ગાંધીનગરમાં ડેન્માર્ક સરકાર અને ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે આજે બિનપરંપરાગત ઊર્જાનો સેમિનાર યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્દઘાટન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
ગુજરાત સરકાર ડેન્માર્ક સરકાર અને કોન્ફડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રીઝ(CII)ના સંયુકત ઉપક્રમે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં આજે બિનપરંપરાગત ઉર્જા વિષયક યોજાયેલા આ સેમિનારમાં ઊર્જા ક્ષેત્રના રપ૦ જેટલા તજ્જ્ઞ ડેલીગેટસ અને ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. બિનપરંપરાગત ઊર્જાશકિતના સાતત્યપૂર્વકના વિકાસની સાથે સમગ્રતયા વ્યવસ્થાપનની સંપૂર્ણ સાંકળ ઉભી કરવાની ભારપૂર્વક હિમાયત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કલાઇમેટ ચેંજના પડકારને પહોંચી વળવા માટે ભવિષ્યની પેઢીઓને ઊર્જા સુરક્ષાનું છત્ર આપવાનું આપણું દાયિત્વ કલાઇમેટ જસ્ટીસનો પર્યાય બની રહેવો જોઇએ. આપણાં ચિન્તનનું મધ્યબિન્દુ બિનપરંપરાગત ઊર્જા શા માટે હોવી જોઇએએટલા પુરતું મર્યાદિત નથી પણ બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોના સાતત્ય અને આર્થિક સક્ષમ ઉપયોગનું હોવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત રિન્યુએબલ એનર્જીના ગ્લોબલ હબ તરીકે ઉપસી રહ્યું છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે દેશનો સર્વપ્રથમ પ૦૦ મેગાવોટનો વિશાળ સોલાર પાર્ક વિકસાવ્યો છે અને કુદરતની કૃપા તો એવી છે કે સૂર્યઊર્જા ક્ષેત્રે ગુજરાતની જો કુલ જમીનના માત્ર ૦.૦૧ ટકા જમીન પણ સૌરઊર્જાના વિકાસ માટે સુનિશ્ચિત કરાય તો પણ ૧૦,૦૦૦ મેગાવોટ વીજળી સૂર્યશકિતમાંથી પેદા કરી શકાશે. એ જ રીતે ૧૬૦૦ કીલોમીટરના સમૂદ્રકિનારે તથા કલ્પસર પ્રોજેકટ દ્વારા ગુજરાત પવન ઊર્જા (વિન્ડ એનર્જી)ની મહત્તમ ઊર્જાશકિત ઉત્પણ કરી શકે એવું સામર્થ્ય ધરાવે છે. ભારત સરકારે ગુજરાતની રાજધાની ગાંધીનગરને મોડેલ સોલાર સિટી બનાવવાની માન્યતા આપી છે એમ તેમણે જણાવ્યું હતું.
કલાઇમેટ ચેંજના સંકટ સામે કન્વીનિયન્ટ એકશનના સ્વલિખિત પુસ્તકમાં સૂચવાયેલા ઊર્જાવ્યવસ્થાપન અંગેના વ્યવહારૂ નવતર આયામો સંદર્ભમાં ગુજરાતે જે સફળતા મેળવી છે તેની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ વિશ્વની સૌથી વિશાળ એવી નર્મદા કેનાલના શાખા નહેરના નેટવર્ક આધારિત સોલાર પેનલોનું વ્યવસ્થાપન કરીને એક કીલોમીટરની કેનાલ ઉપર એક મેગાવોટ સૂર્યઊર્જાથી વીજળી પેદા કરવાનો અને વર્ષે તેના થકી એક કરોડ લીટર પાણી બચાવવાનો ક્રાંતિકારી પાઇલોટ પ્રોજેકટ હાથ ધરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
વિશેષમાં નર્મદા કેનાલમાં વહેતા જળરાશીમાં હાઇડ્રો ટર્બાઇન ટેકનોલોજી ગોઠવીને હાઇડ્રો પાવરથી વીજળી પેદા કરવાના પ્રયાસો પણ હાથ ધર્યા હોવાનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલ અને હાઇડ્રો ટર્બાઇનનો પાઇલોટ પ્રોજેકટ રપ કીલોમીટરની નહેર ઉપર હાથ ધરવાનો નિર્ધાર છે અને તેની સફળતા વિશ્વના બિનપરંપરાગત ઊર્જાસંશોધન નિષ્ણાંતો માટે મોડેલ પુરૂં પાડશે.
