મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા આપણા બધાના માર્ગદર્શક આદરણીય શ્રી રાજનાથસિંહજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન આર. સી. ફળદૂજી, શ્રીમાન રૂપાલાજી, શ્રી વી. સતીશજી, કેપ્ટન અભિમન્યુજી, અમિતભાઈ શાહ, સ્મૃતિબહેન, મંત્રી પરિષદના મારા સર્વે સાથીદારો, સંસદ સભ્યશ્રીઓ, પાર્ટીના તમામ વરિષ્ઠ સાથીદારો તથા ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો..! જે 6 એપ્રિલ છે. ભારતીય જનતા પાર્ટીના રૂપે આપણી વિકાસયાત્રાના 32 વર્ષ પૂરા કરીને 33 વર્ષમાં આપણે લોકો પ્રવેશ કરી રહ્યા છીએ. ભાઈઓ-બહેનો, 33 વર્ષની યાત્રા આખા હિન્દુસ્તાનની અંદર એક નવી આશાને પ્રગટ કરનારી યાત્રા છે. ભારતીય જનતા પાર્ટીનો જન્મ એવા સમયે થયો હતો કે જ્યારે કેટલાક અંગત સ્વાર્થ સાધવાવાળા તત્વો પોતાના નિયત સ્વાર્થ માટે નવા નવા સવાલો પેદા કરીને દેશમાં કોઈ ઑલ્ટર્નટ પક્ષમાં ન હતા, તેઓ ષડયંત્રનો શિકાર થયા હતા. એકસોથી વધારે સભ્યોવાળા ગૃહમાં અવારનવાર ભારતીય જનતા પાર્ટીનું અપમાન કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. લોકશાહીની મર્યાદાઓને તોડી નાખવામાં આવતી હતી. અને આ પીડામાંથી, આ દુ:ખમાંથી, સત્તાનો માર્ગ છોડીને પ્રજાની વચ્ચે આવવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો અને ત્યારથી જ આપણા વરિષ્ઠ નેતાઓના નેતૃત્વમાં, કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમના કારણે આ પાર્ટીએ સામાન્ય પ્રજાની આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટેના પ્રયાસોનો શુભારંભ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીનો જન્મ સત્તા પ્રત્યેની ભૂખના કારણે નથી થયો, ભારતીય જનતા પાર્ટીનો જન્મ સત્તાના દલાલોની ભલાઈ કરવા માટે નથી થયો. આ પાર્ટીનો જન્મ દેશના કરોડો નાગરિકોનું ભાગ્ય બદલવા માટે થયો છે, તેમના કલ્યાણ માટે થયો છે. અને જ્યારે કોઈ સારું કામ કરે છે તો અવરોધો ઓછા નથી આવતા. ભાઈઓ-બહેનો, ક્યારેક હું કેરળની બાજુ નજર કરું છું. શું કારણ છે કે સામ્યવાદીઓના સતત હુમલાઓ થવા છતાં, પણ આપણા સેંકડોં કાર્યકર્તાઓને મોતને ઘાટ ઉતારવા છતાં પણ, ભલે કેરળ હોય કે બંગાળ હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જીત મળે કે ના મળે, જિંદગી ખપાવી દેવામાં ક્યારેય બાંધછોડ નથી કરતા..! શું કારણ છે કે સત્તાની ગલીઓથી દૂર-દૂર સુધી કોઈ સબંધ ન હોવા છતાં પણ એક ભારત માતાની જય માટે પોતાનું જીવન ન્યૌછાવર કરવાવાળા લક્ષાવતી લોકો આજે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ઉઠાવીને ચાલી રહ્યા છે..! હું દિલ્લીમાં બેઠેલા શાસકોને ચેતવણી આપું છું કે જો તમે એવું માનતા હોવ કે તમારા સી.બી.આઈ. ના હુમલા ભારતીય જનતા પાર્ટીને નિરાશ કરી મુકશે, તો તમે એમ માનવામાં ભૂલ કરો છો. તમને એવું લાગે છે કે પોતાના ગવર્નરોના માધ્યમથી તમે ભારતીય જનતા પાર્ટીની સરકારોને હેરાન કરશો તો તમે લખીને રાખો, જ્યાં ભાજપની સરકારો છે, ત્યાં જનતા દિલ્લી સરકાર અને કોંગ્રેસ પાર્ટીના આ વલણને વીણી-વીણીને જવાબ આપે છે અને આપતી રહેશે..! સારી બંધારણીય સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીની સરકારોને પરેશાન કરવા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પરેશાન કરવા, ભારતીય જનતા પાર્ટીના પક્ષને મુશ્કેલીઓમાં મૂકવો, આના માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. કોંગ્રેસના મિત્રો, આ દિલ્લીમાં તમારી સત્તાનો નશો વધારે દિવસો સુધી ટકવાનો નથી..!

