે છે કે તેમના ઇરાદાઓ કેટલા ખતરનાક છે.

તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે, આ જે શબ્દો છે, ‘વોટ જેહાદ’, તે એક શિક્ષિત વ્યક્તિ તરફથી આવ્યો છે, કોઈ અભણ વ્યક્તિ કે કટ્ટરપંથી ઇસ્લામવાદી તરફથી નથી આવ્યો. આ આપણી લોકશાહી અને આપણા બંધારણનું ઘોર અપમાન છે. પહેલા જે વાત ખાનગીમાં ગણગણવામાં આવતી હતી, તે હવે ખુલ્લેઆમ બહાર આવી છે.

કોંગ્રેસે પોતાની આ હરકતો દ્વારા લોકો માટે સરકારની પસંદગીનું કાર્ય સરળ બનાવી દીધું છે. એટલે જો ટુંકમાં કહું તો, એક બાજુ, કોઈ તમને વિકાસ, સમાવેશક નીતિઓ, આર્થિક વૃદ્ધિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશ નીતિ વગેરેના આધારે મત આપવાનું કહી રહ્યું છે, જ્યારે બીજી બાજુ કોઈ તમને ધર્મના આધારે મત આપવાનું કહી રહ્યું છે. કોઈપણ ગુજરાતી કે ભારતીય આવી સાંપ્રદાયિક અને વિભાજનકારી રણનીતિઓને સહન નહીં કરે.

Following is the clipping of the interview:

Explore More
Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya

Popular Speeches

Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya
PM Modi urges people to take 9 pledges on health, saving water, others

Media Coverage

PM Modi urges people to take 9 pledges on health, saving water, others
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister receives phone call from President Emmanuel Macron, discusses situation in West Asia and maritime security
April 16, 2026

The Prime Minister, Shri Narendra Modi, received a phone call from the President of France, Emmanuel Macron.

During the conversation, the two leaders discussed the prevailing situation in West Asia. They agreed on the urgent need to restore safety and ensure freedom of navigation in the Strait of Hormuz.

Both leaders reiterated their commitment to continue close cooperation in advancing peace and stability in the region and beyond.

The Prime Minister wrote on X;

“Received a phone call from my dear friend President Emmanuel Macron. We discussed the situation in West Asia and agreed on the need to urgently restore safety and freedom of navigation in the Strait of Hormuz.

We will continue our close cooperation to advance peace and stability in the region and beyond.

@EmmanuelMacron”