ગુજરાત સરકારના મહિલા બાળકલ્યાણ વિભાગના ઉપક્રમે આજે મહિલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં જિલ્લાની નારીશક્તિ ઉપસ્થિત રહી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજ્વણીના અવસરે આજના આ મહિલા સંમેલનમાં આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોને ઉતમ સારસંભાળ માટેના રાજ્ય સરકાર પુરસ્કૃત માતા યશોદા એવોર્ડ રૂપે રાજ્ય, જિલ્લા ઘટક અને સ્થાનિક સ્વરાજ પાલિકાઓની કક્ષાએ રૂા. પ૧,૦૦, રૂા. ૩૧,૦૦૦ અને રૂા. ર૧,૦૦૦ અને રૂા. ૧૧,૦૦૦ના ચાર કેટેગરીના માતા યશોદા પુરસ્કાર આપીને મુખ્યમંત્રીશ્રીએ ગૌરવરૂપ સન્માન કર્યું હતું.
શિક્ષણ અને સંસ્કારનું ભૂલકાઓમાં પાયારૂપ કાર્ય કરનારી આંગણવાડીઓ અને તેની સંચાલિકા બહેનોના આદર ગૌરવ વધારવાના હેતુથી સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાત સરકારે પહેલ કરી છે અને માતા યશોદા એવોર્ડમાં માતબર પુરસ્કાર આપીને સન્માનિત કરી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આંગણવાડી અને તેની સંચાલિકા બહેનોની સમાજમાં ઉપેક્ષિત સ્થિતિ દૂર કરીને તેને પ્રતિષ્ઠા અપાવી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડીમાં જીવન સમર્પિત કરનારી બહેનો નિવૃત થાય તે સમયે તેના હાથમાં બચતની માતબર રકમ આત્મગૌરવથી જીવી શકાય તે માટે મળે અને સ્વાસ્થ્ય રક્ષાનો વીમો પણ ગુજરાતે જ પહેલીવાર હાથ ધર્યો છે એની ભૂમિકા આપી હતી.
ગામે ગામ સખીમંડળોની આર્થિક પ્રવૃત્તિઓનું નેટવર્ક શરૂ કરીને ગ્રામ નારીશક્તિને પ્રેરિત કરવા માટે પણ આંગણવાડીની સંચાલિકાઓ કાર્ય પૂર્ણ કરે ત્યારે એક સખીમંડળ દીઠ રૂા. ૧પ૦૦ રકમ પણ આંગણવાડી બહેનોને અપાય છે. આના પરિણામે ગુજરાતમાં ખૂણે ખૂણે બે લાખ સખી મંડળોની આર્થિક પ્રવૃત્તિમાં લાખો બહેનો જોડાઇ છે. નજીકના ભવિષ્યમાં આ સખીમંડળોની બધી બહેનોના હાથમાં રૂા. ૧૦૦૦ કરોડનો આર્થિક કારોબાર પહોંચવાનો છે. ગ્રામીણ ક્ષેત્રે કોઇ પુરૂષ સંચાલિત સંગઠનો પણ આટલો મોટો કારોબાર કરતા નથી. સખીમંડળોની ગરીબ પરિવારોની બહેનો પોતાના પરિવારોને વ્યાજ ખાઉ શોષણખોરોની ચૂંગલમાંથી મૂક્ત કરે છે અને કુટુંબમાં સારા-નરસા પ્રસંગે પૂરક આવકથી આર્થિક સ્થિતિ સુધારે છે.