ભાઈઓ-બહેનો, કોંગ્રેસમાં અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બહુ મોટો ફેર છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા વચ્ચે ક્યારેય કોઈ મેળ ન પડી શકે. ભાજપાનું ચારિત્ર્ય અને કોંગ્રેસના ચારિત્ર્યની ક્યારેય કોઈ સરખામણી ન કરી શકે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસ જેના પર આસન લગાવીને બેઠી છે, જેના શબ્દો કોંગ્રેસની નીતિ માનવામાં આવે છે એવા એક નેતાનું મેં બે દિવસ પહેલા ભાષણ સાંભળ્યું. મિત્રો, મને ખૂબ જોરથી આંચકો લાગ્યો, મનમાં એક દુ:ખ થયું કે શું આ લોકો દેશના વિષયમાં આવું વિચારે છે..? ભાઈઓ-બહેનો, કોંગ્રેસના એક નેતા કહી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને પ્રગટ કરી રહ્યા છે કે આ ભારતદેશ એક મધપૂડો છે. મારા કોંગ્રેસના મિત્રો, તમારા માટે આ દેશ મધપૂડો હોઈ શકે છે, પરંતુ અમારા માટે તો આ દેશ અમારી માં છે..! આ ભારત દેશ અમારી માતા છે, તેના સો કરોડ દેશવાસીઓ અમારા ભાઈ-બહેન છે..! આ પવિત્ર ભૂમિ છે, આ ઋષિમુનિઓની ભૂમિ છે, અટલ બિહારી બાજપાઈ કહ્યા કરતા હતા કે અહીંના કંકરે-કંકર અમારા માટે શંકર છે, અટલ બિહારી બાજપાઈ કહ્યા કરતા હતા કે ગંગાજીમાં વહાવેલી મારી અસ્થિને લઈને કાન માંડશો તો તેમાંથી પણ અવાજ આવશે, ભારત માતાની જય..! આ અમારા સંસ્કાર છે. અમારા માટે આ મા છે મા..! આ માની પીડા અમે જોઈ નથી શકતા. આ અમારી મા છે, જેના સંતાનોનું દુ:ખ-દર્દ અમારી ચિંતાનું કારણ છે. તમારા માટે આ મધપૂડો હશે, અમારા માટે તો આ અમારી મા છે..! અને મહેરબાની કરીને કોંગ્રેસના મિત્રો, અમારી ભારતમાતાનું અપમાન ન કરો, તમને જો હિંદુસ્તાનના લોકોની ભાષા સમજમાં ન આવતી હોય તો ક્યાંકથી શીખી લો, પરંતુ તમારા અજ્ઞાનના કારણે મારા દેશની સંસ્કૃતિ અને પરંપરાને બરબાદ કરવાનું પાપ ન કરો..! ભાઈઓ અને બહેનો, હું કદી કોઈ નેતાના ભાષણ પર સમય બરબાદ નથી કરતો, કારણ કે તે ધ્યાન દેવા યોગ્ય હોતા પણ નથી. પરંતુ જ્યારે અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે ત્યારે માના કલ્યાણ માટે જીવન ખપાવવાળા લક્ષાવતી કાર્યકર્તાઓને પીડા થવી ખૂબ સ્વાભાવિક છે. ભાઈઓ-બહેનો, હું પરેશાન છું..! આ દેશમાં પાણીની સમસ્યા છે, તેની દેશના નેતાઓને ખબર જ નથી. તમારા પર અમને દયા આવે છે..! અમારા ગુજરાત કોંગ્રેસના નેતા પાણીને લઈને ગુજરાતના નાગરિકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું કોંગ્રેસના મિત્રોને પ્રાર્થના કરું છું, હાકલ કરું છું કે જો તમને ગુજરાતના ખેડૂતોની ચિંતા છે અને સાચા હૃદયથી ચિંતા છે તો તમે સમય બરબાદ કર્યા વગર દિલ્લીની તમારી સરકાર પર દબાણ લાવો અને સરદાર સરોવર ડૅમની ઊંચાઈનું કામ જે અટકી ગયું છે તેને પહેલા પૂરું કરો. મારા પાર્ટીના મારા કાર્યકર્તાઓ, ગામે-ગામથી અવાજ ઉઠવો જોઇએ, અમારા નર્મદા ડૅમનું કામ પૂર્ણ કરવા માટે હવે અમે વધારે સમય રાહ જોવા તૈયાર નથી..! અમે દિલ્લીના શાસનને પડકારીશું અને કોંગ્રેસના લોકોએ દરેક ગલી-મહોલ્લામાં જવાબ આપવો પડશે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસ પાર્ટી પાસેથી સુધરવાની આશા ન રાખતા, તેઓ ક્યારેય સુધરી નહીં શકે..! ગુજરાતની પ્રજાએ જે રીતે કોંગ્રેસ પાર્ટીને સજા આપી છે, જે પ્રકારે તેના એક-એક દિગ્ગજ નેતાઓને ગુજરાતની જનતાએ પરાસ્ત કરી દીધા છે... જે ભાષા છેલ્લા પાંચ વર્ષમાં તેઓ પ્રયોગ કરી રહ્યા છે, જે જૂઠાણાઓના સહારે ગુજરાતની જનતાને ભ્રમિત કરવાનો રાત-દિવસ પ્રયત્ન કરી રહ્યા છે, જે ગંદી ગાળોનો ઉપયોગ થઈ રહ્યો હતો... ગુજરાતની જનતાએ તે ભાષા બોલવાવાળા લોકોને વીણી-વીણીને સાફ કરી દીધા. આશા હતી કે તેઓ સમજશે, સુધરશે અને લોકતંત્રની મર્યાદાઓનું પાલન કરશે, પરંતુ ભાઈઓ અને બહેનો, આ સરકારને હજુ તો કાલે 101 દિવસ થયા છે, પરંતુ 100 દિવસ પણ તેઓ રાહ જોવા તૈયાર નથી, તેમની મનોસ્થિતિ શું હશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.! ભાઈઓ-બહેનો, ભારતીય જનતા પાર્ટી વિકાસના મંત્રને લઈને ચાલી છે. આજે ગુજરાતની ધરતી પર આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ પધાર્યા છે ત્યારે હું ગુજરાતની જનતા તરફથી તેમને કહેવા માગું છું કે આજે ચારે તરફથી તમે આટલું વિશાળ દિલ બતાવ્યું છે, સાર્વજનિક જીવનમાં આટલી ઊંચાઈનો અનુભવ કરાવ્યો છે, મારા જેવા નાના કાર્યકર્તાને તમે ખૂબ મોટાઈ પ્રદાન કરી છે, ભાઈઓ-બહેનો, રાજનીતિમાં આ નાની ઘટના નથી હોતી, પોતાના સાથીને આટલી ઊંચાઈ પર લઈ જવા માટે ખૂબ મોટું દિલ જોઇએ..! પરંતુ આજે હું કહેવા માગું છું કે તમે મને જે માન-સન્માન આપ્યું છે, તમે મને જે ઈજ્જત આપી છે, દેશભરના કાર્યકર્તાઓના દિલમાં મારી જગ્યા બનાવવા માટે તમે કોઈ કસર છોડી નથી, પરંતુ આ યશ ભલે મોદીને મળતો હશે , નામ ભલે મોદીનું લેવાતું હશે, પરંતુ આ યશના ખરા હકદાર આ બધા મારા ભાઈ-બહેન છે, મારા કાર્યકર્તાઓ છે..! મારા કાર્યકર્તા ભાઈઓ-બહેનો, તમે પરિશ્રમ ન કર્યો હોત, તમે વિકાસમાં વિશ્વાસ ના કર્યો હોત, તમે દેશની ભલાઈના મંત્રને ચરિતાર્થ ન કર્યો હોત તો નરેન્દ્ર મોદીને કોણ ઓળખનાર હતું..? આ ઓળખ તમારા કારણે બની છે, તમારા પુરૂષાર્થના કારણે બની છે, તમારા ત્યાગ અને તપશ્ચર્યાને કારણે બની છે. અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જન્મ દિવસ છે, હું તમને સૌને અભિનંદન આપું છું, તમને સૌને વંદન કરું છું..! મારા કાર્યકર્તા ભાઈઓ-બહેનો, મેં પહેલા જ દિવસથી જ્યારથી આ કાર્ય સંભાળ્યું છે, તે દિવસથી હું કહું છું, આજે ફરીથી કહું છું કે હું પરિશ્રમ કરવામાં કોઈ કમી નહિં રાખું, હું બદઇરાદાથી કોઈ પાપ નહિં કરું..! ભાઈઓ-બહેનો, હું જ્યારે કહું છું કે ‘ઇન્ડિયા ફર્સ્ટ’, તો તે લક્ષ્યથી, તે માર્ગથી ભારતીય જનતા પાર્ટી કદી વિચલિત ન થઈ શકે. અમારા માટે પક્ષથી મોટો દેશ છે. અમે દેશ માટે જીવવા-મરવાવાળા લોકો છીએ, ગલી-મહોલ્લામાં પણ કામ કરીશું, પરંતુ ભારતમાતા માટે કરીશું. અમે ગુજરાતની સેવા કરીએ છીએ, પરંતુ અમારો તો મંત્ર છે, ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’..! આપણે સૌએ મા ભારતીના કલ્યાણ માટે, નિરાશાની ખાઈમાં ડૂબેલા સમાજમાં એક નવો વિશ્વાસ પેદા કરવા માટે આપણા આ કાર્યને આપણે કરતું રહેવાનું છે. ભાઈઓ-બહેનો, ભારતીય જનતા પાર્ટી આજે આખા દેશમાં એક આશાનું કિરણ બની ગઈ છે. અને આ વાત પૉલિટિકલ પંડિત છે તે જાણે છે. પૉલિટિકલ પાર્ટીઓનો જન્મ થયા બાદ એંશી-એંશી વર્ષ સુધી તેમને સત્તા સ્થાન પર પહોંચવાનો મોકો નથી મળ્યો, એવા દુનિયામાં ઘણા ઉદાહરણ છે. આ ભારતીય જનતા પાર્ટી છે, આટલો વિશાળ દેશ, આટલી મોટી લોકશાહી, પરંતુ જન્મથી જવાની સુધીની યાત્રા પૂરી થાય ત્યાં સુધી પહોંચતાં-પહોંચતા આ દેશની જનતાએ અટલ બિહારી બાજપાઈના નેતૃત્વમાં અમને સેવા કરવાનો મોકો આપ્યો હતો. ઈંગ્લેન્ડની લેબર પાર્ટીને એંશી વર્ષ સુધી મોકો મળ્યો ન હતો. ભારતીય જનતા પાર્ટીની જન્મથી જુવાની સુધીની યાત્રા પૂરી થાય તે પહેલાં જ દેશની જનતાએ તેના પર અમીવર્ષા કરી દીધી હતી. તમે કલ્પના કરી શકો છો કે લોકો કોંગ્રેસથી કેટલા તંગ આવી ગયા છે, લોકો દેશની બરબાદીથી કેટલા તંગ આવી ગયા છે..! અને ત્યારે જઈને ભાઈઓ-બહેનો, ભારતમાનું ભાગ્ય બદલવું એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની જવાબદારી છે. સ્વામી વિવેકાનંદજીની સ્મૃતિમાં આપણે આ 150મું વર્ષ મનાવી રહ્યા છીએ. વિવેકાનંદજીનું સપનું પૂરું કરવા માટે દેશવાસીઓને બહારથી કોઈ નવી પ્રેરણાની જરૂર નથી. વિવેકાનંદજીના શબ્દો પૂરતા છે, વિવેકાનંદજીનો સંદેશ પૂરતો છે, વિવેકાનંદજીનું જીવન જ પૂરતું છે..! તેમાંથી પ્રેરણા લઈને એક નવા ઉમંગ અને વિશ્વાસ સાથે આગળ વધવાનું છે. ભાઈઓ-બહેનો, આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ પહોંચી છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જે પરિસ્થિતિ પેદા કરી છે તે કોઈ એક વ્યક્તિના કારણે નથી. પેઢીઓની પેઢીઓ પસાર થઈ ગઈ, પરિવારનાં પરિવાર આ પાર્ટી માટે ખપી ગયાં. એક જમાનો હતો, જો મોંઘવારી માટે ભાજપના કાર્યકર્તાઓ સરઘસ કાઢે તો 21-21 દિવસની સજા થતી હતી. આખો પરિવાર 21-21 દિવસ સુધી ગુજરાતની જેલોમાં રહેવા માટે મજબૂર થઈ જતો હતો. આવા અનેક કાર્યકર્તાઓના પરિશ્રમને કારણે આ પાર્ટી અહીંયા પહોંચી છે. આ પાર્ટીને અહીંયા પહોંચાડવા માટે પોતાના પરિવારોને ખપાવી દેવાવાળા, પોતાની જવાનીને ખપાવી દેવાવાળા એ લક્ષાવધી કાર્યકર્તાઓનું આજે હું પુણ્યસ્મરણ કરું છું, તેમનું અભિનંદન કરું છું, તેમને વંદન કરું છું..! ભાઈઓ-બહેનો, એક મહત્વપૂર્ણ કાર્યક્રમ આજે આપણે કરવાનો છે. આપણે અહીંથી સંકલ્પ લઈને જવાના છીએ. આપણી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ શ્રીમાન રૂપાલાજી આપણને બધાને એક સંકલ્પ લેવડાવવાના છે. પરંતુ આ સંકલ્પની એક વિશેષતા છે આપણા હાથમાં એક મીણબત્તી આપવામાં આવી છે, જેને પ્રજ્જવલિત કરવાની છે, , જ્યારે મીણબત્તી પ્રજ્જવલિત થશે ત્યારે બધી રોશની બંધ થવાની છે. ભાઈઓ-બહેનો, આ પ્રકાશની તરફ જવાનો સંદેશ છે, અને ઘરે-ઘરે, ગામે-ગામ કમળ ખિલાવવાનો સંદેશ છે. અને જે લોકો ભારતીય જનતા પાર્ટીને રાત-દિવસ ગાળો આપે છે, નવી-નવી ડિક્શનરીના શબ્દો કાઢે છે તેઓ કાન ખોલીને સાંભળી લે, તમે ભારતીય જનતા પાર્ટી પર જેટલો વધારે કાદવ ઉછાળશો, કમળ એટલું જ વધારે ખીલવાનું છે. આ કમળનો સંદેશ લઈને આવો, મારા ભાઈઓ-બહેનો, આજે આપણી પાર્ટીના 33 વર્ષની યાત્રાનું ગૌરવ કરતા એક નવી યાત્રાનો શુભ સંકલ્પ કરીને જઈએ, મારી તમને બધાને પ્રાર્થના છે કે તમને બધાને જે મીણબતીઓ આપવામાં આવી છે તેને પ્રજ્જવલિત કરો અને અહીંની વ્યવસ્થાવાળાઓને મારી પ્રાર્થના છે કે સ્ટેડિયમમાં વધારે લાઈટો બંધ કરીને આ નજારાનો અનુભવ કરો અને જ્યાં સુધી આ વિધિ પૂરી ન થાય, આપણે આપણું સ્થાન છોડીશું નહીં, આપણે જઈશું નહીં, મારી સાથે બોલો - ભારત માતાની જય..! ભારત માતાની જય..! ભારત માતાની જય..!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
12 Years Of Digital Revolution: How PM Modi’s Vision Democratised Technology For India’s Weakest Sections