બિનપરંપરાગત ઊર્જાની ગ્રીન ટેકનોલોજી માત્ર ઊર્જા ઉત્પાદન માટે જ નહીં પરંતુ ઊર્જાબચત અને ઊર્જાસ્ત્રોતોના સુવિચારિત ઉપયોગ માટે સુગ્રથિત વ્યવસ્થાપનની હોવી જોઇએ એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે ઊર્જાના વપરાશની વધતી જતી માંગ સામે ઊર્જાની બચતના નવતર આયામો અપનાવ્યા છે તેની પણ રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કન્વીનિયન્ટ એકશનના તેમણે લખેલા પુસ્તકમાં ગુજરાતે જળવ્યવસ્થાપન ક્ષેત્રે સાદા પરંતુ ક્રાંતિકારી એવા જળસિંચનના સફળ પ્રયોગો કરીને ભૂગર્ભ જળ સપાટીની વૃધ્ધિ કરી છે. એનાથી સિંચાઇ માટે ઊર્જાની બચત સાથોસાથ પાણીની બચત પણ થઇ છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઊર્જા ઉત્પાદન અને ઊર્જાવપરાશના ક્ષેત્રે આમૂલ પરિવર્તનની સાથોસાથ ઊર્જાપરિવહન માટેની ટેકનોલોજી વિકસાવવા ઉપર ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું કે ઊર્જા પરિવહન માટેના હાલના પ્રણાલીગત વ્યવસ્થાપનમાં ઊર્જાનો ખૂબ મોટો દુર્વ્યય થાય છે તેનું નિવારણ જરૂરી અને અનિવાર્ય બની ગયું છે. રૂફ ટોપ સોલાર પેનલો, અને સોલાર પાવર સહિત રિન્યુએબલ એનર્જીના સંસાધનોનું વિકેન્દ્રીકરણ કરવાની સાથે પરિવહન ટેકનોલોજીનું વિશેષ ધ્યાન આપવાની બાબતે પ્રાધાન્ય હોવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ગુજરાતમાં ૧૦૦૦ મે. વો. સોલાર પાવર ખરીદીના રાજ્ય સરકારે કરાર કરેલા છે તેનો નિર્દેશ આપતા જણાવ્યું કે રરરપ મેગાવોટ વિન્ડ એનર્જીની સ્થાપિત ક્ષમતામાંથી ૪પ૦૦ મિલીયન વીજ યુનિટનું ઉત્પાદન થઇ શકયું છે અને તેના પરિણામે ૩ મિલીયન ટન કોલસો બચાવીને તથા ૪.પ મિલીયન ટન કાર્બન ડાયોકસાઇડ ઘટાડી શકાયો છે. સોલાર એનર્જી અને વિન્ડ એનર્જીની નવી પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકીને બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રે વિકાસનું ઉત્તમ વાતાવરણ ઉભૂં કર્યું છે.
ગુજરાત સરકારે બાયોમાસ એનર્જી અને ટાઇડલ વેવ (ભરતીના મોજા આધારિત) ઊર્જા ક્ષેત્રે પણ નવતર અભિગમ અપનાવ્યો છે અને કલાઇમેટ ચેંજનો સ્વતંત્ર વિભાગ શરૂ કરનારૂં સમગ્ર વિશ્વમાં ચોથી સરકારનું ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ડેન્માર્ક સરકાર સાથે બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે વિકાસસંશોધન માટેની સહભાગીતાની નવી ક્ષિતિજોને આવકારતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડેન્માર્કના રાજદૂત શ્રીયુત ફ્રેડી સ્વાને ગુજરાત સાથેની ભાગીદારીને સ્માર્ટ એન્ડ કલેવર ગુજરાતી પિપલની ગણાવી તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે જેઓ (ગુજરાત) સ્માર્ટ એન્ડ કલેવર હોય તે જ સ્માર્ટ એન્ડ કલેવર પાર્ટનર (ડેન્માર્ક) પસંદ કરે છે.
ડેન્માર્કના એમ્બેસેડર શ્રીયુત ફ્રેડી સ્વેને (Mr. FREDIE SWANE) ગુજરાત સાથે બિનપરંપરાગત ઊર્જાના ક્ષેત્રમાં ડેન્માર્કની ભાગીદારીને નવી સાફલ્યગાથા રચવા માટેની શરૂઆત ગણાવી હતી. ઊર્જા વિકાસ સહિત ગુજરાત વિકાસના અનેક ક્ષેત્રોમાં જે દ્રષ્ટિવંત આયોજન કરે છે તેનો એટલી જ નિષ્ઠાથી અમલ પણ કરી બતાવે છે તેની પ્રસંશા કરી શ્રીયુત ફ્રેડી સ્વાનએ જણાવ્યું કે ભારત સરકારમાં આયોજન પંચ છે એમ અમલીકરણ પંચ પણ હોવું જોઇએ.
ગુજરાત સરકારના નેતૃત્વને વિકાસ માટેના શાણપણ અને દ્રષ્ટિસભર ગણાવતા ડેન્માર્કના રાજદૂતશ્રીએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઊર્જાસંસાધનોના વ્યવસ્થાપન માટે અપનાવેલા આયામોને પ્રેરણાદાયી ગણાવ્યા હતા.
ગુજરાત સર્વગ્રાહી અને સાતત્યપૂર્ણ પર્યાવરણ મૈત્રીપૂર્ણ એવી એનર્જી એફિસીયન્ટ ટેકનોલોજી માટેનું મોડેલ બની શકવાનું પુરૂં સામર્થ્ય ધરાવે છે તેની ભરપૂર પ્રસંશા કરતાં શ્રીયુત ફ્રેડી સ્વાનએ ડેન્માર્ક અને ગુજરાતની આ ક્ષેત્રની ભાગીદારીને સિમાચિન્હ ગણાવી હતી.
આ સેમિનારમાં ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ઊર્જા અગ્ર સચિવશ્રી જે. પાંડિયન, ઉદ્યોગ અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ, ડેનીસ એનર્જીના વડાશ્રી ઓલે ઓલકાર્ડ સહિતના તજ્જ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.