માતૃ અને નારીશક્તિનો આર્થિક કારોબારનો નવો પ્રયોગ સખી મંડળ દ્વારા સફળતાને વર્યો છે અને તેનાથી પ્રેરાઇને સમગ્ર દેશમાં પહેલીવાર નારી સશક્તિકરણ માટે ‘‘મિશન મંગલમ'' પ્રોજેકટ હાથ ધર્યો છે જેમાં દેશની ૩ર જેટલી નામાંકિત કંપનીઓના રૂા. ર૦ થી રપ હજાર કરોડનું રોકાણ લાવવામાં આવશે. ગરીબ ગ્રામીણ સમાજમાં ધમધમતી રોજગારલક્ષી આર્થિક પ્રવૃત્તિ આ ‘‘મિશન મંગલમ'' યોજનાથી ગુજરાત હાથ ધરી રહ્યું છે એની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
કૃપોષણ સામેનો જંગ માંડીને આ સરકારે આંગણવાડીની બહેનો દ્વારા જ ગરીબ સગર્ભા માતાઓ અને નાના ભૂલકાઓ અને કિશોરીઓને પોષણક્ષમ આહાર વિનામૂલ્યે આપવાનું અભિયાન ઉપાડ્યું છે તેનો ઉલ્લેખ કરી આંગણવાડી બહેનોએ કુપોષણ સામેની લડાઇ ઉપાડવાના અદભૂત દાયિત્વ માટે અભિનંદન આપ્યા હતા. વર્તમાન પેઢીના સંસ્કાર ભૂલકાઓના ઉછેરમાં આપીને આ ઉપરાંત ભવિષ્યની પેઢી પણ કુપોષણથી મૂક્ત રાખવાનું આ કાર્ય સૌથી મોટી ભક્તિ છે એમ તેમણે જણાવ્યું હતું.
સમાજશક્તિ પ્રેરીને પ્રસુતા અને સગર્ભા માતાઓને સુખડી આપવાનું, ગુજરાતની માતૃશક્તિને સશક્ત બનાવવાનું કામ આ સરકારે આંગણવાડી બહેનોના સહયોગથી ઉપાડ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
સમાજની અડધી સંખ્યા ધરાવતી માતૃશક્તિને પગભર બનાવવાની યોજનાઓ, કન્યા કેળવણી દ્વારા દીકરીઓના ભણતર માટેની કાળજી લઇને શાળાઓમાં કન્યાઓ માટે ૪૦,૦૦૦ ટોઇલેટ સેનીટેશન યુનિટ બનાવવાનું ભૂતકાળમાં કોઇએ વિચાર્યુ પણ નહોતું પણ આ સરકારે તેની પણ સફળ ઝૂંબેશ કરી છે.
ગાંધીનગરના વિવિધ સેકટરોની માતૃશક્તિએ પોષણયુક્ત આહાર વાનગી બનાવવા માટેના પ્રશિક્ષણ વર્ગોને ઉમળકાભેર આવકાર આપ્યો છે તેનો સંતોષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના ગામે ગામ રોજિંદી ખાદ્યચીજોમાંથી પોષણક્ષમ આહાર બનાવવાના નારીઓના પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવાની પ્રેરણા મળે છે. ઘેર ઘેર કુપોષણથી લડવા માટે પોષક આહારની વાનગી બનાવવાના પુસ્તક પ્રકાશનનું પણ વિમોચન કર્યુ હતું.
ગુજરાત સરકારે મહિલા-બાળકલ્યાણનો સ્વતંત્ર વિભાગ શરૂ કરીને મહિલા બાળકલ્યાણ ક્ષેત્રે રૂા. ૧ર૬૪ કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યના ૧૮૦૦૦ ગામોમાં ૪૪,૦૦૦થી વધુ આંગણવાડીઓ કાર્યરત છે. આ આંગણવાડીઓ મારફતે સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોને પોષણક્ષમ આહાર પહોંચાડવામાં આવી રહ્યો છે. ગુજરાતની સખી મંડળની બહેનોને તેમણે આ આંગણવાડીઓમાં જઇને પોષણયુક્ત આહારમાંથી-લોટમાંથી વિવિધ વાનગીઓ બનાવતાં શિખવવા જવાનો અનુરોધ કર્યો હતો.