Media Coverage

12 Years Of Digital Revolution: How PM Modi’s Vision Democratised Technology For India’s Weakest Sections
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05, 2026
The launch of projects across healthcare, aviation, tourism and infrastructure marks a new development push for Daman that will transform lives across the UT: PM
The data released today reflects the strength of India's economy, with growth of 7.7% in FY 2025–26 and 7.8% in the quarter ending March 31: PM
Even amid severe global challenges, the collective efforts of 1.4 billion Indians have ensured that India is not only sustaining itself but also staying ahead of the curve: PM
The National Family Health Survey clearly reflects the government's focus on healthcare. While most deliveries in India earlier took place outside hospitals, today over 90% of all deliveries occur in hospitals: PM
Thanks to Mission Indradhanush, child immunization coverage in India has risen from 60% before 2014 to nearly 90% today: PM

ભારત માતા કી જય! ભારત માતા કી જય!

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ભાઈ પટેલ, સંસદમાં મારા સહયોગી કલાબેન ડેલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ દીપિકા ટંડેલ જી, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધર્મ બાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરેજી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસાર જી, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ હરીશ કપાયાજી, દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કોટિયા રંજીતાબેન અને અહીં વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલા ભાઈઓ-બહેનો,

તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

સાથીઓ,

કેટલાક વર્ષો પહેલાં, જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો, તો મેં કહ્યું હતું આ આપણું દમણ ઝડપથી મિની ઇન્ડિયા બની રહ્યું છે અને આજે હું જોઈ રહ્યો છું, ડાબી બાજુ આખું બંગાળ છે અને જમણી બાજુ આખું અસામ છે. દમણ મિની ઇન્ડિયાનું જીવતું-જાગતું ઉદાહરણ બની ચૂક્યું છે. અહીંની વિવિધતા, અલગ-અલગ ક્ષેત્રોના લોકોનું અહીં નિવાસ કરવું, આખા ભારતની સુંદર ઝલક તમારી વચ્ચે આવીને મળી જાય છે. તમે બધા આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા, હું આના માટે આપ સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ કરું છું.

 

ભાઈઓ-બહેનો,

મને કેટલીય વાર દમણ અને દીવ આવવાનો અવસર મળ્યો છે. દાદરા અને નગર હવેલી પણ આવતો રહું છું અને જ્યારે હું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નહોતો, ત્યારે તો બહુ વાર આવતો હતો. પરંતુ હવે જ્યારે હું અહીં આવું છું અને અહીંના સુશાસનને જોઈને, ગવર્નન્સ મોડલને જોઈને બહુ સારું લાગે છે. દર વખતે મને લાગે છે કે ગત વખતની સરખામણીમાં આ ક્ષેત્ર વિકાસની રાહ પર માઈલો આગળ વધી ગયું છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ દાયકાઓથી વિકાસના સપના જોયા હતા. જે સપના પહેલાં જોયા, એ પેઢીઓ તો ચાલી ગઈ. પરંતુ આજે જે પેઢી છે, તે પોતાની આંખોની સામે જોઈ રહી છે કે તેમના માતા-પિતા, દાદા-દાદી જે સપના જોતા હતા, એ આજે સપના પૂરા થતા તમે પોતાની આંખોથી જોઈ રહ્યા છો. આજે પણ અહીં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આનાથી જોડાયેલી અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થયું છે. વિકાસના આ કામ દમણ અને આખી યુનિયન ટેરિટરી માટે અહીંના લોકોના જીવનને સરળ બનાવશે. આનાથી યુવાનો માટે નવા અવસરો તૈયાર થશે. આ કામોની પાછળ પ્રફુલ્લ ભાઈ પટેલની દ્રષ્ટિ, તેમની અને તેમની ટીમની મહેનત સાફ-સાફ નજરે પડે છે. હું આના માટે પણ પ્રફુલ્લ ભાઈ અને તેમની આખી ટીમની સરાહના કરું છું. હું બધાને લક્ષદ્વીપના લોકોને, દાદરા-નગર હવેલીના લોકોને અનેક-અનેક શુભકામનાઓ આપું છું, આપ સૌને વધામણી આપું છું.

સાથીઓ,

આજે તમારી વચ્ચે આવ્યો છું, તો એક સુખદ સમાચાર આવ્યા છે. હું તો આજે સવારે દિલ્હીથી નીકળી ચૂક્યો હતો, પરંતુ અત્યારે જે આંકડા સામે આવ્યા છે, જે સમાચાર આવ્યા છે, તે ખરેખર પ્રસન્નતા આપનારા છે અને હું પણ ઈચ્છું છું, આ ખુશી તમારી સાથે પણ વહેંચું. આજે જે આંકડા આવ્યા છે, એ આંકડાઓથી સાફ છે કે ભારતની અર્થવ્યવસ્થાનો પાયો કેટલો મજબૂત છે. વર્ષ 2025-26 માં એટલે કે જે ફાઇનાન્સિયલ યર પાછલું પૂરું થયું, વર્ષ 2025-26 માં ભારતે 7.7 પર્સન્ટનો ગ્રોથ રેટ હાસલ કર્યો છે, 7.7 અને પાછલો ક્વાર્ટર જે 31 માર્ચે ખતમ થયો, તેમાં પણ ભારતનો ગ્રોથ 7.8 પર્સન્ટ રહ્યો છે, 7.8 અને આ દુનિયામાં તેજ ગતિથી આગળ વધનારી મોટી ઇકોનોમી છે. દરેક ભારતીયને ગર્વ થાય, આ છે તેની ગતિ. આજે દેશ જે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી રહ્યો છે, આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે આટલો વિકાસ થઈ રહ્યો છે, ગરીબ કલ્યાણને લઈને આટલા મોટા સ્તરે જે કામ ચાલી રહ્યું છે, આ બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે દેશ મોટી ઇકોનોમીમાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ, દુનિયા સંકટોમાં ઘેરાયેલી છે, આખી દુનિયાની અર્થવ્યવસ્થા સવાલોના નિશાનો નીચે દબાયેલી પડી છે, વૈશ્વિક સંકટના આ ખરાબમાં ખરાબ દોરમાં પણ 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત પોતાની જાતને સંભાળી તો રાખી જ રહ્યું છે, પરંતુ સાથે-સાથે સૌથી આગળ રહેવામાં પણ તેના પ્રયાસો સફળ થતા જઈ રહ્યા છે. હું દેશવાસીઓને આર્થિક ક્ષેત્રની આ નવી ઊંચાઈને પ્રાપ્ત કરવા માટે ખૂબ-ખૂબ વધામણી આપું છું અને હું દેશને ફરી આશ્વસ્ત કરું છું કે દેશ દુનિયાભરમાં ચાલી રહેલા આ સંકટોનો સામનો કરતા Reform, Perform અને Transform ના રસ્તા પર આવી જ રીતે દ્રઢ સંકલ્પની સાથે, તેજ ગતિથી આગળ વધતો જ રહેશે, આ મારી દેશવાસીઓને ગેરંટી છે.