ગાંધીનગરમાં તાજેતરમાં બહેનો માટે સ્વર્ણિમ રસોઇ-શાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસોઇ-શાના માધ્યમ દ્વારા મહિલાઓને હર્બલ મુઠિયા અને નાગલી-રાગી જેવા ધાનમાંથી બનેલી કેલ્શિયમ રાબ બનાવતાં શિખડાવાયું હતું. શ્રીમતી આનંદીબેન પટેલે આ પ્રયોગની પ્રશંસા કરતાં આવા અનેક કાર્યક્રમો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
મહિલાઓના નામે મિલકતોની નોંધણીથી મહિલાઓ સક્ષમ અને સશકત થઇ છે એમ કહીને મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ત્રણ વર્ષ પહેલાં નિર્ણય કર્યો કે મહિલાઓના નામે નોંધાતી મિલકતોમાં દસ્તાવેજ ફીમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયથી પરિણામ એ આવ્યું કે, અગાઉ દર વર્ષે મહિલાઓના નામે ૧૦,૦૦૦ જેટલા દસ્તાવેજો થતા હતા. પરન્તુ આ નિર્ણય પછી દર વર્ષે મહિલાઓના નામે ૧૦ લાખથી વધુ દસ્તાવેજો થાય છે. રાજ્ય સરકારે બહેનોને ઘરની-મિલકતની માલિક બનાવવાનું કામ કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી જે પણ સહાય આપવામાં આવે છે તે બહેનોના નામે જ આપવામાં આવે છે.
વિધવા બહેનોના પુનર્રુથ્થાન માટે પણ રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે, એમ કહીને શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ચાર વર્ષમાં ૪૦,૦૦૦થી વધુ વિધવા બહેનોને પગભર કરવા માટે સાધન-સહાય, તાલીમ અને આર્થિક સહાય આપી છે. પરિણામ એ આવ્યું છે કે વિધવા બહેનોએ રોદડાં રોવા નથી પડતા.
મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્ફું હતું કે, માતૃશક્તિનો મહિમા ગાવાના આ અવસરે બહેનો સશક્ત અને સમર્થ બને. તેમણે રાજ્ય સરકારની અનેક યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી. યશોદા એવોર્ડથી સન્માનિત થનારી બહેનોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા, અને અન્ય બહેનોને પણ પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની કાર્યનિષ્ઠાને બિરદાવવા અને તેમના ઉત્સાહને વધારવા માટે રાજ્યસરકાર વર્ષ ર૦૦૯થી યશોદા એવોર્ડ એનાયત કરે છે. વર્ષ દરમિયાન રાજ્ય સરકાર આ રીતે કુલ ૬૪૮ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને રૂા. ૧.૧૦ કરોડની રકમના એવોર્ડ આપે છે. ગાંધીનગર જિલ્લાની ૧ર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આજે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે યશોદા એવોર્ડ એનાયત કરાયા હતા.
ગાંધીનગર જિલ્લા કક્ષાના એવોર્ડ જશોદાબા નવલસિંહ ચાવડા(ગલથરા) અને જનકબા દશરથસિંહ ચાવડા(માણસા)ને ફાળે ગયા હતા. જ્યારે ઘટક કક્ષાના એવોર્ડ સુમિત્રાબેન કનુભાઇ સાધુ(પેથાપુર), વીણાબેન ચંદુભાઇ શર્મા (ધમીજ), હંસાબેન લાલાભાઈ પટેલ (રાજપુરા), નયનાબેન લાલાભાઇ દરજી(વડસર), મધુબેન ભરતજી ઠાકોર(ડભોડા), જાગૃતિબેન પ્રકાશભાઇ પ્રજાપતિ(સાણોદ્રા) અને કલ્પનાબેન ભિખાભાઇ નાઇ(રાજપુરા)ને અનેાયત થયા હતા. આ તમામ બહેનોને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે રોકડ રકમ તથા પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા.
મહાત્મા મંદિરના પરિસરમાં યોજાયેલા મહિલા સંમેલન અને માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ, ગુજરાતના મહિલા ધારાસભ્યો સર્વશ્રી જસુમતિબેન કોરાટ, શ્રીમતી ભાવનાબેન બાબરીયા, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રીમતી વિભાવરીબેન દવે, શ્રીમતી વર્ષાબેન દોશી, ર્ડા. નીમાબેન આચાર્ય, ધારાસભ્યશ્રી પ્રો. મંગળભાઇ પટેલ, મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા, મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ સીતાબેન નાયક, ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી સંજીવકુમાર, મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ શ્રીમતી સુનયના તોમર, તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના આરંભે સંકલિત બાળવિકાસ યોજનાના નિયામક શ્રી બાબરિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. એ. ગાંધીએ આભારવિધિ કરી હતી.