સાથીઓ,

આજે આપણા માટે વિકાસ જેટલો જરૂરી છે, એટલું જ મહત્વનું છે કે આપણું વિકાસનું મોડલ સસ્ટેનેબલ હોય. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે આપણા અહીં યુનિયન ટેરિટરી સ્ટેટ આ સંકલ્પને સાકાર કરી રહ્યું છે. આજે એક તરફ અહીં હજારો કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. સાથે જ અહીં આશરે એક લાખ એક વૃક્ષ માતાના નામે, એક લાખ છોડ પણ વાવવામાં આવી રહ્યા છે. મને ગર્વ છે કે એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેણે સરકારી ઈમારતોમાં શત પ્રતિશત, 100 પર્સન્ટ સૌર ઊર્જાના ઉપયોગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આજે દીવમાં દિવસમાં જેટલી વીજળીની ડિમાન્ડ હોય છે, તે સોલર પાવરથી જ પૂરી થઈ રહી છે અને આપણે તો આને હજુ આગળ લઈને જવાનું છે. ઘરોમાં પણ સોલર ઊર્જાથી વીજળી મળે, એટલું જ નહીં વધારાની વીજળીથી પરિવારની આવક પણ થાય, તેના માટે રૂફટોપ સોલર પ્લાન્ટ્સ લગાવવાની પહેલ શરૂ થઈ છે. હું આ ઉપલબ્ધિઓ માટે પણ આપ સૌની સરાહના કરું છું.

 

સાથીઓ,

સાથે-સાથે મને એ પણ જણાવવામાં આવ્યું છે, દમણના લોકો આ દિવસોમાં અહીં સ્વચ્છતા અભિયાન પણ ચલાવી રહ્યા છે. આ દર્શાવે છે કે સ્વચ્છતા કઈ રીતે દમણના જનજીવનમાં સંસ્કાર બની ચૂકી છે અને આ સંસ્કાર સ્વચ્છતામાં નજરે પડી રહ્યા છે. હું આ જનભાગીદારીના તમારા પ્રયાસો માટે દમણના લોકોનું અભિનંદન કરું છું.

સાથીઓ,

દાદરા નગર હવેલી, દમણ અને દીવ, આ સંઘ શાસિત પ્રદેશ હોવાની સાથે જ ભારતની ઓળખ અને વિરાસત પણ છે. એટલા માટે, આના વિકાસ માટે અમારા લક્ષ્ય પણ સાધારણ નથી. મને યાદ છે, જ્યારે હું ગયા વર્ષે સિલવાસા આવ્યો હતો, ત્યારે મેં તમને સિંગાપોરનું ઉદાહરણ આપ્યું હતું. મેં કહ્યું હતું કે એક સમયે સિંગાપોર માછીમારોનું નાનું એવું ગામ હતું. પરંતુ, સિંગાપોરના લોકોએ એક સપનું જોયું, ત્યાંના લોકોએ મોટું લક્ષ્ય નક્કી કર્યું અને આજે એ જ સિંગાપોર દુનિયાનું સૌથી મોટું બિઝનેસ હબ બની ચૂક્યું છે. આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ પણ એ જ સપનું જોઈ રહ્યા છે. આ નમો એરપોર્ટ, દમણગંગા નદી પર બનનારો આઇકોનિક બ્રિજ, ‘બીચ ફ્રન્ટ’ તેના પર બનનારો કન્વેન્શન સેન્ટર, આવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આપણે ભવિષ્યના મોટા સંકલ્પોનો પાયો નાખી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ્સ દ્વારા લોકોની અવરજવર સરળ થશે. અહીં બિઝનેસ માટે નવી સંભાવનાઓ બનશે. દમણના બંને કિનારા પર વિકાસની ગતિ હજુ વધુ તેજ થશે.

સાથીઓ,

અહીં સગવડતાના અર્થતંત્રથી જોડાયેલા અવસરો વધશે અને સાથે જ ટ્રાન્સપોર્ટ નગર જેવી સુવિધાથી વ્યાપાર, લોજિસ્ટિક્સને પણ નવી ગતિ મળશે.

 

સાથીઓ,

આ ક્ષેત્રમાં બ્લુ ઇકોનોમી માટે અમે જે વિઝન તૈયાર કર્યું છે, તે વિઝન પણ હાઇટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાતથી જ સાકાર થશે. એટલા માટે જ, લક્ષદ્વીપના કલપેની અને કદમત દ્વીપોમાં પણ આજે જ આધુનિક પોર્ટ્સની આધારશિલા રાખવામાં આવી રહી છે. આ તમામ પ્રયાસો બ્લુ ઇકોનોમીમાં દેશની તાકાતને વધારશે અને જેવું મેં કહ્યું આ લક્ષદ્વીપનું ભાગ્ય બદલનારા પગલાં છે.

સાથીઓ,

ભાજપની સરકારમાં, એનડીએની અમારી સરકારમાં અમારા માટે વિકાસની પહેલી કસોટી છે- ગરીબ, વંચિત, આદિવાસી અને મિડલ ક્લાસના જીવનમાં બદલાવ! આના માટે, હેલ્થ સેક્ટર અમારી બહુ મોટી પ્રાથમિકતા છે. વિતેલા વર્ષોમાં દેશ હેલ્થ કેર માટે હોલિસ્ટિક વિઝન લઈને આગળ વધ્યો. અમે ઈલાજથી જોડાયેલી દરેક ચિંતાનું સમાધાન કર્યું છે. આજે ગરીબમાં ગરીબ પાસે પણ આયુષ્માન કાર્ડની સુવિધા છે. તેમની પાસે 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજનો ભરોસો છે. બીમારીની સમયસર તપાસ થઈ શકે, તેના માટે, પ્રધાનમંત્રી આયુષ્માન આરોગ્ય મંદિરોની વ્યવસ્થા છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓ પણ મળી રહી છે. આ સુવિધાઓ હજુ બહેતર થાય, હજુ આધુનિક થાય, તેના માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા આજે સ્વાસ્થ્ય સેવાઓને ટેકનોલોજીથી જોડવામાં આવી રહી છે.

સાથીઓ,

આયુષ્માન કાર્ડ અને જન ઔષધિ કેન્દ્રોથી જ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે સવા બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થતા બચ્યા છે.

ભાઈઓ-બહેનો,

કેન્દ્ર સરકારની નીતિઓનો બહુ લાભ આ ક્ષેત્રના લોકોને પણ થયો છે. એક સમયે અહીં ઈલાજની સારી સુવિધાઓનો પણ અભાવ હતો. અહીં મેડિકલ કોલેજ સુધી નહોતી. પરંતુ, હવે મેડિકલ કોલેજ પણ છે અને તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર પણ શરૂ થઈ ગયું છે. સિલવાસાની નમો હોસ્પિટલ ગયા વર્ષથી હજારો લોકોની સેવા કરી રહી છે. આજે દમણમાં પણ નમો હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આ ક્ષેત્રના લોકોને પણ હવે હજુ બહેતર હેલ્થ કેરનો લાભ મળશે.

 

સાથીઓ,

અમારી સરકાર કેવી રીતે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા ચાલી રહી છે, આનું એક પ્રમાણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પરિણામોમાં પણ મળે છે. એક સમયે ભારતમાં મોટાભાગના બાળકોની ડિલિવરી હોસ્પિટલમાં નહોતી થતી. આજે દેશમાં 90 ટકાથી વધુ ડિલિવરી હોસ્પિટલોમાં થઈ રહી છે, જેના કારણે માતા મૃત્યુ કે નવજાતની મૃત્યુમાં બહુ મોટી અટકાવ આવી છે. મિશન ઇન્દ્રધનુષના કારણે બાળકોના રસીકરણના ક્ષેત્રમાં પણ ભારતે સારી પ્રગતિ કરી છે. 2014 પહેલાં માત્ર 60 ટકા બાળકોનું પૂર્ણ રસીકરણ થઈ શકતું હતું. આજે આ આંકડો વધીને આશરે 90 ટકા સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં પણ મોટો બદલાવ આવ્યો છે. 2014 પહેલાં 30 ટકાથી પણ ઓછા પરિવારો સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા હતા. આજે આયુષ્માન ભારતે, એ આંકડાઓને પણ બદલી દીધા છે. હવે 60 ટકાથી વધુ પરિવારોને આ સુરક્ષા મળી રહી છે.

સાથીઓ,

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સરકારના આ પ્રયાસોનો લાભ જો કોઈને સૌથી વધારે મળ્યો છે, તો તે મારા દેશની નારી શક્તિ છે.

સાથીઓ,

પહેલાં આ ક્ષેત્રના યુવાનોને હાયર એજ્યુકેશન માટે પણ બહાર જવું પડતું હતું. પરંતુ, આજે અહીં નેશનલ લેવલની, એક નહીં કેટલીય ઇન્સ્ટિટ્યૂટ બની ચૂકી છે. પાછલા વર્ષોમાં અહીં શાળાઓની નવી બિલ્ડિંગ્સ બની છે, શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ પણ બન્યા છે. 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહ્યો છે. મને ખુશી છે કે કેન્દ્રશાસિત પ્રદેશ ધીમે-ધીમે એજ્યુકેશનના ક્ષેત્રમાં આગળ આવી રહ્યો છે. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન હબ જેવા કેટલાય નિર્માણ અહીં થઈ રહ્યા છે.

ભાઈઓ-બહેનો,

આ શિક્ષણ ક્રાંતિમાં આપણી દીકરીઓ પાછળ ન રહે, આ પણ મારો સંકલ્પ છે. આના માટે કેટલાય મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરસ્વતી સાયકલ સ્કીમ, સરસ્વતી વિદ્યા યોજના, અહીંની દીકરીઓને બહુ મદદ કરી રહી છે.

 

સાથીઓ,

આજે ભારતની કોશિશ છે કે દેશના યુવાનોને ડિગ્રીની સાથે જ સાચી દિશા પણ મળે. તેમને એવો એક્સપોઝર મળે, જે લોકલ ટેલેન્ટને ગ્લોબલ અવસરોથી જોડે. ડિઝાઇન, લો, એન્જિનિયરિંગ, મેડિકલ એજ્યુકેશન, આઈટી, ડ્રોન અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આપણી આજની તૈયારી ભારતની વર્કફોર્સને મજબૂત બનાવશે. એટલા માટે પ્રોફેશનલ સંસ્થાઓનો વિસ્તાર બહુ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આજે NIFT ના અઢારમાં કેમ્પસની આધારશિલા રાખવામાં આવી છે. આ સંસ્થાન અહીંના યુવાનોને ગ્લોબલ એક્સપોઝરથી જોડશે. આઈ.ટી.આઈ. દમણમાં ડ્રોન ટેકનિશિયન જેવા નવા કોર્સીસ પણ શરૂ થયા છે. પીએમ વિશ્વકર્મા અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, આનાથી જોડાયેલા ટ્રેનિંગ પ્રોગ્રામ્સનો લાભ પણ યુવાનોને મળી રહ્યો છે.

સાથીઓ,

દેશમાં રમતગમતને પણ નવી વિચાકધારા સાથે આગળ વધારવામાં આવી. આપણી રમતો હવે માત્ર મોટા શહેરો કે મોટા સ્ટેડિયમો સુધી સીમિત નથી. ખેલો ઇન્ડિયા જેવા પ્રયાસોએ યુવાનોને પોતાની પ્રતિભા દેખાડવાનો નવો મંચ આપ્યો છે. આનાથી નાના-નાના ક્ષેત્રોમાં નેશનલ લેવલ પર રમત જગતમાં આપણા બાળકો આગળ આવી રહ્યા છે અને આનો પણ લાભ આ ક્ષેત્રને થયો છે. દીવ આજે બીચ સ્પોર્ટ્સનું એક મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ઘોઘલા બીચ પર થયેલી બીચ ગેમ્સે પણ દેશનું ધ્યાન આ ક્ષેત્ર તરફ ખેંચ્યું છે. આજે અહીં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત કામ થઈ રહ્યું છે. ખાનવેલમાં ફૂટબોલ સેન્ટર અને દમણમાં વોલીબોલ ટ્રેનિંગ સેન્ટર અહીં રમત સંસ્કૃતિને મજબૂત કરી રહ્યા છે.

સાથીઓ,

આજે દેશનું બહુ મોટું ફોકસ ટુરિઝમ પર પણ છે. અમારો પ્રયાસ છે કે ટુરિઝમથી સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે. નાના-નાના સ્થાનોને પણ મોટા-મોટા અવસરોથી જોડી શકાય. ‘દેખો અપના દેશ’ જેવા પ્રયાસે લોકોને દેશની વિવિધતા વિશે જાણવા માટે પ્રેરિત કર્યા છે. આજે ભારતમાં હેરિટેજ ટુરિઝમ, ‘બીચ ટુરિઝમ’, ઇકો-ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, આ સેક્ટર્સને નવી ઊર્જા મળી રહી છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં તો પર્યટન પણ એટલી અસીમ સંભાવનાઓવાળું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્રને પ્રાકૃતિક સુંદરતાનું અદ્ભુત વરદાન મળ્યું છે. એટલા માટે જ પર્યટનને લઈને દેશે જે નીતિઓ પર કામ કર્યું છે, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવને તેનો મોટો લાભ મળી રહ્યો છે. 2021 માં અહીં આશરે 6 લાખ ટૂરિસ્ટ આવ્યા હતા. 2025 માં આ સંખ્યા વધીને લગભગ 50 લાખ સુધી પહોંચી ગઈ છે. એટલે કે કેટલાક જ વર્ષોમાં ટુરિઝમ ફૂટફોલમાં આશરે 10 ગણો વધારો થયો છે. આ સારૂં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સાફ-સુથરા ‘બીચ’ ના કારણે સંભવ થયું છે. દમણ નાઇટ માર્કેટ, રામસેતુ સી-ફ્રન્ટ, નમોપથ સી-ફ્રન્ટ, નાની દમણ ફોર્ટ, ગંગેશ્વર ટેમ્પલ કોમ્પ્લેક્સ, આવા અનેક સ્થાનો આજે આખા ક્ષેત્રની નવી ઓળખ બનાવી રહ્યા છે.

 

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, આના સપનાઓને પૂરા કરવા માટે આપણે અહીંની ઔદ્યોગિક તાકાતને પણ વધારવાની છે. આ પણ ગર્વની વાત છે કે આ યુનિયન ટેરિટરીએ મેન મેડ ફાઈબર ના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. દાદરા અને નગર હવેલીને નેશનલ મેન મેડ ફાઈબર કેપિટલના રૂપમાં ઓળખવામાં આવે છે. પ્લાસ્ટિક એક્સપોર્ટમાં પણ આ ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે. સરકારે અહીં ઇન્ડસ્ટ્રીઝ અને MSMEs ને સપોર્ટ આપવા માટે પણ સતત પ્રયાસો કર્યા છે. અહીં MSMEs અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાથી વધુની આર્થિક સહાયતા આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો માટે નવા અવસરો ખુલી રહ્યા છે. મને વિશ્વાસ છે, આવનારા સમયમાં આ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનશે.

સાથીઓ,

જ્યારે વિકાસના વિઝનની સાથે સંવેદનશીલ ગવર્નન્સ જોડાય છે, તો પરિવર્તન તેજ ગતિથી જમીન પર ઉતરે છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં આપણા આ પ્રયાસોનો પ્રભાવ જોઈને સંતોષ થાય છે. મને આ ધરતીના લોકો પર પૂરો વિશ્વાસ છે. અહીંના યુવાનો, અહીંની માતાઓ-બહેનો, અહીંના ખેડૂતો, કારીગરો, શ્રમિકો અને ઉદ્યમીઓ, આવનારા વર્ષોમાં આ વિકાસ યાત્રાને હજુ આગળ લઈ જશે. હું તમને ભરોસો અપાવું છું, તમારા સપનાઓને પૂરા કરવા માટે કેન્દ્ર સરકાર ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. આ જ વિશ્વાસની સાથે, હું એકવાર ફરી વિકાસ પરિયોજનાઓ માટે તમને ખૂબ-ખૂબ વધામણી આપું છું. મારી સાથે બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!

ખૂબ-ખૂબ ધન્યવાદ.